- દિલ્હી હાઈકોર્ટને ખાતરી આપી
- બ્રાહ્મણ સમાજના આક્રોશ, એફઆઈઆર, કોર્ટ કેસો, બહિષ્કારનાં એલાન બાદ નિર્ણય
મુંબઈ : મનોજ વાજપેયીની ફિલ્મ 'ઘૂસખોર પંડિત'ના સર્જકો આખરે ઝૂક્યા છે.
તેઓ ફિલ્મનું ટાઈટલ બદલવા તૈયાર થયા છે. આ ફિલ્મનાં ટાઈટલ દ્વારા બ્રાહ્મણ સમાજનું ઘોર અપમાન થતું હોવાના મુદ્દે દેશભરમાં ફેલાયેલા આક્રોશ, યુપી સહિત વિવિધ રાજ્યોમાં થયેલી એફઆઈઆર તથા કોર્ટ કેસો અને બહિષ્કારનાં એલાન બાદ તેમણે આ નિર્ણય કર્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં આ ફિલ્મના સર્જકો તથા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સામે થયેલા કેસને પગલે ફિલ્મના સર્જકોએ અદાલતને ખાતરી આપી હતી કે તેમણે ફિલ્મનું ટાઈટલ બદલવાનો નિર્ણય કરી લીધો છે.
અગાઉ ફિલ્મ સર્જક નીરજ પાંડે તથા એક્ટર મનોજ વાજપેયી બંનેએ અલગ અલગ નિવેદનોમાં આ ફિલ્મનાં ટાઈટલનો બચાવ કરતાં એમ કહ્યુું હતું કે આ ફિલ્મ કોઈ ચોક્કસ સમુદાયને લગતી નથી કે કોઈ સમુદાયનાં અપમાનના ઉદ્દેશથી બનાવાઈ નથી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સામે જાગેલા ભારે વિરોધ બાદ કેન્દ્ર સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના આદેશથી આ ફિલ્મનું એનાઉન્સમેન્ટ ટીઝર તથા તેને લગતી તમામ પ્રમોશનલ ડિજિટલ કન્ટેન્ટ તમામ પ્લેટફોર્મ પરથી પાછી ખેંચી લેવાઈ હતી.


