- 2018માં જાહેરાત બાદ ફિલ્મ માંડી વાળી હતી
- રણવીર ઔરંગઝેબની ભૂમિકા ભજવવાનો હતો : કરીના, જાહ્નવીની પણ ભૂમિકા હતી
મુંબઈ: કરણ જોહરે તેની મોગલ સામ્રાજ્ય પરની ફિલ્મ 'તખ્ત' રિવાઈવ કરવાનો ઈન્કાર કરી દીધો છે. કરણે એક વાતચીતમાં કહ્યું હતું કે આ ફિલ્મ માટે એકદમ પરફેક્ટ સ્ક્રીન પ્લે લખાયો હતો. કદાચ મારી કારકિર્દીમાં સૌથી બેસ્ટ સ્ક્રીનપ્લે આ ફિલ્મ માટે તૈયાર કરાયો હતો. પરંતુ, હાલ તુરત આ ફિલ્મ રિવાઈવ કરવાનો મારો કોઈ ઈરાદો નથી.
ઉલ્લેખનીય છે કે કરણ જોહરે ૨૦૧૮માં આ ફિલ્મની જાહેરાત કરી હતી. મૂળ પ્લાન પ્રમાણે તે ૨૦૨૧માં રીલિઝ થવાની હતી. તેમાં રણવીર ઔરંગઝેબની ભૂમિકા ભજવવાનો હતો. જ્યારે વિકી કૌશલ દારા શિકોહની ભૂમિકામાં હતો. ફિલ્માં આલિયા ભટ્ટ, કરીના કપૂર, જાહ્નવી કપૂર ભૂમિ પેડનેકર, અનિલ કપૂર સહિતના કલાકારો હશે તેવી પણ જાહેરાત થઈ હતી. જોકે, જે તે સમયે રાજકીય સંવેદનશીલ પરિસ્થિતિને કારણે 'ઔરંગઝેબ' પરની ફિલ્મના ઘેરા પ્રત્યાઘાત પડશે તેવી આશંકાએ કરણ જોહરે ફિલ્મ માંડી વાળી હતી.
બાદમાં એવું બહાનું અપાયું હતું કે કોરોના લોકડાઉનનો સમય વીતી જાય તે પછી આ ફિલ્મ રિવાઈવ કરાશે. તે પછી સતત એમ કહેવાતું રહ્યું હતું કે બોલિવુડમાં હાલ બિગ બજેટ ફિલ્મો ચાલતી નથી એટલે આ ફિલ્મ રિવાઈવ નહીં કરાય.


