ભારતમાં રિલીઝ નહીં થાય દિલજીતની ફિલ્મ, પાકિસ્તાની અભિનેત્રીના કારણે ભારે ટ્રોલિંગ બાદ નિર્ણય
Sardaarji 3 controversy: દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી ફિલ્મ 'સરદાર જી 3'નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળતા સોશિયલ મીડિયામાં દિલજીતને યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. જણાવી દઈએ કે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. ત્યાર પછી પાકિસ્તાની કલાકારોને ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 'સરદારજી 3'માં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા જોવા મળતા વિવાદ વધ્યો છે. ફિલ્મના મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મ ભારતમાં રિલીઝ થશે નહીં.
આ પણ વાંચો : દિલજીતની નવી ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ
ભારતમાં રિલીઝ નહીં થાય:
ફિલ્મ 'સરદાર જી 3'ના કો-પ્રોડ્યુસર ગુનબીર સિંહ સિદ્ધુએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘અમારી ફિલ્મ ભારત-પાકિસ્તાન તણાવથી ઘણાં પહેલાં શૂટ થઈ ચૂકી હતી. પણ અમે હાલની સ્થિતિને અને ભારતીય લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ભારતમાં ફિલ્મ રિલીઝ નહીં કરીએ. આ ફિલ્મ ઓવરસીઝ રિલીઝ થશે પણ અમે ભારતમાં રિલીઝ માટે યોગ્ય સમયની રાહ જોઈશું.’
દિલજીત દોસાંઝની કોઈપણ ફિલ્મ રિલીઝ થવા નહીં દઈએ:FWICE
ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના અધ્યક્ષ બી. એન. તિવારીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘દિલજીત દોસાંઝ અને 'સરદાર જી 3'ના મેકર્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકવા માટે સત્તાવાર નિર્દેશ જાહેર કરાશે. તેમની કોઈપણ ફિલ્મ અથવા પ્રોજેક્ટ ભારતમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી અમને પૂર્ણ સહયોગ આપશે.’