Bade Sahab in Dhurandhar 2 Movie: રણવીર સિંહની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ'ના 18 માર્ચે યોજાયેલા પેઇડ પ્રિવ્યૂ બાદ આજે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, જેણે સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં એટલો જબરદસ્ત ક્રેઝ હતો કે તેઓ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેના સૌથી મોટા સસ્પેન્સ એટલે કે 'બડે સાહબ' કોણ છે, તે રહસ્ય પરથી પણ હવે પડદો ઊંચકાઈ ગયો છે.
'ધુરંધર 2' ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ
વર્ષ 2025ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'ની આ સિક્વલને લઈને દર્શકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગના આંકડાઓ જ સાબિત કરે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહ ફરી એકવાર 'હમઝા' ઉર્ફે જસકિરત સિંહ રંગીના પાવરફુલ પાત્રમાં જોવા મળી રહ્યો છે, જ્યારે સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજ કલાકારો પણ પોતપોતાના જૂના અંદાજમાં પરત ફર્યા છે.
'બડે સાહબ'ના સસ્પેન્સનો અંત
ફિલ્મના ટીઝર અને ટ્રેલર બાદ સોશિયલ મીડિયા પર જે પાત્રની સૌથી વધુ ચર્ચા હતી તે 'બડે સાહબ'નું હતું. લાંબા સમયથી એવી અટકળો ચાલતી હતી કે આ નેગેટિવ રોલમાં સલમાન ખાન, અક્ષય કુમાર કે ઈમરાન હાશ્મી જોવા મળી શકે છે. જોકે, હવે આ તમામ અટકળોનો અંત આવ્યો છે. ફિલ્મમાં 'બડે સાહબ'નું પાત્ર વાસ્તવમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું છે અને આ મહત્ત્વની ભૂમિકા ટેલેન્ટેડ એક્ટર દાનિશ ઇકબાલે ભજવી છે. આ પાત્રને આખી વાર્તાના માસ્ટરમાઇન્ડ અને મુખ્ય વિલન તરીકે રજૂ કરવામાં આવ્યું છે.
વિલનનો ચહેરો થયો સ્પષ્ટ: ચાહકોમાં 'ધુરંધર 2' જોવાની આતુરતા વધી
'બડે સાહબ'નું પાત્ર ભજવનાર દાનિશ ઇકબાલ એક એવોર્ડ વિનિંગ એક્ટર અને ડીરેક્ટર છે. તેમને વેબ સિરીઝ 'મહારાની 2'માં દિલશાદ મિર્ઝાના પાત્રથી ખાસ ઓળખ મળી હતી અને તાજેતરમાં જ તે નાના પાટેકરની ફિલ્મ 'સંકલ્પ'માં પણ જોવા મળ્યા હતા. થિયેટરની દુનિયામાં મોટું નામ ધરાવતા દાનિશ ઇકબાલે આ ફિલ્મમાં દાઉદ ઈબ્રાહિમના પાત્રમાં જબરદસ્ત જીવ પૂર્યો છે. હવે જ્યારે વિલનનો ચહેરો સ્પષ્ટ થઈ ગયો છે, ત્યારે ચાહકોમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા અનેકગણી વધી ગઈ છે.
આ પણ વાંચો: સરકે ચુનર સોંગના હિન્દી વર્ઝન વિશે અજાણ હોવાનો નોરાનો દાવો
મજબૂત સ્ટારકાસ્ટ અને પાવરફુલ પરફોર્મન્સ
ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, રણવીર સિંહ આ ફિલ્મમાં 'હમઝા અલ મઝારી'ના એક ગંભીર અને મિસ્ટ્રીથી ભરેલા રોલમાં જોખમી પરિસ્થિતિઓનો સામનો કરતો નજરે પડે છે. સમગ્ર ફિલ્મ બદલો, વિશ્વાસઘાત અને સસ્પેન્સથી ભરપૂર છે, જે દર્શકોને છેલ્લે સુધી જકડી રાખે છે. રણવીર સિંહે પોતાની દમદાર એક્ટિંગથી ફરી એકવાર ચાહકોના દિલ જીતી લીધા છે. તેની સાથે ફિલ્મની હિરોઈન સારા અર્જુને પણ પોતાની સાદગી અને શાનદાર અભિનયથી ફિલ્મમાં જીવ પૂરી દીધો છે. અન્ય કલાકારોએ પણ પોતપોતાની ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો છે, જેના કારણે ફિલ્મની વાર્તા વધુ મજબૂત બની છે.


