AR Rahman : મ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાન ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. થોડા સમય પહેલા તેઓ 'સાંપ્રદાયિક ભેદભાવજનક' ટિપ્પણીને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. હવે રહેમાન પર ગીત ચોરીનો આરોપ લાગ્યો છે. આ આરોપ ધ્રુપદ શૈલીના ભારતીય શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ફૈય્યાઝ વાસિફુદ્દીન ડાગરે લગાવ્યો છે. જેમાં તેમણે કમ્પોઝર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે.
રહેમાન ફરી કેમ વિવાદમાં ફસાયા?
ઉસ્તાદ ફૈય્યાઝ વાસિફુદ્દીન ડાગરે આરોપ લગાવ્યો છે કે, એ.આર. રહેમાને મણિરત્નમની તમિલ ફિલ્મ 'પોન્નિયન સેલ્વન 2' ના ગીત 'વીરા રાજા વીરા' માં તેમના પરિવારની જૂની રચના 'શિવ સ્તુતિ' નો કેટલોક ભાગ ચોર્યો છે. આ ફિલ્મ વર્ષ 2023માં આવી હતી, જેને ઘણી પસંદ કરવામાં આવી હતી.
સૂલ તાલની ચોરીનો આરોપ
ફૈય્યાઝ દાવો ધ્રુપદ ગાયકી કે આખી બંદિશ પર નથી, પરંતુ તેને જે 'સૂલ તાલ' (જે એક ખાસ પ્રકારનો તાલ છે) માં બાંધવામાં આવી છે, તે તેમની પોતાની મૌલિક બાબત છે. સામાન્ય રીતે તેને 'ચૌતાલ' માં ગાવામાં આવે છે, જે અમીર ખુસરોએ લગભગ 800 વર્ષ પહેલાં બનાવી હતી. પરંતુ ડાગર શૈલીમાં તેને 'સૂલ તાલ' માં ગાવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટમાં શું થઈ સુનાવણી?
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોય માલ્ય બાગચીની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. જેમાં ચીફ જસ્ટિસે કહ્યું કે, ડાગર વાણીને કોઈ પરિચયની જરૂર નથી. આખી દુનિયા ડાગર પરિવાર અને તેમના ધ્રુપદ સંગીતને જાણે છે. આ લોકો પેઢીઓથી ઉચ્ચ દરજ્જાના કલાકાર છે. તેમણે આગળ એ.આર. રહેમાનના વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું કે, તમે પણ તો પ્રખ્યાત સંગીતકાર છો.
અસલી લેખક તપાસવા માંગીએ છીએ
જસ્ટિસ બાગચીએ કહ્યું, 'અમે એ તપાસવા માંગીએ છીએ કે અસલી લેખક કોણ છે. પહેલા ગીત ગાઈ લેવાથી કોઈ લેખક નથી બની જતું. તમારે એ સાબિત કરવું પડશે કે આવી ધૂન પહેલા કોઈ બીજા પાસે નહોતી. તમે સ્વીકારી ચૂક્યા છો કે પ્રતિવાદી (રહેમાનની ટીમ) ડાગર પરંપરાનો ભાગ છે.' ચીફ જસ્ટિસે કહ્યું, 'જો ડાગર પરિવારે ભારતીય સંગીતમાં આટલું મોટું યોગદાન ન આપ્યું હોત, તો શું આજના મોડર્ન ગાયકો બજારમાં ટકી શક્યા હોત?'
આ પણ વાંચો :ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને 'લોટરી', 37 મામલતદારની બદલી
રહેમાન તરફથી સિંધવીએ કરી દલીલ
રહેમાનના વકીલ અભિષેક મનુ સિંઘવીએ બંને જસ્ટિસને કહ્યું, 'અમે ક્યારેય કોઈના અધિકાર પર દાવો નથી કરતા. પરંતુ જ્યારે મારા ક્લાયન્ટ (રહેમાન) કંઈક કરે છે, ત્યારે દાવો કરે છે.' જસ્ટિસ બાગચીએ કહ્યું, 'તેઓ (રહેમાન) પરંપરાગત શાસ્ત્રીય સંગીતના ભક્ત રહ્યા છે.' સિંઘવીએ કહ્યું, 'મેં આવી ધૂન એક ફિલ્મમાં વાપરી છે, બીજી કોઈમાં નહીં.' ચીફ જસ્ટિસે કહ્યું, 'આ એવો કેસ નથી જ્યાં જજે બચવું જોઈતું હતું. આ સન્માનિત સંગીતકારોનો મામલો છે.'
રહેમાનના વકીલે આગળની સુનાવણી માટે પોતાના ક્લાયન્ટ રહેમાન પાસેથી નિર્દેશ લેવા સુનાવણી ટાળવાની વિનંતી કરતા અદાલતે આગામી શુક્રવાર એટલે કે 20 ફેબ્રુઆરી સુધી સુનાવણી ટાળી દીધી છે.
હાઈકોર્ટના આદેશને પડકાર્યો
ઉસ્તાદ ફૈય્યાઝ વાસિફુદ્દીન ડાગરે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. જેની હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. હાઈકોર્ટે અગાઉ જે સ્ટે આપ્યો હતો તે રદ કર્યો હતો. તેમાં આરોપ હતો કે એ.આર. રહેમાન અને ફિલ્મ 'પોન્નિયન સેલ્વન 2' ના ગીત 'વીરા રાજા વીરા' માં તેમની 'શિવ સ્તુતિ' રચનાના કેટલાક સૂર બદલીને દરબારી કાનડા જેવું બનાવવામાં આવ્યું છે અને આ કોપીરાઈટ ભંગ સમાન છે.
હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, રહેમાનની ટીમમાં બે કલાકારો એવા હતા જે પહેલા ઉસ્તાદ વાસિફુદ્દીન ડાગરના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા હતા અને તેઓ આ રચના તથા ગાયકીથી સારી રીતે વાકેફ હતા. ઉસ્તાદ ડાગરનો દાવો છે કે, કોઈ પુસ્તક કે રચના પર લેખકનું નામ ન લખ્યું હોય તો પણ લેખક હોવાનો દાવો મટી જતો નથી અને સેક્શન 55(2) ફક્ત એક ધારણા બાંધે છે, કોઈ કડક નિયમ નથી.
ડાગરનો એવો પણ દાવો છે કે, તેમના પિતા નાસિર ફૈય્યાઝુદ્દીન ડાગર અને કાકા ઝહીરુદ્દીન ડાગરે 'શિવ સ્તુતિ' ની રચના કરી હતી. જેનો ઉપયોગ રહેમાને પરવાનગી વગર કર્યો છે. તેમણે દાવો કર્યો કે 'વીરા રાજા વીરા' ના બોલ ભલે અલગ હોય, પરંતુ તેનો તાલ, બીટ અને સંગીતનું માળખું 'શિવ સ્તુતિ' જેવું જ છે.


