Rajpal Yadav Bail Plea Verdict: જાણીતા અભિનેતા રાજપાલ યાદવ વર્ષો જૂના ચેક બાઉન્સ કેસમાં ફસાયેલા છે. તેમણે રૂ. 9 કરોડ (આશરે $1.5 મિલિયન) ચૂકવવાના છે. કોર્ટે આજે(16 ફેબ્રુઆરી) રાજપાલની જામીન અરજી પર સુનાવણી હાથ ધી હતી. આ અંગે દિલ્હી હાઇકોર્ટે રાજપાલ યાદવના વકીલને વચગાળાના જામીન માટે રૂ.1.5 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવા માટે બપોરે 3 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે જો આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવે તો તેમને મુક્ત કરાશે. નહીં તો કેસની સુનાવણી આવતીકાલે સવારે, 17 ફેબ્રુઆરીએ થશે. જોકે, 2.5 કરોડ રૂપિયા જમા કરી દેવાતા રાજપાલ યાદવને દિલ્હી હાઇકોર્ટે જામીન આપ્યા છે. જણાવી દઈએ કે, રાજપાલ યાદવે 19 ફેબ્રુઆરીએ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે જામીન અરજી દાખલ કરી હતી.
રાજપાલને દિલ્હી હાઇકોર્ટે આપ્યો ઠપકો
દિલ્હી હાઇકોર્ટમાં અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે અભિનેતાએ સમયમર્યાદા વધારવા છતાં લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા. કોર્ટે રાજપાલના વકીલ દ્વારા કરવામાં આવેલી તમામ દલીલોને પાયાવિહોણી ગણાવી હતી. રાજપાલે તેમની સજા રદ કરવાની વિનંતી કરી હતી.
આ માંગણીના જવાબમાં કોર્ટે કહ્યું, ‘તેમણે પહેલેથી જ લોન લીધી હોવાનું કબૂલ્યું છે, તો તેમને કેવી રીતે માફ કરી શકાય? તેમને પૈસા ચૂકવવા માટે 25-30 તકો આપવામાં આવી હતી, પરંતુ તેઓ હજુ સુધી તે કરી શક્યા નથી. હવે તેઓ સજા પર રોક કેમ માંગી રહ્યા છે?’
કોર્ટે રાજપાલને ઠપકો આપતાં કહ્યું કે, ‘તમે કોર્ટના આદેશને કારણે નહીં, પરંતુ તમારા પોતાના કામના કારણે જેલમાં છો. રાજપાલના વકીલના મતે, લોનની રકમના 3 કરોડ રૂપિયાથી વધુ ચૂકવી દેવામાં આવ્યા છે. અરજદારને 2.10 કરોડ રૂપિયા જમા કરાવવાના છે.’
રાજપાલ યાદવ વિવાદમાં કેવી રીતે ફસાઈ ગયા?
2012માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ રાજપાલની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ હતી. રાજપાલે તેને બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. જો કે, ફિલ્મ નિષ્ફળ ગઈ અને રાજપાલને નોંધપાત્ર નુકસાન થયું. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે પૈસા પાછા માંગ્યા, જે રાજપાલ ચૂકવી શક્યા નહીં.
મામલો કોર્ટ સુધી પહોંચ્યો. 2018 માં, મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે કાનૂની કાર્યવાહી કરી. રાજપાલ અને તેની પત્ની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. વ્યાજ સાથે 5 કરોડ રૂપિયાની આ રકમ વધીને 9 કરોડ રૂપિયા થઈ ગઈ. આ કેસમાં અભિનેતાને બે વાર જેલ થઈ ચૂકી છે. ઘણી વખત મુદત લંબાવ્યા પછી, જ્યારે તે પૈસા ચૂકવી શક્યો નહીં, ત્યારે તેને આત્મસમર્પણ કરવાની ફરજ પડી.
રાજપાલ યાદવને સેલિબ્રિટીઓ તરફથી ટેકો મળ્યો
મુશ્કેલીના આ સમયમાં બોલિવુડ સેલિબ્રિટી અને દિગ્ગજો રાજપાલની મદદે આવ્યા છે. સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન, ડેવિડ ધવન, સોનુ સૂદ, તેજ પ્રતાપ યાદવ, રાવ ઇન્દરજીત સિંહ, ગુરુ રંધાવા, ગુરમીત ચૌધરી, કેઆરકે અને મીકા સિંહે મદદનો હાથ લંબાવ્યો છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ લોકોને રાજપાલને મદદ કરવા માટે આગળ આવવા અપીલ કરી છે. રાજપાલની પત્નીએ સેલિબ્રિટીઓ દ્વારા આપવામાં આવેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.


