Get The App

અમિતાભ બચ્ચન સાથે ગ્રાન્ડ ડેબ્યૂ છતાં ટીવી સિરિયલોમાં પણ કામ ન મળ્યું! બોલિવૂડ વિલનનું દર્દ છલકાયું

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
Abhimanyu Singh Struggle Story
(IMAGE - WIKIPEDIA)

Abhimanyu Singh Struggle Story: ફિલ્મ 'રક્ત ચરિત્ર'માં વિલન 'બુક્કા રેડ્ડી'ના ખતરનાક રોલથી ફેમસ થયેલા એક્ટર અભિમન્યુ સિંહ આજે બોલિવૂડ અને સાઉથ સિનેમાનું એક જાણીતું નામ છે. જોકે, તેના માટે સફળતાનો આ રસ્તો બિલકુલ આસાન નહોતો. ઇન્ડસ્ટ્રીમાં ન તો તેમનો કોઈ ગોડફાધર હતો કે ન તો કોઈ ઓળખાણ. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેણે પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, કરિયરની શરૂઆતમાં જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પહેલી ફિલ્મ કરવાનો મોકો મળ્યો હોવા છતાં, હું લાંબા સમય સુધી સાવ બેરોજગાર હતો અને મારે કામ માટે ભટકવું પડ્યું હતું.

મનોજ બાજપેયીની ભલામણથી મળી હતી પહેલી ફિલ્મ

અભિમન્યુ સિંહે ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં લગભગ 8 વર્ષ સુધી થિયેટર (નાટક) કર્યું હતું. એકવાર અભિનેતા મનોજ બાજપેયી તેનું એક નાટક જોવા આવ્યા અને અભિમન્યુની એક્ટિંગથી પ્રભાવિત થઈને તેણે ડાયરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મેહરાને તેનું નામ સજેસ્ટ કર્યું. રાકેશ મેહરાએ સ્ક્રીન ટેસ્ટ લીધા પછી અભિમન્યુને ફિલ્મ 'અક્સ' (Aks) માટે સાઇન કરી લીધો. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન મુખ્ય રોલમાં હતા. પહેલી જ ફિલ્મમાં બિગ બી સાથે કામ મળવું એ અભિમન્યુ માટે સપનું સાકાર થવા જેવું હતું.

ફિલ્મ ફ્લોપ થતાં ટીવી સિરિયલોએ પણ કામ આપવાની ના પાડી

અભિમન્યુએ જણાવ્યું કે, 'અક્સ' ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી અને તેના કારણે મારા કરિયર પર બ્રેક લાગી ગઈ. તેમણે પોતાના દિલનું દર્દ ઠાલવતા કહ્યું, 'લોકોને લાગે છે કે મને પહેલી જ ફિલ્મ અમિતાભ બચ્ચન સાથે મળી એટલે મારું કરિયર શાનદાર રહ્યું હશે, પણ આ સચ્ચાઈ નથી. ફિલ્મ ફ્લોપ થયા પછી મને ટીવી સિરિયલોમાં પણ કામ નહોતું મળી રહ્યું. ઇન્ડસ્ટ્રીનો એવો નિયમ છે કે જો ફિલ્મ ફ્લોપ જાય, તો તમે ગમે તેવી સારી એક્ટિંગ કરી હોય, તેની કોઈ ગણતરી થતી નથી અને તમને કામ મળતું બંધ થઈ જાય છે.'

આ પણ વાંચો: ફરી ફિલ્મોમાં કામ કરવા મીનાક્ષી શેષાદ્રી ભારત પરત આવી

પટનાનો કિસ્સો યાદ કરીને સમજાવ્યું ફિલ્મોનું ગણિત

પોતાની વાત આગળ વધારતા અભિમન્યુએ જણાવ્યું કે, ઘણીવાર એવું બને છે કે ફિલ્મો શરૂઆતમાં ફ્લોપ જાય છે પણ પછીથી હિટ સાબિત થાય છે અથવા તો તેના કોઈ ખાસ સીનને કારણે એક્ટરને ઓળખ મળી જાય છે. તેમણે પટનાનો પોતાનો એક જૂનો કિસ્સો યાદ કરતા કહ્યું, 'જ્યારે અનિલ કપૂરની ફિલ્મ 'તેજાબ' રીલિઝ થઈ, ત્યારે પહેલા જ દિવસે અમે થિયેટર ગયા તો આખું થિયેટર ખાલી હતું. પરંતુ અમને ફિલ્મ બહુ જ ગમી હતી. બરાબર 10 દિવસ પછી જ્યારે અમે ફરી એ ફિલ્મ જોવા ગયા, ત્યારે થિયેટર હાઉસફુલ હતું અને ટિકિટો બ્લેકમાં વેચાઈ રહી હતી.' એટલે કે, ઘણી ફિલ્મો એક અઠવાડિયા પછી જોર પકડે છે, પરંતુ તેમની પહેલી ફિલ્મ ફ્લોપ થતાં જ તેમણે લાંબા સમય સુધી કામ વગર બેસી રહેવું પડ્યું હતું.