છોટા ઉદેપુર: બોડેલીના ધનપુર વસાહતમાં કોતરના પૂરના પાણીમાં તણાયેલી 4 વર્ષીય બાળકીનો મૃતદેહ મળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લામાં ગઈકાલે (31મી જુલાઈ) પડેલા ભારે વરસાદને કારણે તમામ નદી-નાળા અને કોતરો બે કાંઠે વહેવા લાગ્યા છે. વરસાદી આફત વચ્ચે બોડેલી તાલુકામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બોડેલી તાલુકાના તાંદલજા ધનપુર વસાહતમાં રહેતી 4 વર્ષીય રિયાંશી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેનો મૃતદેહ આજે (પહેલી ઓગસ્ટ) વહેલી સવારે મળી આવ્યો છે.
પાણીના પ્રવાહ વચ્ચે દાદાના હાથમાંથી બાળકીનો હાથ છૂટી ગયો
મળતી માહિતી અનુસાર, ગઈકાલે રિયાંશી તેના પિતા અને દાદા સાથે ખેતરેથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન રસ્તામાં આવેલા પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે દાદાના હાથમાંથી રિયાંશીનો હાથ છૂટી ગયો હતો અને તે જોતજોતામાં કોતરના પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
NDRFની ટીમે 500 મીટર દૂરથી બાળકીનો મૃતદેહ શોધી કાઢ્યો
ઘટનાની જાણ થતાં જ ગઈકાલથી જ NDRFની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. NDRFની ટીમે ભારે જહેમત બાદ આજે (પહોલી ઓગસ્ટ) સવારે ઘટનાસ્થળેથી અંદાજે 500 મીટર દૂરથી 4 વર્ષીય રિયાંશીનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.
NDRF દ્વારા બાળકીનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે બોડેલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. માસુમ દીકરીના મોતથી સમગ્ર ગામ અને પરિવારમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.









