India–EU FTA Deal Impact On Cars Price : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આવતીકાલે 27 જાન્યુઆરીએ 'મધર ઓફ ઓલ ડીલ' એટલે કે ઐતિહાસિક વેપાર કરાર થવાનો છે. બંને વચ્ચે જે ‘મુક્ત વેપાર કરાર’ થવાનો છે, તેમાં મોંઘી લક્ઝુરિયસ કારની ડીલ પણ સામેલ છે. આ ડીલ માટે યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન હાલ ભારતની મુલાકાતે છે અને આવતીકાલે તેઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કર્યા બાદ ભારત-ઈયુ ડીલ અંગે મોટી જાહેરાત કરી શકે છે. ડીલમાં મોંઘી લક્ઝુરિયસ કારનો પણ સમાવેશ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ભારત સરકાર યુરોપીય યુનિયનથી આવતી કારો પરની આયાત ડ્યૂટીમાં મોટી કપાત કરવાની તૈયારીમાં છે. હાલ યુરોપથી ભારત આયાત થતી કારોનો પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 110 ટકા સુધી પહોંચી ગઈ છે, જેમાં 40 ટકા ઘટાડો કરવાનો પ્રસ્તાવ છે.
ભારતે યુરોપથી આયાત થતી કારો પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા મંજૂરી આપી
રિપોર્ટ મુજબ, ભારત સરકારે 15,000 યુરો એટલે કે લગભગ 16.3 લાખ રૂપિયાથી વધુની કિંમતવાળી યુરોપમાં બનેલી કારો (લિમિટેડ યુનિટ્સ) પર આયાત કર ઘટાડવા તાત્કાલીક મંજૂરી આપી દીધી છે. જ્યારે આગામી સમયમાં તેમાં વધુ ઘટાડો કરીને 10 ટકા સુધી લાવવાની તૈયારી છે. જો બંને વચ્ચે વાટાઘાટો સફળ રહેશે તો યુરોપથી ભારતમાં આયાત થતી કારોની કિંમતમાં ભારે ઘટાડો થઈ શકે છે, જેનાથી વોક્સવેગન, મર્સિડીઝ બેંઝ અને BMW જેવી યુરોપીયન બ્રાન્ડની કારો ભારતમાં સરળતાથી એન્ટ્રી કરી શકશે અને ભારતીયોને પણ આ કારો ખરીદવામાં મોટો ફાયદો થશે.
ડીલ પર ગમે ત્યારે જાહેરાત થવાની સંભાવના
મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, કાર ડીલ અંગેની સમજૂતી પર મંગળવારે જાહેરાત થવાની સંભાવના છે. જોકે આ મામલે ભારતના વાણિજ્ય મંત્રાલય અને યુરોપીયન આયોગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. તેમ છતાં એવું મનાઈ રહ્યું છે કે, બંને તરફ ચાલી રહેલી વાતચીત અંતિમ તબક્કામાં છે અને કોઈપણ સમયે મોટી જાહેરાત થઈ શકે છે.
ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત પુરી થવાની જાહેરાત તઈ શકે છે. ત્યારબાદ સમજૂતીને અંતિમરૂપ આપવામાં પ્રક્રિયા બાકી રહેશે, જેમાં થોડો સમય લાગી શકે છે.
...તો મોંઘી કારોની કિંમતમાં થશે 50 ટકા સુધીનો ઘટાડો
વર્તમાન સમયમાં યુરોપની 45000થી 50000 યુરોની કિંમતની કારો જ્યારે ભારત આવે છે, ત્યારે તેના પર લાગતો ટેક્સ કારની ચોક્કસ કિંમત જેટલો કે પછી તેનાથી વધુ સુધી પહોંચી જાય છે. આ જ કારણે આવી કારો ભારતીય શોરૂમ સુધી પહોંચતા-પહોંચતા ઘણી મોંઘી થઈ જાય છે.
જો ઈમ્પોર્ટ ડ્યૂટી 40 ટકા સુધી લિમિટેડ કરવામાં આવશે તો ટેક્સનો બોઝ ઘટી જશે. જેના કારણે GST અને ડીલ માર્જિનની રકમ ઉમેરવા છતાં એક્સ-શોરૂમની કિંમતમાં મોટો તફાવત જોવા મળશે. જાણકારોનું માનવું છે કે, નવી ટેક્સ વ્યવસ્થા લાગુ થયા બાદ યુરોપીયન કારોની એક્સ-શોરૂમ કિંમત 30થી 50 ટકા સુધી ઘટી શકે છે. એટલે કે કરોડો રૂપિયાની કારો લગભગ 25થી 30 લાખ રૂપિયા સુધી ઘટી શકે છે.
આ પણ વાંચો : EUના પ્રમુખ ભારતની ચાર દિવસની મુલાકાતે, PM મોદી સાથે 27 જાન્યુઆરીએ કરશે મોટી જાહેરાત
આવતીકાલે ભારત-EU વચ્ચે મોટી બેઠક
ઉલ્લેખનીય છે કે, ઈયુના અધ્યક્ષાની ભારત મુલાકાતની સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારત-ઈયુ આજસુધી વિશ્વમાં કોઈપણ દેશે ન કરી હોય તેવી ‘ગેમ ચેન્જર ડીલ’ કરવાની તૈયારીમાં છે. ઈયુના અધ્યક્ષા અને એન્ટોનિયા કોસ્ટા સૌપ્રથમ 26 જાન્યુઆરીએ યોજાનાર પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. જ્યારે 27 જાન્યુઆરીએ ભારત-ઈયુ વચ્ચે મોટી બેઠક યોજાવાની છે, જેમાં તેઓ મોટા વેપારી કરાર પર હસ્તાક્ષર કરવાના છે. FTA ડીલ થયા બાદ ભારતના ઉત્પાદનો યુરોપીય સંઘમાં ઓછા અને મુક્ત ટૅરિફે આયાત થશે, જ્યારે યુરોપીય સંઘ પણ આવી રીતે જ ભારતમાં આયાત કરી શકશે.
આજસુધી કોઈપણ દેશે આવી ડીલ કરી નથી : ઉર્સુલા વોન ડેર લેયેન
યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula von der Leyen) સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં 20 જાન્યુઆરીએ કહ્યું હતું કે, ‘યુરોપિયન યુનિયન ભારત સાથે એવી ડીલ કરવાની તૈયારીમાં છે, જે આજસુધી કોઈપણ દેશે કરી નથી. આ ડીલથી 27 દેશોને મોટી રાહત થશે.’ બીજીતરફ ભારતના વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે પણ ભારત-ઈયી વેપાર કરારને ‘મધર ઑફ ઓલ ડીલ્સ’ ગણાવ્યો છે.
મુક્ત વેપાર કરારથી ભારતને શું ફાયદો ?
ભારત અને યુરોપીય સંઘ વચ્ચે 2024-2025માં લગભગ રૂ.11.8 લાખ કરોડ (136.5 અબજ ડૉલર)નો વેપાર થયો હતો. આમાં ભારતે રૂ.6,59,460 કરોડ(75.8 અબજ ડૉલર)ની નિકાસ કરી હતી, જ્યારે યુરોપીયન સંઘે રૂ.5,28,090 કરોડ(60.7 અબજ ડૉલર)ની નિકાસ કરી હતી. જોકે હવે બંને વચ્ચે ‘મુક્ત વેપાર કરાર’ થવાનો હોવાથી ભારતની નિકાસ ઝડપી વધશે. યુરોપના સર્વિસ સેક્ટરથી લઈને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભારતની નિકાસમાં ધરખમ વધારો થશે.
‘મુક્ત વેપાર કરાર’થી ભારતને થતા 10 મહત્ત્વના ફાયદા
1... ભારતની નિકાસ ઝડપથી વધશે
2... મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટની નિકાસ વધતા આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન મળશે
3... મેન્યુફેક્ચરિંગ, આઇટી, ડિજિટલ સર્વિસ, લોજિસ્ટિક અને MSME સહિતના સેક્ટરોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો નોકરીઓની તકો ઊભી થશે.
4... ભારતીય પ્રોફેશનલ્સને યુરોપમાં કામ કરવાની વધુમાં વધુ તક મળશે.
5... ભારતીય કંપનીઓ યુરોપમાં એન્ટ્રી પણ કરી શકે અને પોતાનો કારોબાર પણ વધારી શકશે.
6... ડીલની સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચીન પર ભારતની નિર્ભરતામાં ઘટાડો થશે.
7... અમેરિકાએ ટૅરિફથી યુરોપ સાથે સંબંધો બગાડ્યા છે. આવી સ્થિતિમાં ભારત યુરોપમાં વધુમાં વધુ આયાત કરીને મોટું માર્કેટ બની શકે છે.
8... જો ભારતના સ્ટાર્ટઅપ યુરોપમાં રોકાણ કરશે તો તેમને મોટો લાભ થશે.
9... ડીલના કારણે ભારત-યુરોપીયન સંઘ વચ્ચેનો કારોબાર 136 અબજ ડૉલરથી વધીને 200-250 અબજ ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે.
10... અમેરિકા ટૅરિફથી ભારત-યુરોપીયન સંઘ પર દબાણ કરી રહ્યું છે, જોકે ડીલ બાદ બંનેની આયાત-નિકાસમાં વધારો થવાની બંનેના અર્થતંત્રને ગતિ મળશે.
ભારત-EU વચ્ચે FTA કરારથી ટ્રમ્પને લાગશે ઝટકો
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિતના દેશો પર મસમોટો ટૅરિફ ઝિંકીને સંબંધો બગાડી રહ્યા છે, ત્યારે ભારતે અમેરિકાના ટૅરિફને જડબાતોડ જવાબ આપવા માટે અનેક દેશો સાથે સંબંધો વધારવાની સાથે વેપાર કરાર કરવાની કવાયત શરૂ કરી દીધી છે. એટલું જ નહીં ભારત પોતાના ગાઢ મિત્ર દેશો સાથે વેપાર ભાગીદારી પણ વધારી રહ્યું છે. તાજેતરમાં જ ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ ઉપરાંત ભારત -બ્રાઝિલ વચ્ચે પણ ટૂંક સમયમાં વેપાર કરાર પર મહત્ત્વનો નિર્ણય થવાનો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, 27 જાન્યુઆરીના રોજ ભારત અને યુરોપીય સંઘ (EU) વચ્ચે મુક્ત વેપાર કરાર(FTA)ની જાહેરાત થવાની છે, જેના કારણે ટ્રમ્પને મોટો ઝટકો લાગવાનો છે.


