Get The App

બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદમાં MICAની જમીન જપ્ત, કુલ ₹3,034 કરોડની સંપત્તિ ટાંચમાં

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદમાં MICAની જમીન જપ્ત, કુલ ₹3,034 કરોડની સંપત્તિ ટાંચમાં 1 - image

Anil Ambani ED Action : અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં 3,034.90 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી બાદ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિનો આંકડો 19,344 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.

અમદાવાદ સહિત અનેક રાજ્યોમાં સંપત્તિઓ ટાંચમાં

તપાસ દરમિયાન ઈડીએ પ્રમોટર ગ્રૂપની ઘણી મોંઘી સંપત્તિઓ શોધી PMLA હેઠળ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. ગુજરાતમાં અમદાવાદના સાણંદની જમીન એટલે કે મુદ્રા ફાઉન્ડેશન ઓફ કોમ્યુનિકેશન્સ, રિસર્ચ એન્ડ એજ્યુકેશન (MICA), મુંબઈમાં ઉષા કિરણ બિલ્ડિંગનો એક ફ્લેટ, ખંડાલાનું એક ફાર્મ હાઉસ અને RiseE ટ્રસ્ટ હેઠળના રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 7.71 Crore શેર પણ સામેલ છે. આ સાથે જ અનિલ અંબાણી ગ્રૂપ વિરુદ્ધની તપાસમાં કુલ જપ્તીનો આંકડો હવે ₹19,344 કરોડથી વધુ થઈ ગયો છે. 


શું હતો મામલો?

આ મામલો બેંકો સાથેની મોટી છેતરપિંડી સાથે જોડાયેલો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને LIC જેવી કંપનીઓએ ફરિયાદ કર્યા બાદ CBIએ FIR નોંધી હતી જેના આધારે ઈડીએ તપાસ હાથ ધરી છે. રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને તેમની અન્ય કંપનીઓએ ભારતીય અને વિદેશી બેંકો પાસેથી મોટું દેવું લીધું હતું જેમાંથી આશરે 40,185 કરોડ રૂપિયા હજુ પણ બાકી છે અને આ રકમ NPA જાહેર થઈ ચૂકી છે.

આ પણ વાંચો : બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્યાદા નક્કી કરી

અનિલ અંબાણીએ સંપત્તિ બચાવવા વ્યૂહરચના બનાવી હતી

ઈડીની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, સંપત્તિઓને બેંકોની લેણી નીકળતી રકમથી દૂર રાખવા માટે ખાસ વ્યૂહરચના બનાવાઈ હતી. અનિલ અંબાણીએ બેંકોને પોતાની પર્સનલ ગેરંટી આપી હતી પરંતુ અંગત મિલકતો બચાવવા માટે તેને રાઈસી ટ્રસ્ટ હેઠળ રાખવામાં આવી હતી. આ ટ્રસ્ટ અનિલ અંબાણી પરિવારનું ખાનગી ટ્રસ્ટ છે જેનો હેતુ બેંકોથી મિલકતો સુરક્ષિત રાખવાનો હતો.

જપ્ત મિલકતો પર કાયદાકીય પ્રક્રિયા પૂરી કરાશે

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ કેસમાં ફંડ ડાયવર્ઝન અને મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે. ઈડીના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી આ મિલકતો પર કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ તેને વેચીને મળેલી રકમ પીડિત બેંકોને સોંપવામાં આવશે. આ મામલે એજન્સી દ્વારા વધુ તપાસ હજુ ચાલુ છે.

આ પણ વાંચો : દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ