વડોદરાના માંજલપુર પેટા ચૂંટણી ઇફેક્ટ : સરકારી ગાડીઓ કોર્પોરેશનમાં જમા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને પગલે 2 જુલાઈથી આદર્શ આચારસંહિતા અમલમાં આવ્યા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિત પાંચ હોદ્દેદારોને ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ કોર્પોરેશન દ્વારા જમા લેવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ વાહનો ફરી સંબંધિત હોદ્દેદારોને પરત સોંપવામાં આવશે.
મળતી માહિતી મુજબ, માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થતાં ચૂંટણી પંચના નિયમો અનુસાર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના હોદ્દેદારોને ફાળવાયેલા સરકારી વાહનો જમા લેવાની જોગવાઈ છે. આ મુદ્દે પૂર્વ વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતા અમલમાં આવ્યા બાદ સરકારી વાહનોનો ઉપયોગ ચાલુ રહે તો તે આચારસંહિતાના ભંગ સમાન ગણાઈ શકે છે. સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી વડા તરીકે મ્યુનિસિપલ કમિશનરની કાયદેસરની જવાબદારી વાહનો જમા લેવાની હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું હતું.
દરમિયાન કોર્પોરેશન તંત્રએ કાર્યવાહી હાથ ધરી મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિત કુલ પાંચ હોદ્દેદારોની સરકારી ગાડીઓ ગઈકાલે રાત્રે વ્હીકલ પૂલ ખાતે જમા લીધી હતી. હવે પેટાચૂંટણીની વોટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આ વાહનો સંબંધિત હોદ્દેદારોને પરત આપવામાં આવશે.









