Baroda

વડોદરા: આમ આદમી પાર્ટીમાં ભંગાણ!, માજી સૈનિક અધ્યક્ષ સહિત 3 નેતાઓ કોંગ્રેસમાં જોડાયા

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં AAPને મોટો ફટકો પડ્યો છે. પૂર્વ સૈનિક અધ્યક્ષ વિનય ચૌહાણ, જોઈન્ટ સેક્રેટરી દશાંક ખરે અને સુપ્રભારી મનીષ પરમાર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે AAP નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં મહિલા સભ્ય પર દુષ્કર્મનો આરોપ દબાવવા અને માંજલપુર પેટાચૂંટણીમાં ઉમેદવાર ન ઉતારવા જેવા મુદ્દાઓ સામેલ છે. 100 થી વધુ કાર્યકરોએ રાજીનામા આપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: આમ આદમી પાર્ટીમાં ભંગાણ!, માજી સૈનિક અધ્યક્ષ સહિત 3 નેતાઓ કોંગ્રેસમાં જોડાયા

Major Blow to AAP In Vadodara: વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પાર્ટીના આદર્શો અને નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કરીને માજી સૈનિક અધ્યક્ષ વિનય ચૌહાણ, જોઈન્ટ સેક્રેટરી દશાંક ખરે અને સુપ્રભારી, વોર્ડ નંબર 16 મનીષ પરમાર સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

આપ નેતૃત્વ સામે ગંભીર આરોપો

કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ માજી સૈનિક અધ્યક્ષ વિનય ચૌહાણે 'આપ'ના મોવડીમંડળ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, 'વર્ષ 2021માં સ્વચ્છ રાજનીતિની વાતોથી પ્રભાવિત થઈને તેઓ પાર્ટીમાં જોડાયા હતા અને આંદોલનો કરી જેલમાં પણ ગયા હતા. પરંતુ સમય જતાં સમજાણું કે પાર્ટીના આદર્શો બિલકુલ ખોખલા છે. વડોદરા શહેરના નેતૃત્વ પર એક મહિલા સભ્યએ દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને અન્ય પાંચ લોકો સાથે પણ આવું થયાનું સામે આવ્યું હતું. છતાં બદનામીના ડરથી પાર્ટીએ આ મામલો દબાવી રાખ્યો હતો. નૈતિકતાના મુદ્દે કાર્યવાહી ન થતાં તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉપરથી આદેશ ન હોવાનું બહાનું કાઢીને આપ દ્વારા ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો ન હતો. આ દર્શાવે છે કે પાર્ટી માત્ર ભાજપ સામે મુખ્ય વિપક્ષને કમજોર કરવાનું કામ કરી રહી છે.'

કાર્યકરોના રાજીનામાં અંગે વિનય ચૌહાણે જણાવ્યું હતું કે, 'માંજલપુર વિધાનસભાના 100થી વધુ કાર્યકર્તાઓએ પણ પાર્ટીની આવી નીતિઓ સામે વિરોધ નોંધાવી રાજીનામા આપી દીધા છે. 150 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને તેમણે ગર્વ અનુભવ્યો હોવાનું વ્યક્ત કરી આગામી સમયમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.'