| AI Image |
Maha Shivratri 2026: આ વર્ષે ફેબ્રુઆરી માસમાં શિવભક્તિનો અનોખો અને દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે. સતત ત્રણ દિવસ સુધી ભગવાન ભોલેનાથની આરાધના માટેના શ્રેષ્ઠ દિવસો એકસાથે આવતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 14 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ભક્તિ પર્વમાં શનિ પ્રદોષ, મહા શિવરાત્રિ અને સોમવતી અમાસનો વિશેષ મહિમા રહેલો છે.
1. શનિ પ્રદોષ (14 ફેબ્રુઆરી): સંકટ મુક્તિ અને આરોગ્યનો દિવસ
જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, શનિવારના રોજ તેરસ (13) તિથિ આવતી હોવાથી તેને 'શનિ પ્રદોષ' કહેવામાં આવે છે. સ્કંદ પુરાણ મુજબ, આ વ્રત કરનારને ઉત્તમ આરોગ્ય, ઐશ્વર્ય અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. સાથે જ રોગ અને શત્રુઓ પર વિજય મળે છે. સૂર્યાસ્ત પછી અને રાત પહેલાના 'પ્રદોષ કાળ'માં શિવપૂજનનું વિશેષ મહત્ત્વ છે.
2. મહા શિવરાત્રિ (15 ફેબ્રુઆરી): શિવકૃપાની સર્વોત્તમ રાત્રિ
મહા વદ ચૌદશના દિવસે ભગવાન શિવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા, જે મહા શિવરાત્રિ તરીકે ઉજવાય છે. આ દિવસે ઉપવાસ, રાત્રિ જાગરણ અને અભિષેક કરવાથી અક્ષય પુણ્ય મળે છે. જે ભક્તો આખું વર્ષ પૂજા નથી કરી શકતા, તેઓ જો આ દિવસે શ્રદ્ધાથી પૂજન કરે તો તેમને આખા વર્ષની પૂજાનું ફળ મળે છે. માન્યતા છે કે આ વ્રત કરનારને અંત સમયે શિવદૂતો લેવા આવે છે.
3. સોમવતી અમાસ (16 ફેબ્રુઆરી): સૌભાગ્ય અને પરિવારની સુખાકારી
16 ફેબ્રુઆરી, સોમવારના રોજ અમાસ આવતી હોવાથી તેને 'સોમવતી અમાસ' કહેવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને મહિલાઓ માટે અતિ મહત્ત્વનો છે. આ દિવસે મહિલાઓ પીપળાના વૃક્ષની પૂજા-પ્રદક્ષિણા કરે છે અને મહાદેવ-પાર્વતી પાસે પરિવારની સુખાકારીના આશીર્વાદ માંગે છે. આ દિવસે જળાભિષેક, ફળાહાર અને દૂધના ત્યાગ સાથે વ્રત કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
શિવભક્તો માટે આ ત્રણ દિવસ મનોવાંછિત ફળ મેળવવાની અને આધ્યાત્મિક ઊર્જા પ્રાપ્ત કરવાની ઉત્તમ તક છે.


