અમદાવાદમાં શાહીબાગ અંડરપાસનું 24.81 કરોડના ખર્ચે પુનઃ નિર્માણ કરાશે, બે વર્ષમાં તૈયાર થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદમાં જૂના ઓવરબ્રિજોના પુનઃ નિર્માણ બાદ હવે અંડરપાસના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એવા શાહીબાગ અંડરપાસનું 24.81 કરોડ રૂપિયાના ખર્ચે પુનઃ નિર્માણ કરવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયું છે. આ અંગે હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી બેથી ત્રણ મહિનામાં વર્ક ઓર્ડર આપી કામગીરી શરૂ કરાશે. નવો અંડરપાસ તૈયાર થવામાં અંદાજે બે વર્ષનો સમય લાગશે, જેથી ઓક્ટોબર મહિનાથી આ અંડરપાસ બે વર્ષ માટે બંધ રહે તેવી શક્યતા છે.
નવી ડિઝાઈનમાં શું ફેરફાર કરાશે?
ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે જૂની ડિઝાઈનમાં મહત્વના ફેરફાર કરવામાં આવી શકે છે.
સમાંતર રોડ: અંડરપાસની બંને બાજુ (પોલીસ કમિશનર ઓફિસ અને આસ્ટોડિયા તરફ) રેલવે લાઈનને સમાંતર બે નવા ટૂ-લેન રસ્તા બનાવવામાં આવશે.
અંડરગ્રાઉન્ડ અંડરપાસ: આખો અંડરપાસ સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ કરી દેવાશે.
પહોળાઈમાં વધારો: અપર અને લોઅર લેનની પહોળાઈ 6 મીટરથી વધારીને 7.5 મીટર કરવામાં આવશે.
ભવિષ્યને ધ્યાને રાખી તૈયાર કરાયો છે પ્રોજેક્ટ
બ્રિજ પ્રોજેક્ટના એડિશનલ સિટી ઈજનેરના જણાવ્યા મુજબ, નવી ડિઝાઈનને કારણે RTO અને પોલીસ કમિશનર કચેરી તરફથી આવતા વાહનો જંકશન પર રોકાયા વગર સીધા નમસ્તે સર્કલ તરફ જઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ અંડરપાસની ઉપરથી જ બુલેટ ટ્રેનનો કોરિડોર પણ પસાર થાય છે.
વાહનચાલકો માટે ટ્રાફિક માથાનો દુઃખાવો બનશે
સુભાષ બ્રિજ તોડી પાડ્યા બાદ ટ્રાફિક શાહીબાગ અંડરપાસ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આ સિવાય અસારવા અને સારંગપુર રેલવે ઓવરબ્રિજ પણ હાલ બંધ છે. તેવામાં હવે શાહીબાગ અંડરપાસ પણ બંધ થતાં એરપોર્ટથી દિલ્હી દરવાજા અને ઘીકાંટા તરફ જતાં વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગો શોધવા પડશે, જેનાથી શાહીબાગ, અસારવા અને કાલુપુર રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.









