અમદાવાદ: મહમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, પણ ટીમમાં ફાયર-AMCની બાદબાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Ramol Firecracker Factory Blast: અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વસ્ત્રાલ ગામની સીમમાં ગેરકાયદે રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે(18 જુલાઈ) ભયાનક વિસ્ફોટ થતાં નવ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ગોઝારી દુર્ઘટના સર્જાયાના માત્ર 24 કલાક બાદ જ તંત્રએ આ ગેરકાયદે પતરાના શેડ ધરાવતી ફેક્ટરી પર જેસીબી ફેરવીને તેને તોડી પાડી છે. આ ઉપરાંત, આ જ વિસ્તારમાં પરવાના વિના ધમધમતી અન્ય બે ફેક્ટરીઓને પણ તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે. તેમજ સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરાઈ છે. જેમાં પોલીસ સિવાય બીજા કોઈ અધિકારીઓને સામેલ ન કરાતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.

મહમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના
મહમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં નવ લોકોના મૃત્યુ સંદર્ભે તપાસ કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SITની રચના કરવામાં આવી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે જે રામોલ વિસ્તારમાં છેલ્લા 25 દિવસથી આ ગેરકાયદે ફેક્ટરી બેરોકટોક ચાલી રહી હતી, તે જ પોલીસ સ્ટેશનના પીઆઇ, એસીપી અને ડીસીપીને આ સમગ્ર કેસની તપાસનો દોર સોંપવામાં આવ્યો છે.
આ પ્રકારની ગંભીર ઘટનાની ઝીણવટભરી તપાસમાં સામાન્ય રીતે મહાનગરપાલિકાનો એસ્ટેટ વિભાગ, ફાયર બ્રિગેડ, કલેક્ટર કચેરી કે ઈલેક્ટ્રિક વિભાગના અધિકારીઓની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે. આમ છતાં, SITમાં પોલીસ સિવાય અન્ય કોઈપણ વિભાગના અધિકારીઓને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યા નથી. આ તમામ મહત્ત્વપૂર્ણ વિભાગોની સીધી બાદબાકી કરી દેવાઈ છે અને તેમને માત્ર તપાસમાં સંકલન જાળવી રાખવા માટે જણાવવામાં આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.









