Ahmedabad

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલની લાપરવાહી! ક્રિકેટ સટ્ટાનો આરોપી નકલી વકીલ બની કેદીને મળી આવ્યો!

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની સાબરમતી જેલમાં 11 જુલાઈએ કુખ્યાત બુકી હરેશ મુલચંદાણી વકીલ બનીને કેદીને મળ્યો હોવાનું સામે આવ્યું છે. જેલના વકીલ રૂમનો ઉપયોગ આવા કૃત્યો માટે થતો હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો છે. જેલ સ્ટાફની સંડોવણી અને નકલી ઓળખપત્રની શક્યતા છે. CCTV ફૂટેજથી વધુ ખુલાસા થશે. સ્ટેટ મોનીટરીંગ સેલે ક્રિકેટ સટ્ટાનો ગુનો નોંધ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલની લાપરવાહી! ક્રિકેટ સટ્ટાનો આરોપી નકલી વકીલ બની કેદીને મળી આવ્યો!

Sabarmati Central Jail Controversy: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સુરંગ કાંડ, મોબાઈલ ફોન અને ડ્રગ્સનો ઉપયોગ કરવા જેવા અનેક વિવાદો સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે જેલમાં કેદીઓને મળવા માટે વકીલ રૂમનો દુરુપયોગ થતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગત 11 જુલાઈએ કુખ્યાત બુકી હરેશ મુલચંદાણી જેલના વકીલ મુલાકાત રૂમમાં કથિત રીતે નકલી વકીલ તરીકે આવીને કોઈ કેદીને મળી ગયો હતો. જેમાં જેલ સ્ટાફની સંડોવણી સાથે વકીલનું નકલી ઓળખપત્ર આપીને આવ્યા હોવાની પૂરી શક્યતા છે. આ કેસની તપાસમાં સીસીટીવી ફૂટેજથી મોટા ખુલાસા થવાની શક્યતા છે.

હરેશ મુલચંદાણી ક્રિકેટ સટ્ટાનો ગુનો નોંધવામાં આવ્યો હતો

નાના ચિલોડા વિસ્તારમાં રહેતા હરેશ મુલચંદાણી વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ક્રિકેટ સટ્ટાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેણે લિસ્ટેડ બુટલેગર વિનોદ સિંધી પાસેથી માસ્ટર આઈડી લીધું હતું અને આ આઈડીમાં કરોડો રૂપિયાનું બેલેન્સ મળી આવ્યું હતું. આ કેસમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વકીલ-કેદી મુલાકાત રૂમમાં વકીલ તરીકેની ઓળખ આપીને કેવી રીતે પહોંચ્યો?

સૂત્રોના જણાવ્યા મુજબ 11 જુલાઈના રોજ હરેશ મુલચંદાણી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલા વકીલ-કેદી મુલાકાત રૂમમાં વકીલ તરીકેની ઓળખ આપીને પહોંચ્યો હતો અને તેણે કોઈ કેસમાં જેલમાં રહેલા કેદી સાથે મુલાકાત કરી હતી. એક સિનિયર વકીલ જ્યારે તેમના અસીલને મળવા આવ્યા ત્યારે તેમણે હરેશ મુલચંદાણીને જોયો હતો. શરૂઆતમાં તેમને ખ્યાલ આવ્યો ન હતો, પરંતુ બાદમાં વકીલ તરીકે આવેલો વ્યક્તિ હરેશ મુલચંદાણી હોવાનું સ્પષ્ટ થયું હતું.

સામાન્ય રીતે વકીલ-કેદી મુલાકાત રૂમમાં આવતા પહેલા વકીલની નોંધ કરવામાં આવે છે અને સુરક્ષાના કારણોસર આઈ-કાર્ડ પણ ચકાસવામાં આવે છે. ત્યારે હરેશ મુલચંદાણી વકીલની ખોટી ઓળખ આપીને અંદર આવ્યો હોવાની પ્રબળ શક્યતા છે. વકીલ-કેદી રૂમમાં સીસીટીવી કેમેરા પણ હોય છે, જેના ફૂટેજના આધારે આ મામલે મોટા ખુલાસા થઈ શકે છે.