ATMમાં મદદના બહાને કાર્ડ બદલી ખાતા ખાલી કર્યા, 11 ગુનાના આરોપીના જામીન નામંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad ATM Debit Card Fraud Case: બેંકના ATMમાં ડેબિટ કાર્ડના ઉપયોગમાં મદદ કરવાના બહાને પીન નંબર જાણી લઇને ફરિયાદીનું અસલ ડેબિટ કાર્ડ બદલી નાંખી ડમી ડેબિટ કાર્ડ આપી આર્થિક ફાયદો મેળવવાના 11 ગુનાઓ કરનાર આરોપી રવિ હોશિયારસિંગ કુમાર અને સંજય પ્રેમસિંગ સૈનીની જામીન અરજી એડીશનલ સેશન્સ જજ જે.આઇ.પટેલે ફગાવી દીધી છે.
ATMમાં મદદ કરવાના બહાને પીન નંબર જાણી ડેબિટ કાર્ડ બદલીને લાખો પડાવ્યા
આરોપીઓની જામીન અરજી ફગાવતા કોર્ટે નોંધ્યું હતું કે, જે કોઇ વ્યક્તિને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા ના આવડતું હોય તેવા લોકોને ટાર્ગેટ કરતા હતા અને તેમને મદદ કરવાના બહાને તેમની પાછળ ઉભા રહી પીન નંબર જાણી લેતા હતા. આ પછી વાતચીતમાં રાખી અસલ ડેબિટ કાર્ડ લઇને તેના જેવુ જ ડમી ડેબિટ કાર્ડ આપી ભાગી જતા હતા અને અન્ય ATMમાં જઇને રૂ.1.50 લાખ ઉપાડી લીધા હતા. આરોપીઓ સામે આ પ્રકારના 11 જેટલાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આથી જામીન પર મુકત કરવા ન્યાયોચિત નથી.
આરોપીઓ કરેલી જામીન અરજીમાં એવી રજૂઆત કરેલી કે, તેઓની સામે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદમાં અજાણ્યા ઇસમોનો ઉલ્લેખ કરેલો છે. આ ગુનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા ન હોવા છતાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. આથી ન્યાયના હિતમાં જામીન પર મુકત કરવા જોઇએ.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધિર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે, આરોપીઓ વિરુધ્ધ અસલ ડેબિટ કાર્ડ બદલી નાંખી ડમી ડેબીટ કાર્ડ આપી રૂ.1.50 લાખ ઉપાડી લેવાનો ગંભીર પ્રકારનો ગુનો છે. આરોપીઓ આ પ્રકારના ગુનાહિત ગુના કરવાની ટેવ ધરાવે છે. તેમની સામે 11 જેટલાં ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ ગુનો કરીને હરિયાણા ભાગી જતા હતા. અને થોડા સમય બાદ પાછા આવી આ પ્રકારના ગુનાઓ કરતા હતા. આરોપીઓને જામીન પર મુકત કરવામાં આવે તો તેઓ ભાગી જાય તેવી પુરેપુરી શક્યતા રહેલી છે. આથી આરોપીઓને જામીન પર મુકત કરવા ન્યાયના હિતમાં નથી. કોર્ટે બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.




