Tantri Lekh

ભણેલા ભૂલા પડયા

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
ભારતમાં યુનિવર્સિટી ડિગ્રીઓ છતાં રોજગારબજારમાં કુશળતાનો અભાવ એક મોટી સમસ્યા બની રહ્યો છે. નીતિ આયોગના નવા રિપોર્ટ મુજબ, માત્ર 8.25% સ્નાતકોને તેમની લાયકાત મુજબ નોકરી મળે છે. શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું અંતર વધતા, વિદ્યાર્થીઓ જે શીખે છે અને નોકરીદાતાઓને જે કુશળતાની જરૂર છે તેમાં મેળ નથી. ડિગ્રી કરતાં વ્યવહારુ જ્ઞાન અને સમસ્યા હલ કરવાની ક્ષમતા વધુ મહત્વની બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભણેલા ભૂલા પડયા

પેઢીઓથી ભારતમાં યુનિવર્સિટીની ડિગ્રીને વધુ સારા જીવનની ચાવી માનવામાં આવે છે. પરિવારો વર્ષોની બચત ખર્ચે છે, વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારીમાં વર્ષો વિતાવે છે અને સમાજ ઘણી વખત વ્યક્તિના નામ પાછળ જોડાયેલી ડિગ્રી પરથી તેની શૈક્ષણિક સફળતાનું મૂલ્યાંકન કરે છે. પરંતુ આજે રોજગાર બજાર એક વધુ અસ્વસ્થ કરનારો પ્રશ્ન પૂછી રહ્યું છે- કોઈ સ્નાતક કે અનુસ્નાતક વાસ્તવમાં શું કરી શકે છે? ભારતની વિસ્તરી રહેલી શિક્ષણ વ્યવસ્થાએ લાખો ડિગ્રીધારકો તૈયાર કર્યા છે, છતાં શિક્ષણથી રોજગાર સુધીની તેમની સફર હજુ પણ અસમાન છે. સમસ્યા એ નથી કે ડિગ્રીઓ અચાનક નકામી બની ગઈ છે. વાસ્તવિક સમસ્યા એ છે કે માત્ર ડિગ્રી હવે રોજગાર મેળવવાની પૂરતી ખાતરી આપનારી રહી નથી. વિદ્યાર્થીઓ જે શીખે છે અને નોકરીદાતાઓને જે કુશળતાઓની જરૂર છે, તેમની વચ્ચે વધતું અંતર ભારતની શિક્ષણવ્યવસ્થા સામેના સૌથી મહત્વપૂર્ણ પડકારો છે.
નીતિ આયોગના ૨૦૨૬ના Education and Skilling for Employment નામના નવા રિપોર્ટમાં પણ આ જ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ભારતે માત્ર પ્રમાણપત્રો અને ડિગ્રી પર આધારિત શિક્ષણ વ્યવસ્થાથી આગળ વધીને વિદ્યાર્થીઓએ ખરેખર શું શીખ્યું છે અને તેઓ વાસ્તવમાં શું કરી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ ચિંતા માત્ર સૈદ્ધાંતિક નથી. નીતિ આયોગના અભ્યાસના સંદર્ભમાં થયેલા તાજેતરના અહેવાલો દર્શાવે છે કે શૈક્ષણિક લાયકાત અને રોજગાર વચ્ચે ભયંકર અંતર છે. ઉપલબ્ધ આંકડા અનુસાર, અભ્યાસ કરવામાં આવેલા સમયગાળામાં માત્ર ૮.૨૫ ટકા સ્નાતકોને તેમની શૈક્ષણિક લાયકાત સાથે સુસંગત નોકરી મળી હતી. તેનો અર્થ એ છે કે મોટી સંખ્યામાં યુવાનો માટે ડિગ્રી મેળવવી એ એવી નોકરી મેળવવાની ખાતરી નથી આપતી જેમાં તેમની ડિગ્રીનો ઉપયોગ થાય.
પરંતુ આનો અર્થ એ નથી કે ઉચ્ચ શિક્ષણનું મહત્વ ઘટી ગયું છે. યુનિવર્સિટીઓ જ્ઞાાન, બૌદ્ધિક જિજ્ઞાાસા, સંશોધન ક્ષમતા અને સામાજિક સમજ વિકસાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાસ્તવિક સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે ડિગ્રી સાધનને બદલે અંતિમ લક્ષ્ય બની જાય છે. વિદ્યાર્થી પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરીને પ્રમાણપત્ર મેળવે છે, પરંતુ તેની પાસે અસરકારક રીતે વાતચીત કરવાની, અજાણી સમસ્યાઓ ઉકેલવાની, ટીમમાં કામ કરવાની, આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની અથવા સૈદ્ધાંતિક જ્ઞાાનને વાસ્તવિક જીવનની પરિસ્થિતિમાં લાગુ કરવાની ક્ષમતા ન હોય તો તેની ડિગ્રીનું રોજગારમૂલ્ય ઝિરો થઈ જાય છે. આજે કૃત્રિમ બુદ્ધિમત્તા, ઓટોમેશન અને ડિજિટલ ટેક્નોલોજી અર્થતંત્રને ઝડપથી બદલી રહ્યા છે ત્યારે શિક્ષણ અને રોજગાર ક્ષમતાની વચ્ચેનો આ તફાવત વધુ ગંભીર બની ગયો છે. નોકરીદાતાઓને હવે માત્ર થોડાં વર્ષો પહેલાં શીખેલી માહિતી યાદ રાખનારા લોકોની નહીં, પરંતુ સતત નવી બાબતો શીખી શકનારા લોકોની જરૂર છે.
કૃત્રિમ બુદ્ધિમત્તાના પ્રભાવ હેઠળ અનેક ક્ષેત્રોમાં ટેક્નિકલ જ્ઞાાન પણ ઝડપથી જૂનું થઈ શકે છે. તેથી અનુકૂલનક્ષમતા, વિવેચનાત્મક વિચારશક્તિ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને સહકારથી કામ કરવાની કુશળતા - પરંપરાગત ટેક્નિકલ લાયકાત જેટલી જ મહત્વપૂર્ણ બની છે. એન્જિનિયરિંગ ક્ષેત્ર તેનું ઉત્તમ ઉદાહરણ છે. ભારતમાં વિશાળ સંખ્યામાં એન્જિનિયરિંગ સ્નાતકો ઉપલબ્ધ હોવા છતાં નોકરીદાતાઓ હજુ પણ મજબૂત વિશ્લેષણાત્મક અને ગાણિતિક ક્ષમતા, જિજ્ઞાાસા, સંવાદ કૌશલ, ટીમવર્ક અને સતત શીખવાની ક્ષમતા ધરાવતા ઉમેદવારોની અછત અનુભવે છે. એટલે સમસ્યા માત્ર શિક્ષિત યુવાનોની અછતની નથી. સમસ્યા એવી વ્યક્તિઓની અછતની છે જેમણે પોતાના શિક્ષણને ઉપયોગી અને વ્યવહારુ ક્ષમતામાં રૂપાંતરિત કર્યું હોય. આ વિરોધાભાસ વિવિધ ક્ષેત્રોમાં જોવા મળે છે. કોઈ સ્નાતક પાસે બેચલર કે માસ્ટર ડિગ્રી હોઈ શકે છે, પરંતુ વાસ્તવિક પ્રોજેક્ટ પર કામ કરવાનો અનુભવ ન હોય. માર્કેટિંગનો વિદ્યાર્થી સિદ્ધાંતો જાણતો હોય, પરંતુ વાસ્તવિક પ્રોજેક્ટ તૈયાર કરવાનો અનુભવ ન ધરાવતો હોય.
ભારતની સ્કિલિંગ વ્યવસ્થા સામે પણ આ જ પડકાર છે. લાખો લોકોને તાલીમ આપવામાં આવી હોવા છતાં મોટી સંખ્યામાં યુવાનો હજુ પણ શિક્ષણ, રોજગાર અને તાલીમથી બહાર છે. તેનું એક કારણ એ છે કે તાલીમ કાર્યક્રમો હંમેશાં નોકરીદાતાઓની જરૂરિયાતો અથવા શીખનારાઓની વાસ્તવિક પરિસ્થિતિ સાથે સુસંગત હોતા નથી. તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે દેશે પ્રમાણપત્રોની સંખ્યાને કૌશલની ગુણવત્તા માનવાની માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે.