સુરતના પાંડેસરામાં જ્વેલર્સને ત્યાં ચોરો ત્રાટક્યા, છતનું પતરું કાપી 30 લાખના દાગીનાની લૂંટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jewellery Theft In Surat: સુરતના પાંડેસરા વિસ્તારમાં તસ્કરોએ એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવીને અંદાજે 30 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફિલ્મી ઢબે થયેલી આ ચોરીને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
છતનું પતરું કાપી તસ્કરો દુકાનમાં ઘૂસ્યા
મળતી માહિતી અનુસાર, પાંડેસરાના ગીતા નગર ખાતે આવેલી ‘ક્રિષ્ના જ્વેલર્સ’ નામની દુકાનમાં મોડી રાત્રે આ ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ ચોરી કરવા માટે એક અનોખો કીમિયો અપનાવ્યો હતો. આસપાસના લોકોને જરાય અવાજ ન આવે તે રીતે તસ્કરોએ જ્વેલર્સની દુકાનની ઉપરની છતનું પતરું કાપ્યું હતું. ત્યારબાદ તસ્કરો છતના રસ્તેથી દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને તિજોરી-કાઉન્ટરમાં રાખેલા તમામ કિંમતી સોના-ચાંદીના દાગીના પર હાથફેરો કરી આસાનીથી રફુચક્કર થઈ ગયા હતા.
પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે
વહેલી સવારે જ્યારે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ ફંગોળવા સહિતની પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
6 મહિના પહેલાં પણ થયો હતો નિષ્ફળ પ્રયાસ
દુકાનના માલિકના જણાવ્યાનુસાર, આ જ્વેલર્સની દુકાનમાં અગાઉ છ મહિના પહેલાં પણ તસ્કરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તસ્કરોનો મનસૂબો પાર પાડી શક્યા ન હતા અને ભાગી ગયા હતા. આ વખતે તસ્કરો પાકું આયોજન કરીને આવ્યા હોય તેમ પોતાનો પ્લાન પાર પાડવામાં સફળ રહ્યા હતા.
છેલ્લા 7 મહિનામાં 7થી 8 મોટી ચોરીઓ!
પાંડેસરા અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનેગારોનો ગ્રાફ સતત વધી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને વેપારીઓના જણાવ્યાનુસાર, છેલ્લા સાડા છ થી સાત મહિનાના ટૂંકા ગાળામાં જ આ પંથકમાં 7 થી 8 જેટલી મોટી ચોરીની ઘટનાઓ બની ચૂકી છે.









