સુરતમાં શાળાની ઘોર બેદરકારી: ધાબા પર ગયેલા ધોરણ 9ના વિદ્યાર્થીનું વીજ કરંટથી મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16માં શાળા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના ધાબા પર મુકવામાં આવેલા લાઈટના લોખંડના થાંભલામાંથી વીજ કરંટ લાગવાના કારણે ધોરણ 9માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શાળા કેમ્પસમાં ભારે અરેરાટી સાથે વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
સારવાર મળે તે પહેલાં જ વિદ્યાર્થીનું મોત
મળતી માહિતી અનુસાર, સુમન શાળા નંબર 16માં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પીટી (PT)ના લેક્ચર માટે શાળાના ધાબા પર ગયા હતા. આ દરમિયાન અબ્દુલ રહેમાન મહમદ સલીમ નામના વિદ્યાર્થી ધાબા પર આવેલા લાઈટના લોખંડના થાંભલા પાસે પહોંચ્યો હતો. થાંભલામાં કરંટ આવતો હોવાથી અબ્દુલ રહેમાન તેને અડી જતાં જ તેને વીજ આંચકો લાગ્યો હતો. વીજ કરંટ લાગતાં જ વિદ્યાર્થી સ્થળ પર જ ઢળી પડ્યો હતો. બનાવ અંગે તાત્કાલિક જાણ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
સરકારી શાળાના કેમ્પસમાં જ લાઈટના લોખંડના થાંભલામાં વાયરિંગની ખામી કે ખુલ્લા વાયરને કારણે કરંટ આવી રહ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ પ્રકારની સુરક્ષા ક્ષતિ સામે શાળા તંત્રના લાપરવાહ વલણ સામે અનેક સવાલો ઊભા થયા છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.









