વિમેન્સ એશિયા કપ 2026: શું હરમનપ્રીત કૌરની ટીમ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે? જૂનો વિવાદ ફરી સપાટી પર આવવાની શક્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trophy Tension Returns In Asia Cup: વિમેન્સ એશિયા કપ 2026 શરૂ થવા પહેલાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નવો વિવાદ ચર્ચામાં આવ્યો છે. આ મામલો મેદાન પરની રમતનો નહીં, પરંતુ પોસ્ટ-મેચ ટ્રોફી પ્રેઝન્ટેશનનો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ મોહસિન નકવી ટુર્નામેન્ટમાં હાજર રહેવાની શક્યતા છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળની ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચીને ખિતાબ જીતે છે, તો શું તે પાકિસ્તાનના ગૃહમંત્રી અને ACC પ્રમુખ મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારશે કે કેમ.
ગયા વર્ષે સૂર્યકુમાર યાદવની ટીમે ટ્રોફી લેવાની પાડી હતી ના
આ વિવાદ પાછળનું મુખ્ય કારણ અંદાજે 1 વર્ષ પહેલાં 28 સપ્ટેમ્બર 2025ના રોજ રમાયેલા મેન્સ એશિયા કપ ફાઇનલનો કિસ્સો છે.
- વિવાદનું કારણ: દુબઈમાં યોજાયેલી તે મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી, પરંતુ પહલગામ આતંકી હુમલા અને બંને દેશો વચ્ચે સર્જાયેલા ભારે તણાવના કારણે સૂર્યકુમાર યાદવની ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
- ટ્રોફી લઈને જતા રહ્યા નકવી: ભારતીય ટીમના સ્પષ્ટ ઇનકાર બાદ મોહસિન નકવી ટ્રોફી લઈને ત્યાંથી ચાલ્યા ગયા હતા. તે ટ્રોફી આજદિન સુધી વિજેતા ભારતીય ટીમને સોંપવામાં આવી નથી.
નકવી અને BCCI વચ્ચે હજુ પણ વણઉકેલાયેલો વિવાદ
પુરુષ એશિયા કપ બાદ નકવીએ પહેલાં એવું કહ્યું હતું કે ભારતીય ટીમ ઇચ્છે તો ACC કાર્યાલયથી ટ્રોફી મેળવી શકે છે, પરંતુ બાદમાં પોતાનું વલણ બદલીને દાવો કર્યો હતો કે ભારતે તેમની પાસેથી જ ટ્રોફી લેવી પડશે. આ દરમિયાન ICCની બેઠકમાં BCCI સચિવ દેવજિત સૈકિયા અને મોહસિન નકવી વચ્ચે મુલાકાત પણ થઈ હતી. જોકે, જૂના વિવાદનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી અને હવે વિમેન્સ એશિયા કપમાં તે જ પરિસ્થિતિ ફરી સામે આવવાની સંભાવના છે.
ટુર્નામેન્ટનું શિડ્યુલ, ફોર્મેટ અને 'નો હેન્ડશેક' પ્રોટોકોલ
- આયોજન અને તારીખો: વિમેન્સ એશિયા કપનું આયોજન દુબઈ ખાતે 28 ઑગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન T20 ફોર્મેટમાં થશે.
- ભારત-પાક મુકાબલો: ભારત અને પાકિસ્તાન બંને એક જ ગ્રૂપમાં છે અને તેમની વચ્ચે 5 સપ્ટેમ્બરના રોજ ગ્રૂપ મેચ રમાશે.
- ઔપચારિક શિષ્ટાચાર બંધ: બંને દેશો વચ્ચેના તણાવને જોતાં નક્કી કરવામાં આવ્યું છે કે ખેલાડીઓ વચ્ચે ઔપચારિક શિષ્ટાચારનું આદાન-પ્રદાન થશે નહીં.
- ફાઇનલમાં જ ફરી ટક્કર શક્ય: આ ટુર્નામેન્ટના ફોર્મેટ મુજબ બંને ટીમો 5 સપ્ટેમ્બર પછી માત્ર 13 સપ્ટેમ્બરની ફાઇનલમાં જ ફરી આમને-સામને આવી શકે છે.
શું હરમનપ્રીત કૌરની ટીમ પણ એ જ વલણ અપનાવશે?
હાલમાં આ સંભવિત પરિસ્થિતિ અંગે BCCI તરફથી કોઈ સત્તાવાર વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. બોર્ડની નજર હાલ ટુર્નામેન્ટ પર છે અને ટ્રોફી વિતરણ અંગેનો નિર્ણય મેચના સંજોગો મુજબ લેવામાં આવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે જો ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન બને છે, તો શું 2025નો ટ્રોફી વિવાદ ફરી દોહરાવાશે કે પછી BCCI અને ACC પહેલેથી કોઈ અલગ વ્યવસ્થા ગોઠવીને મંચ પરની અણધારી અસમંજસ ટાળશે.









