IND vs SA: ટીમ ઈન્ડિયા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 મુકાબલા પહેલા મોટું નિવેદન આપ્યું છે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે 22 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આફ્રિકા સામે મેચ છે. તે પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવને અભિષેક શર્મા, પીચ, ટીમમાં સ્થિતિ, બેટિંગ ક્રમ અંગે અનેક સવાલો કરવામાં આવ્યા, જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનને પોતાનો સ્પષ્ટ મત રાખ્યો.
અભિષેકના ફોર્મ પર સૂર્યાનો જવાબ
કેપ્ટન સૂર્યકુમાર યાદવે અભિષેકના સતત ત્રણ વખત શૂન્ય પર આઉટ થવા અંગે ઉઠી રહેલા સવાલોને ફગાવી દેતા કહ્યું કે, અમને કોઈ જ ચિંતા નથી, જે કોઈ લોકો અભિષેકના ફોર્મને લઈને ચિંતા કરી રહ્યા છે, હું તેમના માટે ચિંતિત છું કે તે કેમ ચિંતત છે, આ એક ટીમ ગેમ છે, અહીં દરેક ખેલાડી આ પ્રકારના ખરાબ સમયમાંથી ગુજરે છે, પાછળના વર્ષમાં અભિષેકે અમને સંભાળ્યા હતા. આ વખતે તે રન નથી બનાવી રહ્યા તો અમે તેમના માટે રન બનાવી દઇશું. જણાવી દઈએ કે અભિષેક શર્મા ટી20 વર્લ્ડકપમાં ત્રણ મેચ રમ્યો છે તે ત્રણેય મેચમાં શૂન્ય પર આઉટ થયો છે. એક મુકાબલામાં પેટની બીમારીના કારણે તે બહાર થયો હતો. કેપ્ટન સૂર્યકુમારના સપોર્ટ બાદ સુપર 8માં પણ અભિષેક શર્મા યથાવત રહેશે તેવા પૂરેપૂરા સંકેત છે.
પરિસ્થિતિનું સન્માન કરવું ખૂબ જ જરૂરી
પિચ અને પરિસ્થતિને લઈને સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે ટીમ દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે, કેપ્ટને માન્યું કે વિકેટ વધારે પડકારજનક ન હતી, પરંતુ ટીમે જે તે સ્થિતિ વખતે તેમાં ઢળવાની કોશિશ કરી. બેટિંગમાં પરિસ્થિતિનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. ટીમ ઈન્ડિયા પાસે પર્યાપ્ત કૌશલ્ય છે. એવા ખેલાડી છે જે મેચને ગમે તે સમયે વળાંક આપી શકે છે.
શું હાલ જ અભિષેક-તિલકને હટાવી દઉં?
જ્યાં પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર તેમજ સંજુ સેમસનને સામેલ કરવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો સૂર્યકુમાર હસી પડ્યોઅને કહ્યું કે, શું હાલ જ અભિષેકને હટાવી દઉં? કે તિલકને? સૂર્યાએ સ્પષ્ટ કર્યું કે ટીમ સંયોજન હાલ સંતુલિત છે, કોઈ ઠોસ કારણ વગર ફેરફારની જરૂર નથી. તિલક વર્માને ઓપનિંગમાં મોકલવાના સવાલ પર કેપ્ટને કહ્યું કે, આ બધુ મેચની સ્થિતિ પર નિર્ભર કરે છે. ઓપનર જો સારી શરૂઆત ન આપી શકે તો બાદમાં તાત્કાલિક ટીમે ગતિ બદલવી પડે છે. વિકેટ બચાવવી પડે છે. નહીં તો નીચલા ક્રમે આવનાર ખેલાડીઓ પર દબાવ વધી જાય, મને બોલર પર પણ સંપૂર્ણ ભરોસો છે.
ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડકપમાં સુપર 8માં ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે છે. ત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે સાફ કરી દીધું છે કે ટીમ કોઈ પણ દબાણમાં નથી તે ખેલાડીઓ પર સંપૂર્ણ ભરોસો રાખે છે.


