T20 World Cup 2026, India-Pakistan Match Dispute : T20 વર્લ્ડકપ-2026માં પાકિસ્તાને ઊભા કરેલા નાટકની વિશ્વભર નોંધ લેવાઈ રહી છે. ટુર્નામેન્ટમાં પાકિસ્તાને ભારત સામે મેચો રમવાનો ઇન્કાર કર્યો હતો, જેના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સલ સિહત અનેક દેશોના ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનને ક્રિકેટની ગરિમા જાળવવાની સલાહ આપી રહ્યા છે. તાજેતરમાં જ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે (SLC) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ને ચેતવણી સમાન સલાહ આપી હતી, ત્યારે હવે સંયુક્ત આરબ અમીરાતે પણ પાકિસ્તાનને પત્ર લખીને મોટા નુકસાનથી બચવાની સલાહ આપી છે. આ દરમિયાન પાકિસ્તાનને ICC તરફથી એક મોટો ફટકો પડ્યો છે.
ICC એ પાકિસ્તાનની કોઈપણ શરતો સ્વીકારી નહીં
ICC T20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC)એ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની શરતો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ICC એ સ્પષ્ટપણે કહ્યું છે કે આ સમગ્ર ઘટના માટે બાંગ્લાદેશને કોઈપણ રીતે દંડ કરવામાં આવશે નહીં અને ICCના આવકનો તેનો હિસ્સો મળતો રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ICC એ આ નિર્ણય ખુદ લીધો છે અને તેમાં કોઈ અન્ય બોર્ડ પર દબાણ નથી. બાંગ્લાદેશ ભલે હાલના વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હોય, પરંતુ તેને કોઈ નાણાકીય નુકસાન થશે નહીં.
ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચો પર સંકટ
પાકિસ્તાને T20 વર્લ્ડકપ-2026માં ભારત સામેની મેચોમાં રમવાનો ઇન્કાર કર્યા બાદ બંને દેશો વચ્ચેની હાઇવોલ્ટેજ મેચો પર સંકટના વાદળો ઘેરાયેલા છે. આ મામલે સમાધાન લાવવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ના સતત સંપર્કમાં રહી સમજાવાનો પ્રયાસ કરી રહી છે. તો શ્રીલંકાએ પણ PCBને વલણ બદલવા ચેતવણી આપી છે. આ આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે સંયુક્ત આરબ અમિરાત(UAE)એ પણ અહેસાન ન ભૂલવા પાકિસ્તાનને કડક શબ્દોમાં સલાહ આપી છે.
શ્રીલંકા બાદ UAEનો પાકિસ્તાનને પત્ર
મીડિયા રિપોર્ટ મુજબ એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે(ECB) પત્ર લખીને પાકિસ્તાનને ક્રિકેટ પરિવારનો મુખ્ય સભ્ય ગણાવ્યો છે અને લખ્યું છે કે, ‘જ્યારે પાકિસ્તાન મુશ્કેલીમાં હતું ત્યારે યુએઈએ તેને મેદાન ઉપલબ્ધ કરાવ્યા છે. આ ઉપરાંત અનેક આંતરરાષ્ટ્રીય મેચોના આયોજનમાં પણ મદદ કરી છે. પાકિસ્તાન ક્રિકેટને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે યુએઈએ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધની મેચોનો બહિષ્કાર એ ક્રિકેટ માટે મોટું નુકસાન સાબિત થશે. એટલું જ નહીં પાકિસ્તાનના આ નિર્ણયના કારણે એસોસિયેટ દેશોની નાણાકીય સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે.’
લાહોરની સિક્રેટ મીટિંગની ઇનસાઇડ સ્ટોરી
ICCના આકરા વલણ બાદ પાકિસ્તાને પીછેહટ કરી. મામલાને સંભાળવા માટે રવિવારે મોડી રાત્રે લાહોરમાં ICC અને PCBના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે એક સિક્રેટ બેઠક થઈ હતી. જેમાં મુખ્યત્વે આગામી ટુર્નામેન્ટ્સ અને ભારત-પાક સીરિઝની શક્યતાઓ પર ચર્ચા થઈ હતી.
• PCBની રણનીતિ: પાકિસ્તાન બોર્ડ જાણે છે કે ભારત વગર તેમની રેવન્યુ (કમાણી) અધૂરી છે. તેથી, તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને મનાવવા માટે સોફ્ટ પાવરનો ઉપયોગ કરી રહ્યા છે.
• હાઇબ્રિડ મોડલનો ડર: પાકિસ્તાનને ડર છે કે જો ભારત પાકિસ્તાન રમવા નહીં આવે, તો ટુર્નામેન્ટ 'હાઇબ્રિડ મોડલ' (બીજા દેશમાં મેચો યોજવી) પર જતી રહેશે, જેનાથી પાકિસ્તાનને આર્થિક નુકસાન થશે.
• ખેલાડીઓની સુરક્ષા: પાકિસ્તાની અધિકારીઓએ ખાતરી આપી છે કે ભારતીય ખેલાડીઓને સર્વોચ્ચ સ્તરની સુરક્ષા અપાશે અને મેદાન પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
પાકિસ્તાન કેમ 'હાથ મિલાવવા' પર ભાર મૂકી રહ્યું છે?
જેમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને પણ સામેલ કરાયું. બેઠક દરમિયાન પાકિસ્તાને ભારત વિરુદ્ધ મેચ રમવા બદલ 3 શરતો રાખી, જેમાં સૌથી વધુ ચર્ચા ભારતીય ખેલાડીઓ દ્વારા ફરજિયાત હાથ મિલાવવાની માગને લઈને થઈ. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અત્યારે એક એવી સ્થિતિમાં છે જ્યાં તેઓ ઇચ્છે છે કે દુનિયા સામે એક 'સકારાત્મક ઇમેજ' ઊભી થાય. લાહોરની મીટિંગમાં થયેલી ચર્ચાઓ મુજબ, પાકિસ્તાન આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
• સ્પોર્ટ્સમેન સ્પિરિટનો દેખાવ: પાકિસ્તાન ઇચ્છે છે કે જ્યારે ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન પ્રવાસે આવે (જો આવે તો), ત્યારે મેદાન પર બંને ટીમો વચ્ચેના સંબંધો ખૂબ જ મૈત્રીપૂર્ણ દેખાય. આનાથી તે સાબિત કરવા માંગે છે કે પાકિસ્તાનમાં ખેલાડીઓ સુરક્ષિત અને સન્માનિત છે.
• રાજકીય તણાવ ઓછો કરવાનો પ્રયાસ: ક્રિકેટના માધ્યમથી પાકિસ્તાન એવો સંદેશ આપવા માંગે છે કે સરહદ પર ગમે તેટલો તણાવ હોય, રમત ગમતમાં બંને દેશો નજીક આવી શકે છે.
મેચ રદ થવાથી ક્રિકેટ સિસ્ટમને નુકસાન થશે: ECB
UAE ક્રિકેટ બોર્ડે પત્રમાં લખ્યું છે કે, ‘T20 વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં હાઇવોલ્ટેજ મુકાબલા રદ થવાના કારણે પ્રસારણ અધિકાર, સ્પૉન્સરશિપ અને વિશ્વમાં ક્રિકેટ નિહાળઇતા દર્શકો પર સીધી અસર પડે છે. આ કારણે ક્રિકેટની આખી સિસ્ટમને નુકસાન થઈ શકે છે. તેથી તમામ પક્ષોએ મળીને વ્યવહારિક સમાધાનનો રસ્તો અપનાવવો જોઈએ.’
શ્રીલંકાએ પાકિસ્તાનને આપી હતી ચેતવણી
આ પહેલા શ્રીલંકા ક્રિકેટ બોર્ડે (SLC) પણ સંભવિત આર્થિક નુકસાનનો ઉલ્લેખ કરીને પીસીબીને પોતાનું વલણ બદલવા માટે અપીલ કરી હતી. હવે યુએઈની પીસીબીને સલાહથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટજગત ટુર્નામેન્ટની ગરિમા જાળવવા અને વાતચીતથી વિવાદનું સમાધાન લાવવા માટે પાકિસ્તાન પર દબાણ વધારી રહ્યું છે. પાકિસ્તાને નાટકો શરુ કર્યા બાદ ICCના અધિકારીઓએ PCB સાથે અનેક તબક્કામાં બેઠકો યોજી છે. વર્લ્ડકપના શેડ્યુલ પર અને આર્થિક નુકસાન ન થાય તે માટે આઇસીસી પાકિસ્તાનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આઇસીસી માટે બંને દેશોની મેચો ખૂબ જ મહત્ત્વની છે કે, કારણ કે, બંને દેશો વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ પ્રસારણ, જાહેરાત, દર્શકો માટે મોટું આકર્ષણ માનવામાં આવે છે.
ભારત વિરુદ્ધ રમવા પાકિસ્તાનની ત્રણ માંગ
બીજીતરફ ક્રિકબઝના રિપોર્ટ મુજબ, પાકિસ્તાને ભારત વિરુદ્ધ મેચ રમવા માટે આઇસીસી સમક્ષ ત્રણ માંગ મૂકી છે. તેની પ્રથમ માંગ એ છે કે, આઇસીસી દ્વારા વાર્ષિક મળતા ફંડમાં વધારો કરવામાં આવે. બીજી માંગ - આઇસીસી ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝ રમાડવાનો પ્રયાસ કરે. ત્રીજી માંગ - મેચ બાદ હાથ મિલાવવા જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે. રિપોર્ટ મુજબ પીસીબી પાકિસ્તાન સરકાર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે.


