Get The App

કેપ્ટન્સી ગઈ, ટીમમાંથી પણ હકાલપટ્ટી છતાં સૂર્યાએ જીત્યું દિલ! શ્રેયસ-વૈભવ માટે ખાસ મેસેજ

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
કેપ્ટન્સી ગઈ, ટીમમાંથી પણ હકાલપટ્ટી છતાં સૂર્યાએ જીત્યું દિલ! શ્રેયસ-વૈભવ માટે ખાસ મેસેજ 1 - image

Suryakumar Yadav reacts to Shreyas Iyer replacing him as India T20I captain : ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમની કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો છે અને તેના સ્થાને શ્રેયસ અય્યરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. જે બાદ સૂર્યકુમાર યાદવે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. 

સૂર્યકુમાર યાદવે શ્રેયસ અય્યરને પાઠવ્યા અભિનંદન 

સૂર્યકુમાર યાદવે કહ્યું કે, હું ખુશ છું કે ભારતીય ટી20 ટીમના છેલ્લા ત્રણેય કેપ્ટન મુંબઈના જ રહ્યા છે. મુંબઈ T20 લીગમાં ટ્રાયમ્ફ નાઈટ્સ MNE અને સોબો મુંબઈ ફાલ્કન્સ વચ્ચેની મેચના ટોસ દરમિયાન વાત કરતા સૂર્યકુમાર યાદવે શ્રેયસ અય્યરને ટીમમાં વાપસી અને કેપ્ટન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટીમમાંથી પડતા મૂકાયાના ગણતરીના કલાકોમાં જ સૂર્યાએ મોટું દિલ રાખતા કહ્યું કે,  શ્રેયસ માટે ખૂબ જ ખુશ છું કે તે ભારતીય T20I ટીમનો કેપ્ટન બન્યો છે. અમે અહીં મુંબઈમાં સાથે રમ્યા છીએ અને એ જાણીને ખુશી છે કે ભારતના છેલ્લા ત્રણ T20 કેપ્ટન મુંબઈમાંથી જ આવ્યા છે.

કેપ્ટન્સી ગઈ, ટીમમાંથી પણ હકાલપટ્ટી છતાં સૂર્યાએ જીત્યું દિલ! શ્રેયસ-વૈભવ માટે ખાસ મેસેજ 2 - image

ખાસ શુભકામનાથી લોકોના દિલ જીત્યા

આ સાથે જ સૂર્યાએ ઇન્સ્ટાગ્રામ પર આ શાનદાર અને યુવા ટીમનો ફોટો શેર કરતા લખ્યું, કે આ અત્યંત પ્રતિભાશાળી ટીમને આગળ આવનારા તમામ પડકારો માટે મારી ઘણી-ઘણી શુભેચ્છાઓ.

આ પોસ્ટમાં સૂર્યાએ ખાસ કરીને 15 વર્ષના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી માટે અત્યંત લાગણીસભર વાત કહી છે. વૈભવ સૂર્યવંશીને પહેલીવાર સિનિયર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. વૈભવની પ્રશંસા કરતા સૂર્યાએ લખ્યું કે, તે આ તક પોતાની મહેનતથી મેળવી છે. તારી સફરને આગળ વધતી જોવા માટે હું વ્યક્તિગત રીતે ખૂબ જ ઉત્સાહિત છું. 

કેપ્ટન્સી ગઈ, ટીમમાંથી પણ હકાલપટ્ટી છતાં સૂર્યાએ જીત્યું દિલ! શ્રેયસ-વૈભવ માટે ખાસ મેસેજ 3 - image

સિલેક્ટર્સે કેમ લીધો આ આકરો નિર્ણય?

અજીત અગરકરની આગેવાની હેઠળની ભારતીય પસંદગી સમિતિએ T20 વર્લ્ડ કપ 2026ની તરત જ પછીની સિરીઝમાં સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરવાનો આકરો નિર્ણય લીધો છે. પસંદગીકારોએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે, કારણ કે ભારત અત્યારથી જ વર્ષ 2028માં યોજાનારા ઓલિમ્પિક્સ અને T20 વર્લ્ડ કપ માટે નવી ટીમ તૈયાર કરવા માંગે છે.

યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન

છેલ્લા દોઢ વર્ષથી સૂર્યકુમાર યાદવનું ફોર્મ ચિંતાનો વિષય રહ્યું હતું અને તાજેતરના T20 વર્લ્ડ કપમાં પણ તેમનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું. આથી પસંદગીકારોએ તક જોઈને બેન્ચ પર બેઠેલા અન્ય યુવા ખેલાડીઓને પ્રાથમિકતા આપવાનું યોગ્ય માન્યું.

2024 અને 2025માં શાનદાર રહ્યું હતું શ્રેયસ અય્યરનું પ્રદર્શન

બીજી તરફ, શ્રેયસ અય્યરે ડિસેમ્બર 2023થી ભારત માટે એક પણ T20 મેચ રમી ન હતી. તે સમયે ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાથમિકતા ન આપવાના કારણે તેને ભારતીય ક્રિકેટ સેટઅપમાંથી અચાનક બહાર કરી દેવાયો હતો. પરંતુ શ્રેયસે શાનદાર વાપસી કરી; પહેલા તેણે કોલકાતા નાઈટ રાઈડર્સને IPL 2024નું ટાઇટલ જીતાડ્યું અને ત્યારબાદ પંજાબ કિંગ્સને ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચાડી. તેણે છેલ્લા બે વર્ષમાં 165થી વધુના શાનદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને પોતાની રમતને એક અલગ જ સ્તરે પહોંચાડી છે.

સૂર્યાનું ઓલિમ્પિક ગોલ્ડ જીતવાનું સપનું રોળાયું

વર્ષ 2024ના T20 વર્લ્ડ કપ પછી કેપ્ટનશીપ મેળવનાર સૂર્યકુમાર યાદવનો કેપ્ટન તરીકેનો રેકોર્ડ શાનદાર રહ્યો હતો. તેના નેતૃત્વમાં ભારતે તમામ દ્વિપક્ષીય સિરીઝ જીતી હતી. તાજેતરના વર્લ્ડ કપની શરૂઆતમાં મુશ્કેલ પિચો પર સંઘર્ષ કર્યા પછી, ભારતે છેલ્લી ત્રણ મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. વર્લ્ડ કપ જીત્યા બાદ હેડ કોચ ગૌતમ ગંભીરની બાજુમાં બેસીને સૂર્યાએ પોતાના ભવિષ્યના લક્ષ્ય અંગે વાત કરતા કહ્યું હતું કે, મારું હવે પછીનું લક્ષ્ય ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનું છે અને તે જ વર્ષે T20 વર્લ્ડ કપ પણ છે, હું બંને જીતવા માંગું છું.

પરંતુ, હવે શ્રેયસ અય્યરને કેપ્ટન પદ મળવા અને તિલક વર્માને વાઇસ કેપ્ટન બનાવવામાં આવતા સૂર્યાનું આ સપનું અધૂરું રહી જાય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ બંને બેટર્સ પણ ટીમમાં સૂર્યકુમાર યાદવ વાળા જ ક્રમ પર બેટિંગ કરે છે.