Sourav Ganguly Security: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળની નવનિયુક્ત ભાજપ સરકારે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા ઘટાડવાનો મોટો નિર્ણય લીધો છે. શુભેન્દુ અધિકારીની આગેવાની હેઠળની નવી રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણય બાદ હવે ગાંગુલીને 'ઝેડ કેટેગરી'ના બદલે 'વાય કેટેગરી'ની સુરક્ષા આપવામાં આવશે.
રાજ્યની નવી સુરક્ષા સમિતિ અને સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલા વીઆઈપી સુરક્ષાના રિવ્યુ બાદ આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા સેફ્ટી પ્રોટોકોલ હેઠળ લેવાયો નિર્ણય: રાજ્ય સુરક્ષા અધિકારી
સૌરવ ગાંગુલીની સુરક્ષા કેમ ઘટાડવામાં આવી તે અંગે સ્પષ્ટતા કરતા પશ્ચિમ બંગાળ સરકારના વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું છે કે, "રાજ્યના નવા સુરક્ષા પ્રોટોકોલ અને વર્તમાન સ્થિતિના વિશ્લેષણ મુજબ, સૌરવ ગાંગુલીને હવે ઝેડ કેટેગરીની હાઈ-લેવલ સુરક્ષાની કોઈ જરૂર જણાતી નથી. આ નિર્ણય કોઈ વ્યક્તિગત કારણોસર નહીં, પરંતુ આખા રાજ્યમાં વીઆઇપી સુરક્ષા વ્યવસ્થાની નવેસરથી કરવામાં આવેલી સમીક્ષા બાદ જ લેવામાં આવ્યો છે."
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં પશ્ચિમ બંગાળની તત્કાલીન મમતા બેનરજી સરકારે સૌરવ ગાંગુલીની લોકપ્રિયતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમની સિક્યોરિટી ‘વાય કેટેગરી’માંથી વધારીને ‘ઝેડ કેટેગરી’ની કરી દીધી હતી, જેને હવે નવી સરકારે ફરીથી ઘટાડી દીધી છે.
આ પણ વાંચો: પંડ્યા પરિવારમાં 10 ટ્રોફી છે..., હાર્દિક સાથે અણબનાવની અટકળો પર કૃણાલ પંડ્યાનો જવાબ
નિવૃત્તિ પછી પણ બંગાળમાં ગાંગુલીનો ભારે દબદબો
સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંના એક ગણાય છે. તેમણે ટીમ ઈન્ડિયાના સુકાની તરીકે હરભજન સિંહ, ઝહીર ખાન, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ અને એમએસ ધોની જેવા દિગ્ગજોને તક આપીને ભારતીય ક્રિકેટને વિશ્વ સ્તરે મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ પશ્ચિમ બંગાળમાં ‘દાદા’ તરીકે ઓળખાતા સૌરવ ગાંગુલીની લોકપ્રિયતા અને પ્રભાવ જરાય ઓછો થયો નથી. તેઓ બીસીસીઆઈના પ્રમુખ પદેથી હટ્યા બાદ હાલમાં ફરીથી કેબની કમાન સંભાળી રહ્યા છે.


