Get The App

‘લોકોને વાતનું વતેસર કરવાની ટેવ…’, યુઝવેન્દ્ર ચહલ સાથે વિવાદની અટકળો પર મહવશનો જવાબ

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
‘લોકોને વાતનું વતેસર કરવાની ટેવ…’, યુઝવેન્દ્ર ચહલ સાથે વિવાદની અટકળો પર મહવશનો જવાબ 1 - image

RJ Mahvash on Yuzvendra: મહિનાઓથી ચાલી રહેલી અટકળો બાદ આખરે આરજે મહવશે ખુલાસો કર્યો છે કે તેણે ઇન્સ્ટાગ્રામ પર યુઝવેન્દ્ર ચહલને અનફોલો કેમ કર્યો. તેણે કહ્યું કે મિત્રો વચ્ચે મતભેદ થવું સામાન્ય વાત છે અને તેની તથા ક્રિકેટર વચ્ચે પણ એવું જ થયું હતું. જોકે તેણે ઉમેર્યું કે બંનેએ સાથે ઘણા યાદગાર પળો વિતાવ્યા હોવાથી તે આ બાબતને લઈને કોઈ કડવાશ રાખતી નથી અને હંમેશા ચહલ માટે શુભેચ્છા જ ઇચ્છશે.

આરજે મહવશે એક રિપોર્ટમાં વાત કરતા કહ્યું કે ‘લોકો નાની બાબતોને ખૂબ મોટો મુદ્દો બનાવી દે છે. આ એટલો મોટો મુદ્દો નથી. મિત્રો વચ્ચે ઝઘડા થાય છે, તેઓ એકબીજાને અનફોલો પણ કરે છે, તેમાં એટલું મોટું શું છે? આ સાથે જ તમે જે મિત્રો સાથે સૌથી મૂર્ખામીભર્યા પ્રસંગો પર હસ્યા હો, તેમના માટે મનમાં કડવાશ રાખવી જોઈએ નહીં. હું હંમેશા તેના માટે સારું જ ઇચ્છીશ.’

ચહલ અને મહવશે એકબીજાને અનફોલો કર્યા હોવાની ખબર આ વર્ષની જાન્યુઆરીમાં સામે આવી હતી. સૌથી પહેલા પાપારાઝી હેન્ડલ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી અને દાવો કર્યો હતો કે બંને અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાને ફોલો કરતા હતા, પરંતુ હવે તેમણે ઓનલાઈન સંબંધ તોડી નાખ્યો છે.

જેમને ખબર નથી તેમના માટે જણાવીએ કે ચહલ અને મહવશના સંબંધો હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે, ખાસ કરીને 2025માં ધનશ્રી વર્મા સાથે ક્રિકેટરના છૂટાછેડા પછી તેઓ લાઇમલાઇટમાં હતાં. ચહલ અને મહવશ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની અફવાઓ સતત ચાલી રહી હતી અને ઘણા લોકો માનતા હતા કે બંને માત્ર મિત્રો કરતાં વધુ કંઈક છે.

બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા, જેના કારણે ચર્ચાઓ વધુ તેજ બની હતી. જોકે યુઝવેન્દ્ર અને મહવશે હંમેશા કહ્યું છે કે તેઓ માત્ર સારા મિત્રો છે. અગાઉ ચહલ રાજ શમાનીના પોડકાસ્ટમાં જોવા મળ્યો હતો, જ્યાં તેણે ડેટિંગની અટકળો અંગે કહ્યું હતું, ‘ના, એવું કંઈ નથી. લોકો જે વિચારવું હોય તે વિચારી શકે.’

આ પણ વાંચો: રિષભ પંત માટે ખતરાની ઘંટડી! ટીમ ઈન્ડિયામાંથી છીનવાઈ શકે છે આ પદ, LSGની હારે બગાડી બાજી

યુઝવેન્દ્ર ચહલે આગળ કહ્યું કે ‘પહેલી વાર જ્યારે હું કોઈ સાથે જોવા મળ્યો, ત્યારે લોકોએ તરત જ અમને જોડવા શરૂ કરી દીધા. તેણે પણ આ બાબત સ્પષ્ટ કરી હતી, પરંતુ તેના માટે આ બહુ મુશ્કેલ હતું. તેને ‘ઘર તોડનારી’ કહેવામાં આવી… લોકો ખૂબ ખરાબ વાતો કરતા હતા. મને ખૂબ ખરાબ લાગ્યું હતું.’

ફરી પ્રેમમાં પડવા વિશે પૂછવામાં આવતા ચહલે સ્વીકાર્યું, ‘આ બધું સમજવામાં સમય લાગશે. મને પોતાને ફરી સંભાળવો પડશે. મને ફરી પ્રેમમાં પડવાનો ડર નથી, પરંતુ કોઈને ગુમાવવાનો ડર છે કારણ કે હું દિલથી જોડાઈ જાઉં છું.’’