Sports

વર્લ્ડ કપ જીતાડ્યા પછી પણ ટીમમાંથી બહાર? સૂર્યકુમાર યાદવે તોડ્યું મૌન, 'દોઢ મહિનો ઘરમાં બેસી વિચારતો રહ્યો...'

By GS Team
29 Aug 20264 mins read
TukuTouch Logo
ટી20 વર્લ્ડ કપ જીતાડનાર ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને તાજેતરમાં ટીમમાંથી બહાર કરાયા હતા. આ નિર્ણયથી તેમને આંચકો લાગ્યો હતો. જુલાઈ 2024માં કેપ્ટન બનેલા સૂર્યકુમારે એકપણ T20 સિરીઝ હારી નહોતી અને એશિયા કપ-વર્લ્ડ કપ પણ જીત્યા હતા. છતાં ઇંગ્લેન્ડ પ્રવાસમાં શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવાયો. સૂર્યાએ કહ્યું, "ટીમમાં નામ નહોતું ત્યારે હસ્યો, પણ પછી વિચારતો રહ્યો કે આવું કેવી રીતે શક્ય છે?"

Summarized by AI; it may make mistakes. Check important info

વર્લ્ડ કપ જીતાડ્યા પછી પણ ટીમમાંથી બહાર? સૂર્યકુમાર યાદવે તોડ્યું મૌન, 'દોઢ મહિનો ઘરમાં બેસી વિચારતો રહ્યો...'

Suryakumar Yadav: ભારતને ટી20 વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન સૂર્યકુમાર યાદવને આ વર્ષે ટુર્નામેન્ટ પછી તાત્કાલિક ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ નિર્ણયથી તેમને ઝટકો લાગ્યો હતો. જુલાઈ 2024માં ટીમના કેપ્ટન રહેલા સૂર્યકુમારે આ દરમિયાન એકપણ ટી20 સિરિઝ હારી નહોતી. ભારતે તેમના નેતૃત્વમાં એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો. તે છતાં પસંદગીકારોએ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસમાં શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

હવે સૂર્યકુમાર યાદવે પહેલીવાર સ્પષ્ટતા કરી છે કે, ટીમમાંથી બહાર કાઢ્યા પછી તેમના મનમાં શું ચાલતું હતું. તેમણે માન્યું હતું કે, ‘શરૂઆતમાં તેમણે પસંદગીકારોનો આ નિર્ણય સ્વીકાર કરવાની કોશિશ કરી હતી, પરંતુ થોડા સમય બાદ તેમને આ જ પ્રશ્ન હેરાન-પરેશાન કરવા લાગ્યો હતો, આવું કેવી રીતે થઈ શકે? આ કેવી રીતે શક્ય છે?’

સૂર્યકુમારે પૂર્વ ભારતીય બેટર આકાશ ચોપડા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે ટીમની જાહેરાત થઈ ત્યારે તેમનું નામ તેમાં નહોતું, ત્યારે તેમની પહેલી પ્રતિક્રિયા હસવાની હતી. તેમણે કહ્યું કે, પ્રેશર અને મુશ્કેલ સમયમાં હસીને પોતાને શાંત રાખવાની કોશિશ કરે છે.

તેમણે કહ્યું કે, જ્યારે મારું નામ નહોતું તો હું સ્હેજ હસ્યો. છેલ્લા એકાદ-બે વર્ષમાં જ્યારે પણ હું મુશ્કેલીમાં હોઉં કે મારા ધાર્યા પ્રમાણે ન થાય તો હું હંમેશા હસીને પોતાને શાંત પાડવાની કોશિશ કરું છું. મને જે તક મળી છે, તેના માટે હું હંમેશા આભારી છું.’ જો કે, સૂર્યકુમારે સ્વીકાર્યું હતું કે, 2026ની શરૂઆતમાં તેમને બિલકુલ આશા નહોતી કે, આવો નિર્ણય આવશે. તેમને લાગ્યું હતું કે, તેઓ આગામી બે વર્ષ સુધી ટીમને આગેવાની કરશે. ઓલિમ્પિક અને આગામી ટી20 વર્લ્ડ કપ જેવા મોટા લક્ષ્ય તેમની સામે હતા.

તેમણે કહ્યું કે, ‘મેં વિચાર્યું હતું કે, 2026 પછી બે વર્ષ સુધી આ ટીમને આગળ લઈ જઈશ. ઓલિમ્પિક આવશે, પછી વધુ એક ટી20 વર્લ્ડ કપ રમાશે અને આગળ ઘણા પડકાર હશે. પરંતુ તમે જે વિચારો છો અને સામેવાળો જે વિચારે છે, બંને અલગ હોઈ શકે છે. જો પસંદગીકારોને આગામી સમય માટે આ નિર્ણય સારો લાગે છે, એટલે જ તેમણે આ નિર્ણય લીધો છે. મેં તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.’

સૂર્યકુમારે શ્રેયલ અય્યરને કેપ્ટન બનાવવા માટે કોઈ સવાલ કર્યો નથી. તેમણે કહ્યું કે, તેઓ શ્રેયસને ઘણા સમયથી ઓળખે છે અને તેઓ સારા ખેલાડીની સાથે સાથે સારા માણસ અને કેપ્ટન હોવા અંગે પણ તેમને ભરોસો છે. પરંતુ અસલી પરેશાની કેટલાક સમય બાદ શરૂ થઈ.

‘વિચારતો હતો કે, આવું કેવી રીતે થઈ શકે છે?’

સૂર્યકુમારે સ્વીકાર્યું હતું કે, પસંદગીકારોના નિર્ણયને સમજવાની કોશિશ કરવા છતાં મને એ સવાલ મૂંઝવતો હતો કે, આખરે આ બદલાવની જરૂર કેમ પડી. સૂર્યકુમારે કહ્યું કે, ‘હું થોડો નિરાશ હતો. કારણ કે, આપણે બે વર્ષમાં એકપણ સિરીઝ નથી હાર્યા. આપણે વર્લ્ડ કપ અને એશિયા કપ પણ જીત્યો. તમે પણ ઇચ્છો છો કે આવી જ રીતે આગળ વધીએ. જ્યારે બધું જ બરાબર ચાલતું હતું તો પછી આ બદલાવ કેમ? બદલાવનું કારણ શું હતું? આ જ મારા દિમાગમાં ચાલતું હતું.’ તેમણે જણાવ્યું કે, ટીમમાંથી બહાર કર્યા બાદ તેઓ દોઢ મહિના ઘરમાં જ રહ્યા હતા અને સતત આ સવાલ અંગે વિચારતા હતા.

સૂર્યા કહે છે કે, ‘હું વિચારતો હતો કે, આવું કેવી રીતે શક્ય છે? હમણાં જ આપણે વર્લ્ડ કપ જીત્યો છે. હા, આઇપીએલ એટલી સારી નહોતી જેવું હું ઇચ્છતો હતો. પરંતુ અમે ઘરે બેઠા હતા. દોસ્ત આવ્યા, પરિવારજનો આવ્યા. બધાએ કહ્યું કે, કોઈ વાંધો નથી, જીવનનો એક ભાગ છે. પરંતુ જ્યારે બધા ઘરેથી જતા રહે છે, ત્યારે તમે ઘરે એકલા પડી જાવ છો.’ આ એ જ સમયગાળો છે કે, જ્યારે વિશ્વ કપ વિજેતા કેપ્ટનને પહેલીવાર પોતાના ભવિષ્યને લઈને નવેસરથી વિચારવું પડ્યું હતું.

પસંદગીકારોએ ત્રણ દિવસ પહેલાં જ કહ્યું હતું

સૂર્યકુમારે જણાવ્યું હતું કે, ટીમની જાહેરાતના બે ત્રણ દિવસ પહેલાં પસંદગી સમિતિએ તેમને સંપર્ક કર્યો હતો. તેમને પહેલાં જ જણાવી દીધું હતું કે, ઇંગ્લેન્ડ સિરિઝ માટે પસંદ કરાયેલી ટીમમાં તમારું નામ નહીં હોય. સૂર્યકુમારે કહ્યું કે, ‘તેમણે મને બે-ત્રણ દિવસ પહેલાં ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે, હવે આગળ વધવાનો સમય છે. મેં કોઈ પ્રતિક્રિયા ના આપી. કારણ કે, આ નિર્ણય મારો નહોતો. જેણે પણ આ નિર્ણય લીધો છે, તેમણે ટીમના સારા માટે જ લીધો હતો. તમે નિર્ણય લીધો અને મને જણાવ્યો, એમાં મને કોઈ સમસ્યા નથી.’