IND vs SL ટેસ્ટ: પહેલા જ દિવસે મેદાન પર ડ્રામા! બોલર સાથે ટક્કર બાદ જયસ્વાલ રન આઉટ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Galle Test Runout Sparks Controversy: ભારત અને શ્રીલંકા વચ્ચે ગૉલ ખાતે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે મેદાન પર જબરદસ્ત ડ્રામા અને વિવાદ જોવા મળ્યો છે. ભારતીય ટીમનો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ એક અત્યંત વિવાદાસ્પદ સ્થિતિમાં રનઆઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો. રન લેવાના પ્રયાસ દરમિયાન શ્રીલંકન બોલર સાથે અથડામણ થતાં યશસ્વી જમીન પર પટકાઈ ગયો હતો, જેના પગલે સર્જાયેલી ભારે ગૂંચવણમાં ભારતે પોતાની મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવવી પડી હતી.
કેવી રીતે સર્જાઈ રનઆઉટની આ આખી ઘટના?
ભારતીય ઇનિંગ્સની 11મી ઓવરના પ્રથમ બોલ પર આ ઘટના બની હતી:
- કે.એલ. રાહુલે હળવા હાથે બોલ રમીને યશસ્વી જયસ્વાલને સિંગલ રન માટે કોલ આપ્યો હતો.
- બોલિંગ છેડે ઉભેલા શ્રીલંકન બોલર કેશરા નુવાનથાએ સિંગલ રોકવા માટે પોતાની જમણી તરફ ડાઇવ લગાવી હતી.
- આ દરમિયાન રન લેવા દોડી રહેલા યશસ્વી જયસ્વાલ સાથે બોલરની સીધી ટક્કર થઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યશસ્વીનો પગ લપસી ગયો અને તે સીધા પીચ પર નીચે પડી ગયો હતો.
- બીજી તરફ, કે.એલ. રાહુલ રન માટે અડધી ક્રીઝ સુધી દોડી આવ્યો હતો. તેણે યશસ્વીને નીચે પડેલો જોયો એટલે તે થોડી ક્ષણ માટે અટક્યો, પરંતુ યશસ્વી જેવો ઊભો થયો કે તરત જ રાહુલને લાગ્યું કે તે રન પૂરો કરવા માંગે છે.
- આ હા-નાની ગંભીર ગેરસમજમાં બંને બેટ્સમેન એક જ છેડે (નોન-સ્ટ્રાઇકર એન્ડ) પહોંચી ગયા હતા.
શ્રીલંકન ફિલ્ડર વિકેટ પર બેલ્સ ઉડાડે તે પહેલાં કે.એલ. રાહુલે પોતાનું બેટ ક્રીઝમાં મૂકી દીધું હતું. પરિણામે નિયમ મુજબ યશસ્વી જયસ્વાલ ક્રીઝની બહાર ગણાતાં તેને રનઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આ રીતે યશસ્વી 37 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો.
યશસ્વીના રનઆઉટમાં ભૂલ કોની?
ક્રિકેટના મેદાન પર રન લેતી વખતે ઘણીવાર ગફલત થતી હોય છે, પરંતુ આ કિસ્સામાં કે.એલ. રાહુલની સ્પષ્ટ ભૂલ સામે આવી છે.
- જ્યારે રાહુલે જોયું કે યશસ્વી બોલર સાથે અથડાઈને નીચે પડી ચૂક્યા છે, ત્યારે રાહુલ પાસે પોતાની ક્રીઝમાં પાછા જવાનો પૂરતો સમય હતો, કારણ કે ત્યાં સુધી બોલ ફિલ્ડર પાસે પણ પહોંચ્યો ન હતો.
- ફિલ્ડર પ્રભાત જયસૂર્યાએ બોલ પકડીને વિકેટકીપર નિરોશન ડિકવેલા તરફ ફેંક્યો, ત્યારે ડિકવેલાએ પણ તાત્કાલિક બેલ્સ ઉડાવી ન હતી.
શ્રીલંકન કેપ્ટનની મંજૂરી બાદ થઈ અપીલ
વિકેટકીપર ડિકવેલાએ પહેલા સ્લિપમાં ઊભેલા કેપ્ટન ધનંજય ડી સિલ્વા તરફ જોયું કે શું તેઓ બેલ્સ પાડી શકે છે? ધનંજયે ઈશારો કર્યો કે "તેમાં શું વાંધો છે?". કેપ્ટનની મંજૂરી મળતાં જ ડિકવેલાએ બેલ્સ હટાવીને આઉટની અપીલ કરી દીધી હતી.
એક તબક્કે બોલર સાથેની ટક્કરને ધ્યાનમાં રાખીને શ્રીલંકન કેપ્ટન સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવીને અપીલ પાછી ખેંચવાનું પણ વિચારી રહ્યા હતા, પરંતુ કે.એલ. રાહુલે જે રીતે બીજી વાર રન લેવાનો પ્રયાસ કર્યો તેના કારણે અપીલ કાયમ રખાઈ અને અમ્પાયરે યશસ્વીને આઉટ જાહેર કર્યો હતો.









