'મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન', ટીમ ઈન્ડિયાના ખેલાડીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sanju Samson Rohit Sharma Statement : સંજુ સેમસને ટી-20 વર્લ્ડકપ 2026 ( T20 World Cup 2026)માં ભારત માટે કેટલીક યાદગાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ સંજુને વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં રમવાની તક મળી નહોતી. જે બાદ રોહિત શર્માએ તેમની હિંમત વધારતા એક મોટી ભવિષ્યવાણી કરી હતી, જે આખરે સાચી સાબિત થઈ. T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીતીને ભારતીય ટીમે ઇતિહાસ રચી દીધો હતો. હવે ભારત દુનિયાની પહેલી એવી ટીમ બની ગઈ છે, જેણે સતત 2 વાર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી પોતાના નામે કરી છે. વર્ષ 2024માં રોહિત શર્માએ ટી-20 વર્લ્ડકપ જીતીને ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવ્યો હતો. તો વર્ષ 2026માં સૂર્યકુમાર યાદવે ટ્રોફી જીતવામાં સફળતા હાસલ કરી, જેમાં ભારતની આ જીતના સૌથી મોટા હીરો સંજુ સેમસન રહ્યા હતા.
ટી-20 વર્લ્ડકપની શરૂઆતી મેચોમાંથી બહાર હતા સંજુ
ટી-20 વર્લ્ડકપ પહેલા ન્યૂઝિલેન્ડ સામે 5 મેચની T-20 સિરીઝ રમાઈ હતી. તે સિરીઝમાં વિકેટ કિપર બેટ્સમેન સંજુ સેમસન પૂરી રીતે ફ્લોપ રહ્યા હતા. આમ છતાં, તેમને ટી-20 વર્લ્ડકપ 2026ની ટીમમાં સામેલ કરવામાં આવ્યા. જોકે, શરૂઆતની મેચોમાં તેમને રમવાની તક ન મળી, પરંતુ જ્યારે તેમની ટીમમાં વાપસી થઈ, ત્યારે તેમણે દમદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું.
રોહિતની વાત પર સંજુને નહોતો વિશ્વાસ
શરૂઆતની મેચોમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહ્યા પછી, પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સંજુને આશ્વાસન આપ્યું હતું કે, તેમનો સમય ચોક્કસ આવશે. પરંતુ રોહિત શર્માની આ વાત પર સંજુને બિલકુલ ભરોસો નહોતો. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સંજુએ જણાવ્યું કે, 'ઈમાનદારીથી કહું તો, તે સમયે મને રોહિત ભાઈની વાત પર વિશ્વાસ નહોતો થયો. સોરી… તે કદાચ પોતાના અનુભવ કે, દિલથી બોલી રહ્યા હતા, પરંતુ તે દિવસે હું એ નહોતો જોઈ શકતો જે આજે જોઈ રહ્યો છું. મારો ચહેરો જોઈને કોઈ પણ કહી શકતું હતું કે હું નિરાશ હતો.'

બ્રેક મળવાનો સંજુને થયો ફાયદો
ન્યૂઝિલેન્ડ સિરીઝ પછી ટીમમાં સ્થાન ન મળવાનો અફસોસ સંજુ પર હાવી હતો. તેમણે જણાવ્યું કે, કોઈ પણ મોટા આઘાતમાંથી બહાર આવવામાં તેમને ઓછામાં ઓછો એક સપ્તાહ લાગે છે. વર્લ્ડ કપના શરૂઆતના 4-5 દિવસો સુધી તેઓ માનસિક રીતે ખૂબ સંઘર્ષ કરી રહ્યા હતા. જોકે, આ નિષ્ફળતાએ તેમને પોતાની અંદર જોવાની તક આપી હતી.
મેચ વિનિંગ પરફોર્મન્સ પર શું બોલ્યા સંજુ
ટી-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ મેચમાં સંજુ સેમસને ટીમ માટે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું. સામાન્ય રીતે પાવરપ્લે પછી આક્રમક બેટિંગ કરનારા સંજુએ તે દિવસે મેચની સ્થિતિ સમજી. બીજી તરફથી સતત પડતી વિકેટોને જોઈને તેમણે પોતાની રણનીતિ બદલી. સંજુએ જણાવ્યું કે, ક્રિકેટ જ તમારો સૌથી મોટો શિક્ષક છે. 50 બોલમાં અણનમ 97 રનની ધમાકેદાર ઇનિંગ્સ પછી સંજુએ કહ્યું કે, 'હું ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છું. તે પળ મારા છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રહેશે.'









