Get The App

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર 1 - image

Hardik Pandya ruled out of ODI series vs Afghanistan: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી શરૂ થવા જઈ રહેલી ત્રણ મેચોવી વન-ડે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આખી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. 

હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત

BCCIની મેડિકલ અપડેટ પ્રમાણે હાર્દિકને લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન થયું છે. આ જાંઘના આગળના ભાગમાં સ્નાયુઓમાં ખેંચાણની ઈજા છે. મેડિકલ સ્ટાફે તેનો રિકવરી સમયગાળો લગભગ ત્રણ અઠવાડિયા હોવાનો અંદાજ લગાવ્યો છે. આવી સ્થિતિમાં તે અફઘાનિસ્તાન સામેની ત્રણેય વન-ડે મેચ માટે ઉપલબ્ધ નહીં રહેશે. 

હાર્દિક પંડ્યા તાજેતરમાં જ મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL દરમિયાન બેક સ્પાઝમ (પીઠના સ્નાયુઓમાં ખેંચાણ)ની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ ફિટનેસ ક્લિયરન્સ માટે બેંગલુરુમાં BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE) પહોંચ્યો હતો. જો કે, ફિટનેસ ટેસ્ટ દરમિયાન તેને લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન હોવાનું પણ નિદાન થયું હતું, ત્યારબાદ તેને અફઘાનિસ્તાન સામેની આગામી વન-ડે સીરિઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે મેડિકલ ટીમ તેની રિકવરી પર નજર રાખશે અને મેદાનમાં વાપસી માટે લગભગ ત્રણ અઠવાડિયાનો સમય લાગી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ નવી ઈજા CoEમાં મૂલ્યાંકન દરમિયાન સંપૂર્ણ 10 ઓવર બોલિંગને કારણે થઈ હશે.

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

હાર્દિકનું બહાર થવું ભારતીય ટીમના સંતુલન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. તે મિડલમાં વિસ્ફોટક બેટિંગ તો કરે જ છે પરંતુ આ સાથે જ તે નવા બોલ અને મિડલ ઓવરોમાં ઉપયોગી ફાસ્ટ બોલિંગનો વિકલ્પ પણ આપે છે. તેની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટે ઓલરાઉન્ડર વિભાગમાં નવા સંયોજન પર વિચાર કરવો પડી શકે છે. 

આ ખેલાડીઓ પર વધારાની જવાબદારી આવશે

શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ વન-ડે સીરિઝ રમશે. ટીમમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને ઈશાન કિશન જેવા બેટ્સમેન સામેલ છે. ઓલરાઉન્ડર વિભાગમાં નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગટન સુંદર અને હર્ષ દુબે પર વધારાની જવાબદારી આવી શકે છે. 

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ વન-ડે 13 જૂનના રોજ ધર્મશાળામાં રમાશે. ત્યારબાદ બીજી મેચ 17 જૂનના રોજ લખનઉ અને ત્રીજી અને છેલ્લી મેચ 20 જૂનના રોજ ચેન્નાઈમાં રમાશે. 

આ પણ વાંચો: લોર્ડ્સ અને ગદ્દાફી સ્ટેડિયમ સામે ICCની મોટી કાર્યવાહી, મેચ રેફરીના રિપોર્ટે સૌને ચોંકાવ્યા

IPLની આ સિઝનમાં હાર્દિક પંડ્યાને ફિટનેસની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે કેટલીક મેચો નહોતો રમી શક્યો, જોકે તેણે 24 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામેની ટીમની છેલ્લી મેચમાં વાપસી કરી લીધી હતી. 

ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય

અફઘાનિસ્તાન સીરિઝ ભારત માટે આગામી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની તૈયારીના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાનું ટીમમાંથી બહાર થવું એ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની ગયો છે. હવે તેની જગ્યાએ કયા ખેલાડીને તક મળે છે અને ભારતીય ટીમ કયા સંયોજન સાથે મેદાનમાં ઉતરે છે તેના પર સૌની નજર રહેશે.

ભારત: વન-ડે સ્કવૉડ

શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિંસ યાદવ અને ગુરનૂર બરાર.

-  હાર્દિક પંડ્યા લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સના સ્ટ્રેનના કારણે અફઘાનિસ્તાન વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને રિપ્લેસમેન્ટની જાહેરાત બાકી છે. 

IND vs AFG: વન-ડે સીરિઝ

પ્રથમ વન-ડે- 13 જૂન, ધર્મશાલા, બપોરે 1:30 કલાકે

બીજી વન-ડે- 17 જૂન, લખનૌ, બપોરે 1:30 કલાકે

ત્રીજી વન-ડે- 20 જૂન, ચેન્નાઈ, બપોરે 1:30 કલાકે