Sports

વનડે વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયામાં ભુવનેશ્વર કુમારનું કમબેક? પૂર્વ ક્રિકેટરની અજિત અગરકરને સલાહ

By GS Team
1 Aug 20263 mins read
TukuTouch Logo
અશ્વિને 2027 વર્લ્ડ કપ માટે ભુવનેશ્વર કુમારને ભારતીય ટીમમાં સામેલ કરવાની ભલામણ કરી છે. દક્ષિણ આફ્રિકામાં યોજાનાર વર્લ્ડ કપ માટે ભુવીના અનુભવની જરૂર પડશે તેમ અશ્વિન માને છે. તેણે ભુવીને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા કહ્યું છે. IPL 2026માં RCBને ટાઇટલ જીતાડવામાં ભુવનેશ્વરે 16 મેચમાં 28 વિકેટ લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વનડે વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયામાં ભુવનેશ્વર કુમારનું કમબેક? પૂર્વ ક્રિકેટરની અજિત અગરકરને સલાહ

Ashwin Backs Bhuvneshwar For Africa: આગામી વનડે વર્લ્ડ કપ 2027ને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ ટીમમાં અનુભવી ખેલાડીઓની વાપસી અંગે ચર્ચાઓ જોર પકડી રહી છે. આ દરમિયાન ભારતના દિગ્ગજ ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને એક મહત્ત્વની સલાહ આપી છે. અશ્વિને ટીમના સિનિયર સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમાર સાથે તાત્કાલિક સંપર્ક સાધવા અને તેને ફરીથી વનડે ટીમમાં સામેલ કરવા માટે સત્તાવાર વિનંતી કરી છે. અશ્વિનનું સ્પષ્ટપણે માનવું છે કે આગામી વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની ધરતી પર રમાવાનો હોવાથી ત્યાંની પરિસ્થિતિઓમાં ભારતને ભુવનેશ્વર જેવા સ્માર્ટ બોલરની સખત જરૂર પડશે.

‘હું પોતે ભુવી સાથે વાત કરીશ’ – અશ્વિનનો મોટો પ્લાન

એક વાતચિત દરમિયાન અશ્વિને ભુવનેશ્વર કુમારના નામને મજબૂતીથી આગળ રાખતા કહ્યું હતું કે,

"ભુવનેશ્વર કુમાર માટે મારી તરફથી સંપૂર્ણ હા છે. જો મને તક મળે તો હું પોતે તેની સાથે વાતચીત કરીશ. હું તેને કહીશ કે તે અત્યારથી જ ડોમેસ્ટિક ક્રિકેટની તમામ ટુર્નામેન્ટો – ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને વિજય હજારે ટ્રોફી સહિત બધું જ રમે જેથી તે પોતાની સર્વશ્રેષ્ઠ લય મેળવી શકે. હું તેને દક્ષિણ આફ્રિકા જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવા ઈચ્છું છું, કારણ કે મને લાગે છે કે ત્યાં આપણને તેની ખાસ જરૂર પડવાની છે."

IPL 2026નો ધમાકો અને સાઉથ આફ્રિકાનો શાનદાર ટ્રેક રેકોર્ડ

વર્ષ 2022થી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા 36 વર્ષીય ‘સ્વિંગ કિંગ’ ભુવનેશ્વર કુમારે તાજેતરમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને IPL 2026નું ટાઇટલ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેણે આ આખી સિઝનમાં શાનદાર યોર્કર અને સ્વિંગ બોલિંગના જોરે 16 મેચોમાં 28 વિકેટ ઝડપીને પર્પલ કેપની રેસમાં ધમાકો કર્યો હતો. આ ઉપરાંત, દક્ષિણ આફ્રિકામાં ભુવીનો ટ્રેક રેકોર્ડ ઘણો ઉત્કૃષ્ટ રહ્યો છે, જ્યાં તેણે તમામ ફોર્મેટની 13 મેચોમાં 19 વિકેટ ઝડપી છે. અશ્વિનના મતે પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં ભુવીનો આ મોટો અનુભવ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા બોલરો સાથે મળીને ભારતીય પેસ એટેકને અજેય બનાવી શકે છે.

અશ્વિનની વર્લ્ડ કપ 25 સ્ક્વોડ અને અન્ય ખેલાડીઓ પર પસંદગી

આ વાતચિત દરમિયાન આર. અશ્વિને વર્લ્ડ કપ 2027 માટેના પોતાના સંભવિત 15 ખેલાડીઓની પણ જાહેરાત કરી હતી. જેમાં તેણે રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, શ્રેયસ અય્યર, કેપ્ટન શુભમન ગીલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને હર્ષિત રાણા જેવા ખેલાડીઓને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. જોકે, અશ્વિને સંજૂ સેમસન, રિષભ પંત અને અભિષેક શર્મા જેવા મોટા નામોને પોતાની ટીમમાંથી બહાર રાખ્યા છે, જ્યારે મોહમ્મદ શમી, યશસ્વી જયસ્વાલ અને રવિન્દ્ર જાડેજા જેવા સીનિયર્સના સિલેક્શન પર હજુ અસમંજસ વ્યક્ત કરી છે.

હવે જોવાનું એ રહેશે કે મુખ્ય સિલેક્ટર અજીત અગરકર અને કોચ ગૌતમ ગંભીર પૂર્વ સાથી ખેલાડી અશ્વિનની આ ગંભીર સલાહ અને ભુવનેશ્વર કુમારના આઈપીએલના ફોર્મને ધ્યાનમાં રાખીને તેની વાપસી અંગે આગામી સમયમાં કેવો નિર્ણય લે છે.