Get The App

પૈસા ન આપો તો રમવા ન દે...' રણજી ખેલાડીનું છલકાયું દર્દ, અનશન બાદ ક્રિકેટ બોર્ડમાં હડકંપ

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
પૈસા ન આપો તો રમવા ન દે...' રણજી ખેલાડીનું છલકાયું દર્દ, અનશન બાદ ક્રિકેટ બોર્ડમાં હડકંપ 1 - image

Bihar Cricket Controversy: બિહાર ક્રિકેટમાં ભ્રષ્ટાચાર અને મેચ ફીમાં કમિશનખોરીના આરોપોને લઈને ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. ભાગલપુરના રણજી ખેલાડી સચિન કુમાર દ્વારા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પર મેચ ફીમાં હિસ્સો માગવાના લગાવવામાં આવેલા ગંભીર આરોપોને બિહાર ક્રિકેટ એસોસિએશન (BCA) એ અત્યંત ગંભીરતાથી લીધા છે.

મામલાની ગંભીરતાને જોતાં BCAએ તાત્કાલિક એક્શન લેતા બે સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી દીધી છે. આ કમિટીને ગમે તે સંજોગોમાં આગામી સાત દિવસની અંદર પોતાનો તપાસ અહેવાલ સોંપવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.

BCAના CEOની કાર્યવાહી, આ બે દિગ્ગજોને સોંપી તપાસ

પ્રાપ્ત માહિતી પ્રમાણે  BCAના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) મનીષ રાજે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા માટે જે કમિટી બનાવી છે, તેમાં ખૂબ જ કડક અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. તપાસ ટીમમાં અજિત કુમાર પાંડેય (જનરલ મેનેજર, એન્ટી-કરપ્શન યુનિટ (ACU)) અને મનોજ કુમાર (OSD, BCA) સામેલ છે. આ હાઈ-પ્રોફાઈલ તપાસ અંગેની સત્તાવાર સૂચના પણ ભાગલપુર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના તમામ ઉચ્ચ અધિકારીઓને ઈમેઇલ દ્વારા મોકલવામાં આવી છે, જેથી તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર રહે.

ટૂંક સમયમાં ભાગલપુર પહોંચશે એન્ટી-કરપ્શન ટીમ

જો ક્રિકેટ વર્તુળોમાંથી બહાર આવી રહેલા સમાચાર અને સૂત્રોનું માનીએ તો આ તપાસ કમિટી ટૂંક સમયમાં ભાગલપુર જઈ શકે છે. ટીમ સેન્ડિસ કમ્પાઉન્ડમાં પહોંચીને કેસ સાથે સંકળાયેલા તમામ પક્ષકારો, પીડિત ખેલાડી અને આરોપી અધિકારીઓની સામ-સામે પૂછપરછ કરી શકે છે. બીજી તરફ BCAના આ કડક વલણ બાદ ભાગલપુર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કેમ્પમાં હડકંપ મચી ગયો છે અને એસોસિએશનના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાલમાં આ વિવાદ અંગે કેમેરા કે મીડિયા સામે કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે.

સેન્ડિસ કમ્પાઉન્ડમાં આમરણ અનશન પર બેસી ગયો હતો રણજી ખેલાડી

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર વિવાદ ગત શુક્રવારે ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે ભાગલપુરના સેન્ડીસ કમ્પાઉન્ડ સ્થિત ઐતિહાસિક ક્રિકેટ મેદાનમાં રણજી ખેલાડી સચિન કુમાર અચાનક આમરણ અનશન બેસી ગયો હતો. તેણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ડૉ. જયશંકર ઠાકુર પર માનસિક ઉત્પીડન અને ભ્રષ્ટાચારનો સીધો આરોપ લગાવ્યો હતો. સચિને આરોપ લગાવ્યો હતો કે, 'મારી પાસે રણજી મેચ ફીનો અડધો ભાગ (50% કમિશન) માંગવામાં આવ્યુ હતું અને જ્યારે મેં પૈસા આપવાનો ઈનકાર કર્યો, તો મારા કરિયર અને રમવાના માર્ગમાં વિવિધ અવરોધો ઉભા કરવામાં આવે છે.'

આ પણ વાંચો: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ

તપાસ રિપોર્ટ પર સૌની નજર

એક હોનહાર ખેલાડી દ્વારા સેન્ડીસ કમ્પાઉન્ડ જેવા મેદાનમાં અનશન પર બેસવું અને મેચ ફીમાં કાપ મૂકવાના આરોપોએ બિહાર ક્રિકેટની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા હતા. આ મામલો સોશિયલ મીડિયા અને મીડિયામાં જોર પકડ્યા બાદ જ BCAએ બેકફૂટ પર આવીને આ તપાસનો નિર્ણય લેવો પડ્યો હતો. હવે રમતપ્રેમીઓથી લઈને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓની નજર BCAની આ તપાસ સમિતિના રિપોર્ટ પર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે એન્ટી કરપ્શન યૂનિટના આ રિપોર્ટના આધારે દોષિત ઠરેલા અધિકારીઓને ભારે સજા થઈ શકે છે.