BCCI Under Pressure: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આગામી આઈસીસી વનડે વર્લ્ડ કપમાં રમશે કે નહીં, તે અંગે મોટા સવાલો ઊભા થયા છે. આગામી વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનારા વનડે વર્લ્ડ કપ માટે પસંદગીકારો જ્યારે રોડમેપ તૈયાર કરી રહ્યા હતા, ત્યારે આ બંને સિનિયર ખેલાડીઓની ફિટનેસને લઈને ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી હતી. જોકે, ફિટનેસના આધારે જ બંનેની અફઘાનિસ્તાન સામેની ત્રણ વનડે મેચની સિરીઝ માટે પસંદગી કરવામાં આવી છે, પરંતુ એક રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ તેમના ભવિષ્યને લઈને અત્યંત ચિંતિત છે.
રોહિતની ફિટનેસ પર સવાલ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પસંદગીકારો, ટીમ મેનેજમેન્ટ અને BCCI આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન યોજાનારા વર્લ્ડ કપ સુધી રોહિત શર્મા સંપૂર્ણ ફિટ રહી શકશે કે નહીં તે અંગે ચિંતામાં છે. તાજેતરમાં હેમસ્ટ્રિંગની ઈજાના કારણે રોહિત આઈપીએલમાં ત્રણ અઠવાડિયા સુધી રમી શક્યો નહોતો, જેના પગલે પસંદગીકારોએ તેની ફિટનેસનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
BCCIના એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, "ઈજાના એ ત્રણ અઠવાડિયા દરમિયાન રોહિત શર્માએ BCCIના 'સેન્ટર ઓફ એક્સેલન્સ'માં રિપોર્ટ કર્યો ન હતો. તેમનું વજન ચોક્કસપણે ઉતર્યું છે, પરંતુ તેમનું શરીર હાઈ-પર્ફોર્મન્સ સ્પોર્ટ્સનો આકરો ભાર સહન કરી શકશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. વનડે ક્રિકેટમાં ખેલાડીએ પૂરી 50 ઓવર ફિલ્ડિંગ કરવી પડે છે અને આમાં IPLની જેમ 'ઈમ્પેક્ટ પ્લેયર'નો કોઈ વિકલ્પ હોતો નથી. તમારી ઉંમર જ્યારે 40 વર્ષની નજીક પહોંચે છે, ત્યારે શરીરને ઈજામાંથી બહાર આવવામાં વધુ સમય લાગે છે."
હાર્દિક પંડ્યાની બોલિંગ અંગે અસમંજસ
બીજી તરફ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ક્ષમતાને લઈને પણ મેનેજમેન્ટ ચિંતિત છે. પસંદગીકારોને ચિંતા છે કે હાર્દિક વનડે મેચોમાં પૂરી તાકાત સાથે 10 ઓવર બોલિંગ કરી શકશે કે નહીં. સૂત્રના જણાવ્યા અનુસાર, પસંદગી સમિતિની બેઠકના 48 કલાક અગાઉ સુધી હાર્દિકની ફિટનેસ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નહોતી. 2 મે પછી તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો નથી. ચેન્નાઈમાં યોજાયેલી મેચ બાદ તેણે પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી. હાલમાં તે રિલાયન્સ ફેસિલીટી અને વાનખેડે સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરી રહ્યો હોવાના અહેવાલ છે. તે ટીમમાં પરત તો ફર્યો છે, પરંતુ તેણે ફિટનેસ સાબિત કરવા માટે શું કરવું પડશે તે હજુ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો: ‘હાર્દિક પંડ્યા એકલો કેમ ભોગ બને?’, IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ વિવાદ પર અશ્વિન ભડક્યો!
નવા ઓપનરની તૈયારી શરૂ
વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ પાસે વધુ વનડે મેચો રમવાની તક નથી. બીજી તરફ યશસ્વી જયસ્વાલને પણ વનડેમાં પૂરતી મેચો મળી નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇશાન કિશનની ટીમમાં પસંદગી કરવામાં આવી છે જેથી જરૂર પડ્યે તે ઓપનરની ભૂમિકા ભજવી શકે. BCCIનું માનવું છે કે, જો રોહિત શર્મા વર્લ્ડ કપ સુધી ફિટ ન થઈ શકે અથવા શુભમન ગિલ કે જયસ્વાલમાંથી કોઈ ઈજાગ્રસ્ત થાય, તો ટીમ પાસે બેકઅપ તરીકે એક મજબૂત ઓપનર તૈયાર હોવો અનિવાર્ય છે.


