Ashwin Backs Kohli Retirement Stance : વનડે વર્લ્ડકપ પહેલા સ્પોર્ટ્સ જગતમાં વિરાટ કોહલીના નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. કિંગ કોહલીએ હાલમાં જ એક પોડકાસ્ટમાં સ્વીકાર્યું હતું કે, ભારતની ઓસ્ટ્રેલિયા ટૂર પછી ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહેવા પાછળનું સૌથી મોટું કારણ એ હતું કે, દરેક મેચ પછી તેમણે ટીમમાં પોતાના સ્થાનની યોગ્યતા સાબિત કરવી પડતી હતી.
સિનિયર ખેલાડીઓ પર કરાય છે અસહ્ય દબાણ: અશ્વિન
વિરાટના આ ચોંકાવનારા નિવેદન બાદ ભારતના પૂર્વ સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને સમર્થન કર્યું છે. અશ્વિને 2024ની ઓસ્ટ્રેલિયા ટૂર દરમિયાન અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા રવિચંદ્રન અશ્વિને વિરાટ કોહલીના નિવેદનને સો ટકા સાચું ગણાવ્યું છે. અશ્વિને ભાવુક થતા કહ્યું કે સિનિયર ખેલાડીઓ પર જે પ્રકારનું દબાણ બનાવવામાં આવે છે તે અસહ્ય હોય છે.
વિરાટે કહ્યું કે 'મારે કોઈની સામે મારું કામ સાબિત કરવાની જરૂર નથી', અને તે બિલકુલ સાચું છે. મેં પણ મારા કરિયરના અંતમાં આવું જ અનુભવ્યું હતું. આટલા વર્ષો સુધી રમ્યા પછી અને ભારતને આટલી બધી મેચો જીતાડ્યા પછી હવે તેણે કોની સામે પોતાની જાતને સાબિત કરવાની જરૂર છે?
— રવિચંદ્રન અશ્વિન, પૂર્વ ભારતીય સ્પિનર
વિરાટ કોહલીને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી: અશ્વિન
અશ્વિને ઉમેર્યું કે જ્યારે તમે યુવાન હોવ ત્યારે લોકોની ટીકાઓનો જવાબ આપવાની અને તેમને ખોટા સાબિત કરવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ પરિપક્વતા ત્યારે આવે છે જ્યારે તમને સમજાય છે કે લડાઈ બહારના લોકો સાથે નહીં પણ તમારી પોતાની સાથે છે. વિરાટ અત્યારે એવા સ્થાને પહોંચી ગયો છે જ્યાં તેને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી.
વનડે વર્લ્ડકપ અંગે શું કહ્યું હતું વિરાટ કોહલીએ?
કોહલીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, વારંવાર એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે જ્યાં તમારે તમારી કિંમત અને વેલ્યુ સાબિત કરવી પડે, તે સ્પેસમાં રહેવું હવે તેના માટે શક્ય નથી. વિરાટે કહ્યું હતું કે, "મને પહેલા જ દિવસે કહી દો કે હું ટીમ માટે યોગ્ય નથી અથવા મારી જરૂર નથી. પરંતુ જો મને સતત એવું ફીલ કરાવવામાં આવે કે મારે મારી યોગ્યતા સાબિત કરતા રહેવું પડશે, તો હું ત્યાં રહેવા માંગતો નથી."


