Get The App

Explainer: Meta અને Microsoft Layoffs 2026: 16,000 નોકરીઓ કપાઈ, AIથી વૈશ્વિક રોજગારમાં મોટો ફેરફાર

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: Meta અને Microsoft Layoffs 2026: 16,000 નોકરીઓ કપાઈ, AIથી વૈશ્વિક રોજગારમાં મોટો ફેરફાર 1 - image
AI Image

Meta And Microsoft LayOffs: એપ્રિલ 2026માં વિશ્વની બે મોટી ટેક્નોલોજી કંપનીઓ Meta અને Microsoftએ હજારો કર્મચારીઓને અસર કરતી મોટી છટણીની જાહેરાત કરી છે. આ બન્ને કંપનીઓનું ટેક ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. જોકે આમ છતાં તેઓ કર્મચારીઓને છૂટા કરી રહી છે. એ પણ થોડા નહીં, પરંતુ બન્ને કંપનીઓ 8000-8000 કર્મચારીઓને છૂટા કરી રહી છે. આ કોઈ નાનો આંકડો નથી. એના કારણે ટેક ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઉથલપાથલ થઈ શકે છે. આટલું ઓછું હોય ત્યાં જ આ સમયે Technicolorએ પણ ભારતની પોતાની કામગીરી બંધ કરી દીધી છે. એના કારણે 3,000થી વધુ કર્મચારીઓ બેરોજગાર બન્યા છે. આ તમામ ઘટનાઓને સાથે જોવામાં આવે તો એક મોટો પ્રશ્ન ઉભો થાય છે: શું છટણીઓ હવે એક ટ્રેન્ડ બની રહી છે અને શું AI તેનું મુખ્ય કારણ છે?

ટેક ઇન્ડસ્ટ્રીમાં શું થઈ રહ્યું છે?

મેટાએ પુષ્ટિ કરી છે કે તેઓ આશરે 8,000 કર્મચારીઓને એટલે કે તેની કુલ કર્મચારી સંખ્યાના લગભગ 10% કર્મચારીઓને 20 મેથી છૂટા કરશે. આ સાથે જ 6000 ઓપન જોબને પણ દૂર કરી છે. બીજી તરફ માઈક્રોસોફ્ટ તેના અમેરિકન વર્કફોર્સના લગભગ 7% એટલે કે લગભગ 8,000 કર્મચારીઓને સ્વૈચ્છિક બહાર નીકળવાની ઓફર આપી રહી છે. બંને જાહેરાતો એક જ અઠવાડિયામાં આવી છે અને એ બતાવે છે કે આ કોઈ એક કંપનીનો નિર્ણય નથી, પરંતુ સમગ્ર ટેક ઉદ્યોગમાં ચાલતા મોટા ફેરફારનો ભાગ છે.

કયા વિભાગો અસરગ્રસ્ત છે?

મેટામાં છટણીઓ અનેક વિભાગોમાં થઈ રહી છે:

Facebook અને Instagram ટીમો પર પણ અસર થઈ છે

સેલ્સ, ઓપરેશન અને રિક્રૂટમેન્ટ યુનિટ્સમાંથી પણ કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે

અગાઉ Reality Labs (મેટાવર્સ વિભાગ) પર પણ અસર થઈ હતી

માઈક્રોસોફ્ટમાં છટણીઓ વધુ ધ્યાન કેન્દ્રિત છે:

કોર્પોરેટ અને સેલ્સ ભૂમિકાઓ પર સૌથી વધુ અસર પડી છે

લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓ માટે સ્વૈચ્છિક બહાર નીકળવાની ઓફર આપવામાં આવી રહી છે. જૂના કર્મચારીઓનો પગાર ખૂબ જ વધુ થઈ રહ્યો હોવાથી તેમને સ્વેચ્છાએ નોકરીમાંથી નીકળવા માટે સારી એવી ઓફર આપવામાં આવી રહી છે

આ બન્ને કંપનીઓની છટણીમાં એક સામાન્ય પેટર્ન દેખાય છે અને એ છે કે સપોર્ટ ફંક્શન અને જૂના રોલ્સ પહેલા ઘટાડવામાં આવી રહ્યા છે. આ એવી છટણીઓ છે જે કામ AI કરી શકે છે.

છટણીઓ કેમ થઈ રહી છે?

1. AIમાં ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ

બંને કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ભારે ખર્ચ કરી રહી છે:

મેટા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે $115–$135 બિલિયન સુધી રોકાણ કરવાની યોજના ધરાવે છે

માઈક્રોસોફ્ટ પણ AI સિસ્ટમ્સ અને ડેટા સેન્ટર્સ માટે $100 બિલિયનથી વધુ ખર્ચ કરી રહી છે

આ રોકાણ માટે ફંડની જરૂર છે અને એ માટે કંપનીઓ હવે તેમના પૈસા બચાવી રહી છે. આ માટે તેઓ કર્મચારીઓ પાછળ કરવામાં આવતા ખર્ચ પર કાતર ચલાવી રહ્યા છે. એ માટે તેઓ હવે છટણી કરવા સુધીનું પગલું ઉઠાવી રહ્યા છે. જો કર્મચારીઓ ઓછા હશે તો તેમની સેલેરી બચી જશે અને ત્યાર બાદ તેમને આપવામાં આવતા લાભમાં પણ ઘટાડો થશે અને પરિણામે પૈસા બચશે.

2. કાર્યક્ષમતા અને પુનર્ગઠન

મેટા આ છટણીઓને કાર્યક્ષમતા વધારવાના પ્રયાસ તરીકે રજૂ કરે છે, જેમાં મેનેજમેન્ટના સ્તરો ઘટાડવામાં આવે છે અને ટીમોને સરળ બનાવવામાં આવે છે. માઈક્રોસોફ્ટ પણ ઓટોમેશન અને AI ટૂલ્સથી વધતી ઉત્પાદકતા પર ભાર મૂકે છે, જેના કારણે મોટી ટીમોની જરૂરિયાત ઓછી થાય છે. આ માટે કંપનીઓ તેમના કામને ફરી રીસ્ટ્રક્ચર કરી રહી છે.

3. પેન્ડેમિક પછીનો સુધારો

કોવિડ દરમિયાન કંપનીઓ ખૂબ જ જલદી એક્સપેન્ડ થઈ રહી હતી અને એ દરમિયાન તેમણે ખૂબ જ વધુ પ્રમાણમાં લોકોને નોકરીએ પણ રાખ્યા હતા. જોકે હવે પરિસ્થિતિ બદલાતા તેઓ વર્કફોર્સ ઓછી કરી રહ્યા છે. હવે કંપનીઓ ધીમે-ધીમે એક્સપેન્ડ થઈ રહી છે અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને તેઓ પોતાના વર્કફોર્સનું સંતુલન જાળવી રહ્યા છે.

આ પણ વાંચો : John Ternus બન્યા Appleના નવા CEO: પગાર, કારકિર્દી અને ટિમ કુકનો નવો રોલ, જાણો સંપૂર્ણ વિગતો

શું AI સાચું કારણ છે?

સત્તાવાર રીતે, કંપનીઓ ઓછા વખત કહે છે કે છટણીઓ AIને કારણે થઈ છે, પરંતુ આ વચ્ચેનું કનેક્શન સ્પષ્ટ છે:

છટણીઓ અને AIમાં મોટા રોકાણ એક સાથે થઈ રહ્યા છે

AI ટૂલ્સ કેટલીક નોકરીઓને બદલી રહ્યા છે અથવા તેની જરૂરિયાત ઘટાડે છે

એક્સપર્ટ્સ માને છે કે AI ટૂંક સમયમાં ઘણી વાઇટ-કોલર જોબ્સ સંભાળી શકે છે

મેટાના કિસ્સામાં કેટલાક કોન્ટ્રાક્ટર ભૂમિકાઓને AI આધારિત સિસ્ટમોથી બદલી દેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. AI સીધું કારણ ન હોય તો પણ તે આ માટેનું એક મહત્ત્વનું કારણ જરૂર છે.

છૂટા કરાયેલા કર્મચારીઓને કેટલું વળતર મળે છે?

મેટાની સેફરન્સ પેકેજમાં સમાવેશ થાય છે:

ઓછામાં ઓછા 16 અઠવાડિયાની સેલેરી

કેટલા વર્ષ નોકરી કરી છે તેના આધારે વધારાનું વળતર

18 મહિના માટે આરોગ્ય લાભ અને કરિયર સપોર્ટ

માઈક્રોસોફ્ટના પેકેજ અલગ-અલગ છે, પરંતુ તેમાં ખાસ કરીને સિનિયર કર્મચારીઓ માટે નાણાકીય વળતર આપવામાં આવ્યું છે.

ટેકનિકલર દ્વારા ભારતની કામગીરી બંધ

આ છટણીઓ માત્ર સિલિકોન વેલી સુધી મર્યાદિત નથી. ભારતમાં Technicolorએ પોતાની કામગીરી બંધ કરી દીધી છે. એના કારણે 3,000થી વધુ કર્મચારીઓએ નોકરીમાંથી હાથ ધોવો પડ્યો છે. દુનિયાભરમાં આ કંપનીના 10000 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. વૈશ્વિક ખર્ચને લઈને કંપની પર પ્રેશર, કેટલાક સેક્ટરમાં સર્વિસની ઘટતી માંગ અને બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલું રીસ્ટ્રક્ચર દર્શાવે છે કે વૈશ્વિક કોર્પોરેટ નિર્ણયો સ્થાનિક રોજગાર બજારને સીધી અસર કરે છે.

આ પણ વાંચો: WhatsAppમાં જ કરો મોબાઇલ રિચાર્જ! નવું ફીચર લોન્ચ, યુઝર્સને રહેશે વધુ સરળતાં...

છટણીઓ હવે તમામ ક્ષેત્રોમાં ફેલાઈ રહી છે

મેટા અને માઈક્રોસોફ્ટની જાહેરાતો એક મોટા ટ્રેન્ડનો ભાગ છે:

ટેક, ફાઈનાન્સ અને મીડિયા ક્ષેત્રોમાં હજારો છટણીઓ થઈ રહી છે

કંપનીઓ AI અને automation તરફ આગળ વધી રહી છે

કર્મચારીઓમાં ઘટાડો કરવો હવે વધુ સામાન્ય બની રહ્યું છે

બિગ ટેકથી લઈને વૈશ્વિક સર્વિસ કંપનીઓ સુધી, હવે નોકરીઓમાં છટણી થવી હવે એકમાત્ર ઘટના નથી. ઘણી ઇન્ડસ્ટ્રીઓ અને ઘણી કંપનીઓ હવે આ વલણ અપનાવી રહી છે.

છટણી હવે મંદી પૂરતી મર્યાદિત નથી રહી

મેટા અને માઈક્રોસોફ્ટની છટણીઓ અને ભારત ખાતે ટેકનિકલરના બંધ થવાથી વૈશ્વિક અર્થતંત્રમાં ઊંડો ફેરફાર દેખાય છે. કંપનીઓ હવે AIમાં ભારે રોકાણ કરી રહી છે અને વર્કફોર્સ ઘટાડે છે. આ એક તાત્કાલિક નહીં, પરંતુ સ્થાયી પરિવર્તન તરફ સંકેત આપે છે. છટણીઓ હવે માત્ર આર્થિક મંદી સાથે જોડાયેલી નથી, તે હવે ટેક્નોલોજીકલ બદલાવ સાથે સીધી રીતે જોડાયેલી છે અને જેમ જેમ AIનો ઉપયોગ વધશે, તેમ આ ટ્રેન્ડ આગળ વધવાની સંભાવના છે.