| AI Image |
Space Accident: અંતરિક્ષમાં હવે ટ્રાફિક એટલો વધી ગયો છે કે સેટેલાઇટ્સ વચ્ચે અથડામણનો ખતરો સતત ઊભો થઈ રહ્યો છે. ISROએ પોતાની તાજેતરની સ્પેસ સિચ્યુએશન અવેરનેસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ઇસરો અનુસાર, ગયા વર્ષે ભારતીય સેટેલાઇટ્સને સુરક્ષિત રાખવા માટે કુલ 18 કોલિઝન અવોઇડન્સ મેન્યુવર (CAM) એટલે કે અથડામણ ટાળવાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ભવિષ્યના મિશન નિસાર અને ચંદ્રની કક્ષામાં પરિભ્રમણ કરી રહેલા Chandrayaan-2ને પણ આ ખતરોનો સામનો કરવો પડ્યો હતો.
નિસાર અને ચંદ્રયાન-2 પર મંડરાતો મોટો ખતરો
ઇસરોની રિપોર્ટ મુજબ નિસાર સેટેલાઇટ માટે NASA દ્વારા રિસ્ક મિટિગેશન મેન્યુવર અંગે ચેતવણી આપવામાં આવી હતી. આ સેટેલાઇટ પૃથ્વીની નીચલી કક્ષામાં કાર્યરત છે, જ્યાં અંતરિક્ષ કચરાનું પ્રમાણ સૌથી વધુ હોય છે. બીજી તરફ ચંદ્રયાન-2 ઓર્બિટરને પણ ચંદ્રની કક્ષામાં બે વખત પોતાની સ્થિતિ બદલવી પડી હતી. 1 જાન્યુઆરી અને 24 જુલાઈ 2025 ના રોજ નાસાના લૂનર રિકોનિસન્સ ઓર્બિટર સાથે અથડામણની સ્થિતિ સર્જાઈ રહી હતી. ઇસરોએ સમયસર પોતાની ઓર્બિટલ સ્થિતિમાં ફેરફાર કરીને સંભવિત દુર્ઘટના ટાળી હતી.
અંતરિક્ષ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ઇસરોની રણનીતિ
ઇસરોએ અમેરિકન સ્પેસ કમાન્ડ પાસેથી અંદાજે 1.5 લાખ એલર્ટ પ્રાપ્ત કર્યા હતા. આ એલર્ટ્સનું વિશ્લેષણ કર્યા બાદ જાણવા મળ્યું કે ઘણી વખત સેટેલાઇટ્સ એકબીજાના ખૂબ નજીક આવી જાય છે. ઇસરોએ પોતાની રણનીતિમાં ફેરફાર કરીને 82 વખત જૂના પ્લાનમાં સુધારા કર્યા. જેથી એક અથડામણથી બચતા બચતા સેટેલાઇટ અન્ય કચરાથી ન અથડાય તેની ખાતરી કરવામાં આવી. જિયોસ્ટેશનરી ઓર્બિટમાં પણ 4 વખત બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા, જેથી મહત્ત્વપૂર્ણ કમ્યુનિકેશન સેટેલાઇટ્સને નુકસાન ન થાય.
નાસા અને ઇસરોના તાલમેલથી ટળ્યું મોટું નુકસાન
સ્પેસ ઓપરેશન્સમાં તાલમેલ અત્યંત જરૂરી હોય છે. ચંદ્રયાન-2 મિશન દરમિયાન ઇસરોએ નાસા સાથે મળીને કામ કર્યું. નાસાએ પ્રાઈવેટ કંપનીઓ જેમ કે Firefly Aerospace અને Intuitive Machines સાથે કમ્યુનિકેશનમાં મદદ કરી હતી. આથી ચંદ્રની કક્ષામાં હાજર તમામ સેટેલાઇટ્સની સચોટ સ્થિતિ જાણી શકાયી. આ કો-ઓર્ડિનેશનના કારણે ભારત અને અમેરિકાના કરોડો ડોલરના પ્રોજેક્ટ્સ આજે પણ અંતરિક્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સક્રિય સ્થિતિમાં કાર્યરત છે.
આ પણ વાંચો: યુકેમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર લાગશે પ્રતિબંધ? PM સ્ટાર્મરે કંપનીઓને આપી ચેતવણી…
અંતરિક્ષને કચરામુક્ત રાખવામાં ઇસરોની ભૂમિકા
ઇસરો માત્ર પોતાના સેટેલાઇટ્સને જ સુરક્ષિત રાખતું નથી, પરંતુ અંતરિક્ષને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ નિભાવી રહ્યું છે. તાજેતરમાં IRNSS-1D સેટેલાઇટનું જીવન પૂર્ણ થયા બાદ તેને ગ્રેવયાર્ડ ઓર્બિટમાં ખસેડવામાં આવ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે ભારતે કોઈ સેટેલાઇટને પૃથ્વીથી 600 કિલોમીટર ઉપર સુરક્ષિત સ્થળે ખસેડ્યું છે. આ ઉપરાંત, 2025 દરમિયાન ભારતના 12 જૂના ઓબ્જેક્ટ્સ પૃથ્વીના વાયુમંડળમાં પાછા પ્રવેશીને નષ્ટ થઈ ગયા હતા. ઇસરોનું આ પગલું સ્પેસમાં પોતે ખૂબ જ પાવરફુલ બનવાની દિશામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.


