Enegrgy Around Living Things: કેનેડાના વિજ્ઞાનીઓ દ્વારા હાલમાં એક રિસર્ચ પર કામ કરવામાં આવ્યું હતું. એમાં ખૂબ જ ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. આ રિસર્ચ શું આત્મા શરીરમાં સાચે હોય છે કે પ્રાણવાયુ હોય છે એના પર કરવામાં આવી હતી. આ માટે વિજ્ઞાનીઓ દ્વારા ઉંદર અને છોડમાંથી નીકળતી એક ચમક જેને બાયોફોટોન્સ કહેવામાં આવે છે એને કેમેરામાં કૈદ કરવામાં આવી છે. જીવતા ઉંદરની સંપૂર્ણ બોડીમાંથી એક ચમક જોવા મળી હતી જે મૃત્યુ થતાં ગાયબ થઈ જાય છે. છોડમાં પણ આ ચમક જોવા મળી છે. એમાં આવેલી કોશિકાઓ મેટાબોલિઝમ સાથે જોડાયેલી હોય છે. આ શોધ ખેતી અને હેલ્થને લઈને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જોકે આપણને હજી પણ એક સવાલ થાય છે કે શું આત્મા સાચે હોય છે? છોડ, ઝાડ, પ્રાણી અને મનુષ્ય દરેક જીવીત વસ્તુની ફરતે એક ચમક જોવા મળે છે. આ ચમકને આંખોથી નથી જોઈ શકાતી. જોકે કેનેડાની યુનિવર્સિટી ઓફ કૅલગરીના વિજ્ઞાનીઓ દ્વારા પહેલી વાર એને કેમેરામાં કૈદ કરવામાં આવી છે અને ફોટો ક્લિક કર્યાં છે. આ શોધથી દુનિયાભરમાં લોકો ચોંકી ગયા છે. કેટલાક લોકો એને આત્મા તો કેટલાક લોકો એને પ્રાણવાયુ કહી રહ્યાં છે.
શું છે આ ચમક?
આ ચમકને બાયોફોટોન્સ અથવા તો અલ્ટ્રાવિક ફોટોન એમિશન તરીકે ઓળખવામાં આવે છે. આ કોઈ જાદૂ અથવા તો આત્મા નથી. જીવીત કોશિકાઓમાં સામાન્ય કેમિકલ પ્રતિક્રિયાઓ થતી હોય છે એના કારણે આ ચમક જોવા મળે છે. કોશિકાઓમાં મેટાબોલિઝમ જ્યારે પણ બને છે ત્યારે એમાં માઇટોકોન્ડ્રિયા જેવા અણુ ઇલેક્ટ્રોન્સને ઉત્તેજિત કરે છે. આ ઇલેક્ટ્રોન્સ જ્યારે પોતાની સામાન્ય સ્થિતિમાં આવે છે ત્યારે એમાં નાના-નાના ફોટોન્સ જોવા મળે છે. આ પ્રકાશ ખૂબ જ નબળો હોય છે. પ્રતિ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ફક્ત 10થી 1000 ફોટોન્સ નીકળતા હોય છે. એટલે કે સામાન્ય પ્રકાશથી લાખો ઘણાં ઓછા હોય છે.
રિસર્ચમાંથી જાણવા શું મળ્યું?
યુનિવર્સિટી ઓફ કૅલગરીના વિજ્ઞાની ડૅનિયલ ઓબ્લાકના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા શોધ કરવામાં આવી હતી. એમાં ઘણી મહત્ત્વની વાત તેમને જાણવા મળી હતી. આ માટે તેમણે વાળ વગરના ઉંદરનો ઉપયોગ કર્યો હતો જેથી વાળ પ્રકાશને અટકાવી ન શકે. ચાર ઉંદરને એકદમ અંધારામાં રાખવામાં આવ્યા હતા. સ્પેશ્યલ ક્વોન્ટમ કેમેરા એટલે કે EMCCD કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એનાથી 1-2 કલાક સુધી ફોટો ક્લિક કરવામાં આવ્યાં હતાં. આ કેમેરાથી એક-એક ફોટોને પણ શોધવામાં આવી શકે છે. આ સમયે ઉંદરની સંપૂર્ણ બોડી પર એક ચમક જોવા મળી હતી. ત્યાર બાદ ઉંદરને કોઈ પણ જાતનો દર્દ પહોંચાડ્યા વગર મારી નાખવામાં આવ્યા હતાં. તેમનું મૃત્યુ થતાં જ આ ચમક ખૂબ જ ઝડપથી ગાયબ થઈ ગઈ હતી.

તેમના દ્વારા ડ્વાર્ફ અમ્બ્રેલા ટ્રી એટલે કે Heptapleurum arboricolaની પાંખડીઓમાં પણ આ ચમક જોવા મળી હતી. ત્યાર બાદ આ પાંખડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને એને ગરમ પણ કરવામાં આવી હતી. એ સમયે આ પાંખડી પરની ચમક વધી ગઈ હતી. એનાથી જાણવા મળ્યું હતું કે એના પર સ્ટ્રેસ આપવાથી ચમકમાં વધારો થાય છે. આ પહેલાં છોડમાં પ્રકાશ જોવા મળ્યો હતો, પરંતુ પહેલી વાર સંપૂર્ણ બોડીમાં આ ચમક જોવા મળી છે.
આ ચમક કેમ મહત્ત્વની છે?
જીવીત રહેતાં આ ચમક રહે છે અને મૃત્યુ થતાં ગાયબ થઈ જાય છે. એનો અર્થ થાય છે કે આ ચમક મેટાબોલિઝમ સાથે જોડાયેલી છે જે શરીરમાં ફોટોન્સ ઉત્પન્ન કરે છે. કેટલાક લોકો એને ઓરા અથવા તો આત્મા અથવા તો પ્રાણવાયુ કહે છે. જોકે વિજ્ઞાનીઓને એને ફિઝિકલ અને બાયોકેમિકલ પ્રક્રિયા કહે છે.
આ પણ વાંચો: એક નહીં બે કેમેરા હશે આઇફોન એર 2માં: ધારવા કરતાં જલદી રિલીઝ કરશે એપલ એવી ચર્ચા...
ભવિષ્યમાં શું ફાયદો થશે આ શોધથી?
ખેતીમાં આ પ્રોસેસ ખૂબ જ કામ આવી શકે છે. કોઈ પણ બીજને પકડ્યા વગર જાણી શકાશે કે એમાંથી અંકુર ફૂટશે કે નહીં. આ સાથે જ ઓપરેશન વગર શરીરમાં રહેલાં ટિશ્યૂ પર લાગેલી ચોટ અથવા તો એના હેલ્થ વિશે જાણી શકાશે. આ શોધ કોઈ પણ જીવીત વસ્તુ માટે એના માટે જાણકારી મેળવવા માટે ખૂબ જ મદદરૂપ બની શકે છે. આ શોધ એક વિજ્ઞાન છે. દરેક જીવીત વસ્તુ ચમકે છે, પરંતુ આ કોઈ ચમત્કાર નથી — એક વિજ્ઞાન છે.


