Gujarat

સાબરકાંઠા જિલ્લામાં પાંચ બાળકો સહિત 159 વ્યકિત કોરોના સંક્રમિત

By GS Team
26 Jan 20222 mins read
This article was originally published on 26 Jan 2022
સાબરકાંઠા જિલ્લામાં પાંચ બાળકો સહિત 159 વ્યકિત કોરોના સંક્રમિત

હિંમતનગર તા. 25

સાબરકાંઠા જિલ્લામાં બે દિવસ દરમિયાન કોરોના પોઝિટિવ કેસોમાં ઘટાડો નોંધાયા બાદ મંગળવારે ફરી એક વાર કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતા જિલ્લાનુ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. જેમાં સૌથી વધુ હોટસ્પોટ ગણાતા હિંમતનગર પંથકમાં ૭૦ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા હિંમતનગર પંથકમાં એકિટવ કેસોનો આંક ૩૮૦ પર પહોચ્યો છે. જયારે જિલ્લામાં ૫૯૬ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ રહી કે ખાનગી હોસ્પિટલ દ્વારા સારવાર મેળવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાને કારણે જિલ્લાના હિંમતનગર પંથકમાં અત્યાર સુીમાં ૭૭ વ્યકિતઓના મૃત્યુ થયા છે. વધતા કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગે પણ ૧૬૦ જેટલી ટીમો દ્વારા સતર્કતા ભરી કામગીરી દ્વારા પગલા ભર્યા છે. 

રવિવાર અને સોમવાર કરતા મંગળવારે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જિલ્લામાં ૧૫૯ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં હિંમતનગર પંથકમાં ૭૦, ઈડરમાં ૪૪, ખેડબ્રહ્મામાં ૧૬, પ્રાંતિજમાં ૧૧, તલોદમાં ૧૧, વડાલીમાં ૫ અને વિજયનગર તેમજ પોશીનામાં એક એક દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જીલ્લામાં સૌથી વધુ ૭૦ જેટલા પોઝીટીવ કેસો હિંમતનગર પંથકમાં નોંધાયા છે. જેમાં ૨૯ મહિલા અને ૪૧ પુરૂષ દર્દીઓનો સમાવેશ થાય છે. બે દિવસબાદ ફરી જિલ્લામાં ૧૫૯ જેટલા દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે હાલમાં વાઈરલ બીમારીની સિઝન ચાલતી હોવાને કારણે તાવ, ઉધરસ, શરદીથી પીડાતા અનેક લોકો જો કોરોના ગાઈડ લાઈન મુજબ ટેસ્ટ કરાવે તો પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં અનેક ઘણો વધારો થઈ શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. તેમ છતા પોઝીટીવ કેસોની વધતી સંખ્યાને પગલે જિલ્લામાં હાલ એકિટવ કેસોનો આંક પણ ૫૯૬ પર પહોંચી ગયો છે.