Gujarat

સાબરકાંઠા જિલ્લાની 325 જેટલી ગ્રામ પંચાયતોમાં 19મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે

By GS Team
23 Nov 20212 mins read
This article was originally published on 23 Nov 2021
સાબરકાંઠા જિલ્લાની 325 જેટલી ગ્રામ પંચાયતોમાં 19મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે

હિંમતનગર તા. 22

સાબરકાંઠા જિલ્લામાં આવેલી ૩૨૫ ગ્રામ પંચાયતોની મુદત પુર્ણતાના આરે છે ત્યારે સોમવારે રાજયના ચુંટણી પંચ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. જેને પગલે ગ્રામ પંચાયત વિસ્તારમાં સોમવારથીજ આચાર સંહિતા અમલી બની જશે દરમિયાન જિલ્લાની ૩૨૫ પૈકી ૨૬૨ પંચાયતોમાં સામાન્ય ચુંટણી યોજાશે. જયારે બાકી રહેતી ૬૩ પંચાયતોમાં પેટા ચુંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત જિલ્લામાં આગામી તા. ૧૯ ડિસેમ્બર રવિવારના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેની મત ગણતરી તા. ૨૧ ડિસેમ્બરે કરાયા બાદ પરીણામ જાહેર કરવામાં આવશે.

જિલ્લા ચુંટણી પંચ શાખાના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાની ૩૨૫ ગ્રામ પંચાયતોની મુદત આગામી સમયમાં પુર્ણ થવાના આરે છે. ત્યારે રાજય ચુંટણી પંચ દ્વારા ચુંટણી યોજવા અંગે સોમવારે જાહેરાત કરીને જણાવ્યુ છે કે જે તે જિલ્લાઓમાં આગામી તા. ૨૯ નવેમ્બરના રોજ ચુંટણીનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવશે જે મુજબ રાજયમા તમામ ગ્રામ પંચાયતોની યોજાનાર ચુંટણી ઈવીએમને બદલે બેલેટ પધ્ધતિથી યોજાશે.

 સાબરકાંઠા જિલ્લાની ૨૬૨ પંચાયતોમાં જે સામાન્ય ચુંટણી યોજાનાર છે તેમાં સરપંચ સહિત તમામ વોર્ડના સભ્યોની પણ ચુંટણી થશે. જો કે બાકીની ૬૩ ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજાશે નોંધનીય છે કે જિલ્લાના પંચાયતોની મુદત તા. ૩૧-૩-૨૦૨૨ પછી પુર્ણ થાય છે તેવી અને જેની મુદત પુર્ણ થવામાં ૧ વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેવી પંચાયતોમાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી પણ યોજાશે. સાથે સાથે વિભાજન વાળી અને સામાન્ય ચુંટણી વાળી ગ્રામ પંચાયતોમાં પણ ચુંટણી યોજાશે. સોમવારે રાજય ચુંટણી પંચ દ્વારા ચુંટણી કાર્યક્રમ જાહેર કરતાની સાથે જ સાબરકાંઠાના જે તે વિસ્તારમાં આચાર સહિતા અમલી બની જશે. જેને લઈને મતદારોને આકર્ષવા માટેની કોઈ યોજનાઓની જાહેરાત થઈ શકશે નહી.

સાબરકાંઠા ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થતાની સાથે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે અને કેટલીક પંચાયતોમા તો વોર્ડના સભ્યો અને સરપંચ બનવાના સપના જોતા સ્થાનિક નેતાઓએ ચુંટણી લડવા માટેના સમીકરણોમાં રાચવાનુ શરૂ કરી દીધુ છે. લોકસભા અને વિધાનસભાની ચુંટણીઓ કરતા સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ ખુબ જ ચર્ચાસ્પદ અને ખરા ખરીની હોવાનુ ભુતકાળમાં જોવા મળ્યુ છે. કેટલીક વખત પંચાયતોની ચુંટણીઓના કારણે થતા વાદ-વિવાદો ઘણા લાંબા સમય સુધી ચાલતા હોવાને કારણે તેની સામાજીક જીવન ઉપર પણ અસરો જોવા મળે છે.

જાહેર કરવામાં આવેલુ ચૂંટણીનું જાહેરનામું

જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ - ૨૯-૧૧- ૨૦૨૧

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ - ૪-૧૨-૨૦૨૧

ઉમેદવારી પત્રોની ચકાસણી કરવાની તારીખ - ૬-૧૨-૨૦૨૧

ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ - ૭-૧૨-૨૦૨૧

મતદાનની તારીખ અને સમય - ૧૯-૧૨-૨૦૨૧

પુનઃમતદાનની તારીખ - ૨૦-૧૨-૨૦૨૧

મતગણતરીની તારીખ - ૨૧-૧૨-૨૦૨૧

ચુંટણી પ્રક્રીયા પુર્ણ થવાની તારીખ - ૨૪-૧૨-૨૦૨૧