Gujarat

જિલ્લામાં બે દિવસથી વાતાવરણમાં પલટો : માવઠાંની ભીતિથી ખેડૂતો મૂઝાયા

By GS Team
4 Feb 20221 min read
This article was originally published on 4 Feb 2022
જિલ્લામાં બે દિવસથી વાતાવરણમાં પલટો : માવઠાંની ભીતિથી ખેડૂતો મૂઝાયા

હિંમતનગર, તા. 3

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગુરૂવારે સવારે વાતાવરણમાં પલ્ટો આવ્યા પછી વાતાવરણ વાદળછાયું બન્યું છે. હવામાન વિભાગની આગાહી પછી મોસમનો મૂડ બદલાયો છે. ઠંડી ઘટી પરંતુ હવામાં વેસ્ટન્સ ડીસ્ટબન્સની અસર સ્પષ્ટ જોવા મળી છે. જ્યારે વાદળછાયા વાતાવરણમાં માવઠાના સંકેતથી ખેડૂતોના જીવ ઉચાટમાં આવ્યા છે.

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ભારતની હિમવર્ષાના કારણે હમણાં સુધી જિલ્લો ઠંડોગાર બની રહ્યો જેમાં બેે દિવસથી ઠંડીની તિવ્રતામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો  ત્યાં હવે ફરીથી વાતાવરણ વિષમ બન્યું છે. જિલ્લામાં ગત પરોઢથી આકાશમાં વાદળોએ ઘેરો ઘાલતાં રવી સીઝનના વાવેતરને માઠું નુક્સાન થવાની ભીતી વ્યક્ત થઈ રહી છે. સૂર્ય વાદળોમાં છૂપાતાં ખેતીનો વિકાસ રુંધાય તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે હવામાનમાં આવેલા બદલાય પછી ઠંડીનું જોર ઘટયું પરંતુ વાદળો હટયા પછી ફરીથી ઠંડીનો તેજ ચમકારો અનુભવાશે. છેલ્લા કેટલાક દિવસથી ઠંડીએ સમગ્ર જનજીવનને બાનમાં લીધું હતું જેમાં બે દિવસથી વાતાવરણનો મૂડ બદલાયો છે. આ સંજોગોમાં જો કમોસમી માવઠું વરસે તો ખેતરોમાં ઉભા રવી પાકને નુક્સાન થઈ શકે છે.