Gujarat

પ્રાંતિજ પાલિકા દ્વારા 1057 વેરા બાકીદારોને અંતિમ નોટિસ આપી અલ્ટિમેટમ અપાયું

By GS Team
31 Oct 20212 mins read
This article was originally published on 31 Oct 2021
પ્રાંતિજ પાલિકા દ્વારા 1057 વેરા બાકીદારોને અંતિમ નોટિસ આપી અલ્ટિમેટમ અપાયું

પ્રાંતિજ,તા.30

પ્રાંતિજ શહેરમાં રૂ. ૧૦૦૦૦ કરતાં વધુ બાકી હોઇ તેવા ૧૦૫૭ બાકાદારોને રૂ. ૨.૧૯ કરોડનો બાકી વેરો ૨૪ કલાકમાં ભરવા માટે અંતિમ નોટિસ પાલિકાએ ફટકારી છે. જેના પગલે રીઢા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. 

પ્રાંતિજ શહેરમાં  પાલિકા પ્રમુખ દિપક કડિયા તેમજ મુખ્ય અધિકારીએ પ્રાંતિજ પાલિકાના બાકીદારો સામે કડક હાથે કામ લેતા રૃા.૧૦,૦૦૦ થી ઉપરના ૧૦૫૭ બાકીદારોના રૃા.૨.૧૯ કરોડ રૂપિયા ઉઘરાવવા માટે પાલિકા તરફથી ક્રમશઃ નોટિસો આપવામાં આવી રહી છે જેના ભાગ રૂપે પ્રથમ દિવસે પ્રાંતિજ શહેરના પાંચ બાકીદારોને  અંતિમ નોટીસ(૨૪ કલાકમાં બાકી નાણાં ભરવા) આપવામાં આવી હતી તેમાંથી ગણતરીના કલાકોમાં બાકીદારોએ પોતાના નાણાં પાલિકામાં જમા કરાવ્યા હતા આમ પાલિકામાંથી અંતિમ નોટીસ ઈસ્યુ કરવામાં આવતા રીઢા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે અને જે પાલિકાની બાકીની રકમ નહિભરે તેની મિલ્કત સીલ કરવામાં આવશે.

પ્રાંતિજ પાલિકામાં રીઢા બાકીદારોને અગાઉ પાલિકા તરફથી ૧૫૦૦ નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી જેના કારણે પાલિકામાં ૧.૩૧ કરોડની વસુલાત કરી હતી હવે પ્રાંતિજ પાલિકાના ૧૦૫૭ જેટલા રીઢા બાકીદારો ૨.૧૯ કરોડ જેટલી રકમ ભરતા નથી તેમને ક્રમશઃ૨૪ કલાકમાં નાણાં ભરવા માટે અંતિમ નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જો આ રકમ ૨૪ કલાકમાં નહિ ભરવામાં આવેતો રકમ વસુલવા માટે ગુજરાત નગરપાલિકા અધિનીયમ-૧૯૬૩ની કલમ -૧૩૩ અન્વયે મિલ્કત ટાંચ અને જપ્તી કરવામાં આવશે અને જેના સંબંધમાં કર લઈ શકાય તેવી સેવાઓ બંધ કરવામાં આવશે.

આ નોટીસ મળતાં જ તેમાંથી કેટલાક બાકીદારોએ ગણતરીના કલાકોમાં પાલિકાનાં રૃા.૨.૮૭ લાખ જેટલા નાણા ભરી દીધા હતા વધુમાં તેમણે જણાવ્યું કે આગામી સમયમાં બીજી નોટીસો ઈસ્યુ કરવામાં આવશે અને જે કોઈ બાકીદારો નાણાં નહિ ભરે તેમને કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા સિવાય તેમના મિલ્કતની જપ્તી સહિત તમામ આકરા પગલાં ભરવામાં આવશે.

આ અંગે પાલિકા પ્રમુખ શું કહે છે ?

આ અંગે પ્રાંતિજ પાલિકા પ્રમુખ દિપક કડિયાને પૂછતાં તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રાંતિજ પાલિકામાં રીઢા બાકીદારોને અગાઉ પાલિકા તરફથી ૧૫૦૦ નોટીસો ઇસ્યુ કરવામાં આવી હતી જેના કારણે પાલિકામાં ૧.૩૧ કરોડની વસુલાત કરી હતી હવે પ્રાંતિજ પાલિકાના ૧૦૫૭ જેટલા રીઢા બાકીદારો ૨.૧૯ કરોડ જેટલી રકમ ભરતા નથી તેમને ક્રમશઃ૨૪ કલાકમાં નાણાં ભરવા માટે અંતિમ નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે.