રાજકોટમાં કરુણાંતિકા! ખખ્ખર પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત, માતા બાદ પિતા-પુત્રનું પણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Mass suicide Case: રાજકોટ શહેરમાંથી એક અત્યંત આઘાતજનક અને કરુણ ઘટના સામે આવી છે. શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્ક વિસ્તારમાં રહેતા ખખ્ખર પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક રીતે ઝેરી દવા ગટગટાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન દંપતી અને તેમના પુત્ર સહિત ત્રણેયના મોત નીપજ્યા છે.
એકસાથે ઝેરી ગોળીઓ ગટગટાવી
પ્રાથમિક વિગતો મુજબ અજંતા પાર્કમાં રહેતા દિલીપભાઈ ખખ્ખર (ઉં.વ. 73), તેમના પત્ની સ્મિતાબેન ખખ્ખર (ઉં.વ. 65) અને અવિવાહિત પુત્ર નિશિત ખખ્ખર (ઉં.વ. 32)એ સાંજના આશરે 5 વાગ્યાના સુમારે પોતાના ઘરે એકસાથે સેલફોસના ટિકડાઓ ખાઈ લીધા હતી. આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સૌપ્રથમ સ્મિતાબેનનું મોત થયું હતું. જ્યારે ઇમર્જન્સી વોર્ડમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા પિતા દિલીપભાઈ અને પુત્ર નિશિતે પણ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
આર્થિક સંકળામણ બન્યું કારણ
બનાવ અંગે જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી હતી. યુનિવર્સિટી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પરિવારે આર્થિક સંકળામણથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હતું.
2018માં મોટા પુત્રનું પણ થયું હતું અવસાન
મૃતક દિલીપભાઈ PWD વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. પરિવારના પૃષ્ઠભૂમિ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમને બે પુત્રો હતા, જેમાંથી મોટા પુત્રનું વર્ષ 2018માં જ અવસાન થઈ ચૂક્યું હતું. જ્યારે નાનો પુત્ર નિશિત અવિવાહિત હતો. પરિવારના ત્રણ સભ્યોના એકસાથે આ રીતે કરુણ અંતથી સમગ્ર અજંતા પાર્ક વિસ્તારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.









