પોલીસમાં કેમ પકડાવ્યો તેમ કહી વેપારીને બેફામ મારકૂટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રેલનગરના શિવાલય ચોકમાં સંકલ્પ સિદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતા અને મોબાઇલ એક્સેસરીઝનો વેપાર કરતા જયેશ ઉર્ફે જેકી જગદીશભાઇ મેઠાણી (ઉ.વ.૩૨)ને તે મને પોલીસમાં પકડાવ્યો છે તેમ કહીં ત્રણ આરોપી શાહરૂખ સીરાઝ જુણેજા, મોહિત તનીયા (રહે. બંને રેલનગર) અને વિશાલ પૂજારાએ ધોકા અને પાઇપ વડે આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પ્ર.નગર પોલીસમાં નોંધાઇ છે.
ફરિયાદમાં જયેશે જણાવ્યું છે કે, ગઇ તા.૨૪ના રાતના ૧૧: ૩૦ વાગ્યે વિશાલે કોલ કરી મળવાની વાત કરતા ફ્લેટ નીચે ઉતર્યો હતો. થોડી વાર બાદ વિશાલ એક મહિલા સાથે આવી પહોચ્યો હતો. બંને વાતચીત કરતા હતા તેવામાં શાહરૂખ અને મોહિત એક્સેસ ઉપર ધસી આવ્યા હતા. આવીને તેને બેફામ ગાળો ભાંડી શાહરૂખે કહ્યું કે, તે મને પોલીસમાં કેમ પકડાવ્યો છે. ત્યારબાદ બંને આરોપીઓએ મારકુટ શરૂ કર્યા બાદ પીવીસીના પાઇપના આડેધડ ઘા ઝીંક્યા હતા.
તે વખતે વિશાલે તેને પકડી રાખ્યો હતો. શાહરૂખે તેના પ્રાઇવેટ પાર્ટમાં પાટા માર્યા હતા. દેકારો થતાં તેની પત્ની ક્રિષ્ના નીચે દોડી આવી હતી. તે વખતે શાહરૂખે કહ્યું કે, અત્યારે તારા ઘરના આવી ગયા એટલે બચી ગયો છો, હવે તું ગમે ત્યાં રસ્તામાં ભેગો થઇશ એટલે તને મારી નાંખીશ. સિવિલમાં સારવાર લીધા બાદ આજે ફરિયાદ નોંધાવી હતી.




