વરસાદ જ્યાં ભૂકંપનું એક કારણ તે અમરેલી પંથકમાં 2.9નો ધરતીકંપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: ગુજરાતમાં કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય કે સમુદ્ર હોય ભૂકંપો દરેક જગ્યાએ આવતા રહે છે પરંતુ, તેમાં સૌરાષ્ટ્રના તાલાલા,અમરેલી સહિત વિસ્તારો કે જે સ્વાર્મ અર્થક્વેક (શ્રેણીબધ્ધ નાના આંચકા) માટે રાજ્યમાં સર્વાધિક સંવેદનશીલ છે ત્યાં સંશોધનો મૂજબ વરસાદ પણ ભૂકંપનું એક કારણ ગણાય છે.આજે અમરેલીથી ૩૯ કિ.મી.દૂર, સાવરકુંડલા-ખાંભા વચ્ચે, મિતિયાળા, જીકીયાળી ગામ પાસે ૨.૯ મેગ્નિટયુડનો ભૂકંપ ઉદ્ભવ્યો હતો.
છીછરી સપાટીએ, જમીનથી માત્ર ૬.૨ કિ.મી. ઉંડાઈએ ભૂકંપ ઉદ્ભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ આ વિસ્તારમાં સેંકડો ભૂકંપો આવ્યા છે જે મોટાભાગે જમીનમાં ૧૦ કિ.મી. કે ઓછી ઉંડાઈએ ઉદ્ભવતા હોય છે અને ૩.૦થી નાના મેગ્નિટયુડના હોય છે. અગાઉ અસંખ્ય ભૂકંપોથી ગભરાટ ફેલાતા સંશોધનો પણ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મિતિયાળા અને આસપાસની જમીનની નીચે સ્થાનિક ફોલ્ટ્સ અને ફોલ્ટલાઈન આવેલ છે. આ ફોલ્ટલાઈન કચ્છ જેવી વિનાશક અને વિશાળ નથી તેથી મોટાભૂકંપની શક્યતા નહીવત્ રહે છે અને ચોમાસામાં ભૂકંપની ગતિવિધિ વધતી હોય છે. તેનું કારણ એ છે કે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ વરસાદી પાણી જમીનમાં ઉતરે છે, જે જમીનની સપાટી અને પેટા સપાટી પર વજન વધારે છે, અને ખડકોને એક પ્રકારે લુબ્રિકેટ કે લપસણાં કરે છે જે સ્લીપ થતા નાના આંચકા આવતા હોય છે. આ વર્ષે અમરેલી જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે નાના આંચકા સામાન્ય ગણાય છે.









