- ભારત-અમેરિકાના વચગાળાના વેપાર કરારનું માળખું તૈયાર, આભાર, ડોનાલ્ડ ટ્રમ્પ મેક ઈન ઈન્ડિયા વધુ મજબૂત થશે : મોદી
- અમેરિકાએ ભારતીય નિકાસકારો માટે 30 લાખ કરોડ ડોલરનું બજાર ખોલ્યું : 25 ટકા પેનલ્ટી ટેરિફ નાબૂદ, 18 ટકા ટેરિફનો અમલ શરૂ
- સ્ટીલ, કોપર સહિત 12 અબજ ડોલરના સામાન પર ટેરિફમાં કોઈ ફેરફાર કરાયો નથી
- ભારત પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ ડોલરના ઊર્જા ઉત્પાદનો, વિમાન, કિંમતી ધાતુઓની ખરીદી કરશે
નવી દિલ્હી/વોશિંગ્ટન : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની જાહેરાત પછી હવે બંને દેશોએ વચગાળાના વેપાર કરાર માટે ફ્રેમવર્ક પર સહમતીની જાહેરાત કરી હતી. વચગાળાના વેપાર કરાર હેઠળ અમેરિકાએ ભારત પર હાલ ૫૦ ટકા ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કર્યો છે જ્યારે ભારતે અમેરિકાના બધા જ ઔદ્યોગિક સામાન અને અમેરિકાના કેટલાક ફૂડ અને કૃષિ ઉત્પાદનો પરનો ટેરિફ શૂન્ય કર્યો છે. આ કરારનો અમલ શનિવારથી જ શરૂ થયો છે. આ કરાર હેઠળ અમેરિકાએ ભારતીય નિકાસકારો માટે ૩૦ લાખ કરોડ ડોલરનું તેનું બજાર ખોલ્યું છે. બીજીબાજુ ભારત અમેરિકાના ૫૦૦ અબજ ડોલરના ઊર્જા ઉત્પાદનો, વિમાન, કિંમતી ધાતુઓની ખરીદી કરશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની જાહેરાત કરી હતી. જોકે, બંને વચ્ચે આ કરાર મુદ્દે સ્પષ્ટ વિગતો જાહેર કરાઈ નહોતી. ટ્રમ્પની આ જાહેરાતના છ દિવસ પછી ભારત અને અમેરિકા બંને દેશો વચ્ચે વચગાળાના વેપાર કરાર માટેના ફ્રેમવર્ક માટે સહમત થઈ ગયા છે. આ બાબતે બંને દેશોએ શનિવારે સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. વચગાળાના વેપાર કરારની ફ્રેમવર્ક મુજબ બંને દેશો દ્વિપક્ષીય વેપાર માટે અનેક માલ-સામાન પરની આયાત ડયુટી ઘટાડશે. અમેરિકાએ ભારત પર હાલ લાગતા ૫૦ ટકા ટેરિફને ઘટાડીને ૧૮ ટકા કર્યો છે જ્યારે ભારતે અમેરિકાના બધા જ ઔદ્યોગિક સામાન અને ડ્રાય ડિસ્ટિલર્સ, અનાજ, પશુ આહાર માટેના લાલ સોરઘુમ, ટ્રી નટ્સ, ફ્રેશ અને પ્રોસેસ્ડ ફ્રુટ, સોયાબીન ઓઈલ, વાઈન અને સ્પિરિટ્સ સહિત અમેરિકાના કેટલાક ફૂડ અને કૃષિ ઉત્પાદનો પર આયાત જકાત શૂન્ય કરવાની જાહેરાત કરી છે.
બંને દેશોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે ભારત અને અમેરિકાને એ જાહેર કરતા આનંદ થાય છે કે તેઓ રેસિપ્રોકલ અને પારસ્પરિક લાભ થાય તેવા વેપાર સંબંધે વચગાળાના કરાર માટે એક ફ્રેમવર્ક પર પહોંચવામાં સહમત થયા છે. વધુમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શવનિવારે ભારત પર ગયા વર્ષે ઓગસ્ટમાં લાગુ કરેલો વધારાનો ૨૫ ટકા ટેરિફ સંપૂર્ણપણે નાબૂદ કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશના વચગાળાના કરારનો અમલ ૭ ફેબુ્રઆરી, ૨૦૨૬ના રોજથી લાગુ પડશે.
બંને દેશો વચ્ચેના વેપાર કરાર અંગે વડાપ્રધાન મોદીએ આનંદ વ્યક્ત કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, બંને મહાન દેશો વચ્ચે વચગાળાના વેપાર કરારની રૂપરેખા પર સહમતી બની ગઈ છે. આભાર ડોનાલ્ડ ટ્રમ્પ, આ વેપાર કરારથી અમારા ખેડૂતો, ઉદ્યોગો, એમએસએમઈ, સ્ટાર્ટઅપ અને માછીમારોને નવી તકો મળતા મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે.
ભારતના વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું કે, વચગાળાના વેપાર કરાર હેઠળ અમેરિકાએ ભારતીય નિકાસકારો માટે ૩૦ લાખ કરોડ ડોલરનું બજાર ખુલ્લુ મુક્યું છે, જેમાં ૪૪ અબજ ડોલરના ભારતીય સામાન પર શૂન્ય ટેરિફ લાગશે. આ વેપાર કરાર પર માર્ચની મધ્યમાં હસ્તાક્ષર થવાની શક્યતા છે. ભારતના ૩૦ અબજ ડોલરના સામાન પર અમેરિકામાં ૧૮ ટકા ટેરીફ લાગુ થશે, જેમાં લેબર ઈન્ટેન્સિવ સેક્ટર્સના સામાનનો સમાવેશ થાય છે.
પીયુષ ગોયલે ઉમેર્યું કે, ભારતના સ્ટીલ, કોપર અને ચોક્કસ ઓટો પાર્ટ્સ સહિત ૧૨ અબજ ડોલરના મૂલ્યના સામાન પરના ટેરિફમાં કોઈ ફેરફાર થયો નથી. તેને યથાવત રાખવામાં આવ્યો છે. સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર અને ઓટો પાર્ટ્સ પર લાગુ ટેરિફ બધા જ દેશો પર એક સમાન રીતે લાગુ કરાયો છે. અમેરિકામાં આ ઉત્પાદનો પર ૫૦ ટકા ટેરિફ છે.
ભારત-અમેરિકાના વેપારના આંકડા
વર્ષ ૨૦૨૧થી ૨૫ વચ્ચે અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર હતું. ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો ૧૮ ટકા, આયાતમાં ૬.૨૨ ટકા અને દ્વિપક્ષીય વેપારમાં ૧૦.૭૩ ટકા હિસ્સો હતો. વર્ષ ૨૦૨૪-૨૫માં બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર ૧૮૬ અબજ ડોલરે પહોંચ્યો હતો, જેમાં ભારતે અમેરિકામાં ૮૬.૫ અબજ ડોલરના સામાનની નિકાસ કરી હતી અને ૪૫.૩ અબજ ડોલરના સામાનની અમેરિકામાંથી આયાત કરી હતી.
અમેરિકા સાથે ભારતની વેપાર ખાધ ૨૦૨૪-૨૫માં ૪૧ અબજ ડોલર, ૨૦૨૩-૨૪માં ૩૫.૩૨ અબજ ડોલર અને ૨૦૨૨-૨૩માં ૨૭.૭ અબજ ડોલર હતી.
ભારતના દવાઓ, હીરા, મસાલા પર શૂન્ય ટેરિફ
પીયુષ ગોયલે શનિવારે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર હેઠળ અમેરિકામાં ભારતના ૪૪ અબજ ડોલરના મૂલ્યના સામાન પર શૂન્ય ટેરિફ લાગશે. આ વસ્તુઓમાં જેમ્સ એન્ડ જ્વેલરી, હીરા, કોઈન્સ પ્લેટિનમ, કૃષિ ઉત્પાદનો, દવાઓ, સ્માર્ટફોન્સ, મસાલા, વેજિટેબલ ઓઈલ, સૂકો મેવો, અનેક ફળ અને શાકભાજી, કેળા, કેરી, ખાંડ, પાઈનેપલ, મશરૂમ, શાકભાજીના મૂળીયા, એસેન્શિયલ ઓઈલ, કોકા અને કોકાથી બનેલી વસ્તુઓ, પ્રોસેસ ફ્રુટ્સ, વિમાનના પાર્ટ્સ, મશીનરી પાર્ટ્સ, એલ્યુમિનિયમ પાર્ટ, ઝિંક ઓક્સાઈડ, મિનરલ્સ અને નેચરલ વસ્તુઓ, કુદરતી રબર વગેરેનો સમાવેશ થાય છે.
હાર્લે ડેવિડસન પર શૂન્ય ટેરિફ, લકઝરી કાર પર પણ ડયુટી ઘટશે
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારના ફ્રેમવર્કની શનિવારે જાહેરાત કરાઈ છે ત્યારે આ કરાર હેઠળ ભારતમાં હાર્લે ડેવિડસનની બાઈકો પરનો ટેરિશ શૂન્ય કરી દેવાયો છે અને અમેરિકાથી આવતી લક્ઝરી આઈઈસી અને હાઈબ્રિડ કારો પર રાહત દરની ભલામણ કરાઈ છે. આ કરાર હેઠળ એવી આશા વ્યક્ત કરાઈ છે કે અમેરિકાની ૮૬ અબજ ડોલરની નિકાસમાંથી ૭૪ અબજ ડોલરની નિકાસને લાભ થશે. સૂત્રો મુજબ બંને દેશો વચ્ચે વચગાળાના કરાર હેઠળ હાર્લે ડેવિડનની ૮૦૦ સીસીથી ૧૬૦૦ સીસીની ક્ષમતાવાળી બાઈક્સ પરની આયાત શૂન્ય કરી દેવાશે. સાથે જ અમેરિકાથી આયાત થતી અન્ય હાઈ વેલ્યુ બાઈક પર રાહત દર લાગુ કરાશે. આ સિવાય અમેરિકામાંથી આયાત કરાતી લક્ઝરી કારો પર પણ ટેરિફમાં તબક્કાવાર ઘટાડો કરાશે.


