'તમે કંઈ ખોટું નથી કર્યું, માફીની જરૂર નથી', વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને મળીને બોલ્યા રાહુલ ગાંધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Student Protest: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જંતર-મંતર પર પ્રદર્શન કરનારા કેટલાક યુવાન વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ તેમણે ટીકાભર્યા શબ્દોમાં કહ્યું છે કે, આ વિદ્યાર્થીઓને માફી માગવાની કોઈ જરૂર નથી, તેમણે કંઈ પણ ખોટું કર્યું નથી. રાહુલ ગાંધીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે, તેમને આ તમામ પ્રદર્શનકારીઓ પર ગર્વ છે, કારણ કે તેમણે ભારતના ભવિષ્ય માટે સંઘર્ષ કર્યો છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'જે આપણા યુવા પ્રદર્શનકારીઓ છે, તેમની સાથે મારી બેઠક થઈ હતી, અને અમારી વચ્ચે વાતચીત થઈ. સૌથી પહેલા હું આમના જેવા જે હજારો યુવાનો છે, તેમનો આભાર માનવા માંગુ છું, સાથે જ જેઓ શિક્ષણ પ્રણાલી માટે લડ્યા, બંધારણ માટે લડ્યા અને ભારતના ભવિષ્ય માટે લડ્યા તેમનો પણ આભારી છું. અમારી વચ્ચે મુખ્ય વાતચીત હિંસાને લઈને થઈ. તેમણે કોઈના પર હિંસા નથી કરી, પરંતુ તેમનું સતત ઉત્પીડન થઈ રહ્યું છે, એમને ધમકાવવામાં આવ્યા, એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એમને મારવામાં આવ્યા.'
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, 'તેમણે મુખ્ય વાત કહી કે, 'જ્યારે અન્યાય થાય છે, પછી ભલે તે કોઈ બીજા પર પણ થાય, એક નાગરિક હોવાના નાતે આપણી જવાબદારી બને છે કે, આપણે તે માણસનું રક્ષણ કરીએ… 'તમે કંઈ પણ ખોટું નથી કર્યું, અને તમારી માફી સ્વીકારવાનો સવાલ જ ઊભો થતો નથી. તમારે કોઈની પાસે માફી માગવાની જરૂર નથી. તમે કંઈ પણ ખોટું કર્યું નથી.'
કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
આ પહેલા એક પુસ્તકના વિમોચન દરમિયાન પણ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશમાં મોટી સંખ્યામાં યુવાનો રોજગાર અને પરીક્ષા પ્રણાલી સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ નિષ્પક્ષ પરીક્ષાઓ અને શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થાની માંગને લઈને રસ્તા પર ઉતરી રહ્યા છે. તેમણે કહ્યું કે, યુવાનોની ચિંતાઓને ગંભીરતાથી લેવામાં આવવી જોઈએ કારણ કે, તેઓ જ દેશનું ભવિષ્ય છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે, વિદ્યાર્થીઓની સમસ્યાઓનો ઉકેલ પ્રાથમિકતાના ધોરણે થવો જોઈએ.









