Another Comment Of CJI In Controversy: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની 'કોકરોચ' વાળી ટિપ્પણીને લઈને દેશભરમાં થયેલા વિવાદ બાદ હવે ફરી એકવાર તેમણે આવી જ એક ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક કેસની સુનાવણી દરમિયાન આરોપીને જામીન આપવાનો ઇન્કાર કરતાં કહ્યું કે, 'આ પ્રકારના લોકો પરજીવી જેવા હોય છે અને તેથી જ તેમનું જેલમાં રહેવું વધુ યોગ્ય છે.'
સાયબર ગુનેગારો 'પરજીવી' છે
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં સાયબર ફ્રોડના એક કેસ પર સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે ગુનેગારને જામીન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. અરજીને ફગાવી દેતાં પીઠે અત્યંત કડક ટિપ્પણીઓ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સાયબર ગુનેગારો 'પરજીવી' છે જે લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરે છે અને તેમને પકડવા પણ સરળ નથી હોતા. આવા ગુનેગારોને જેલના સળિયા પાછળ રાખવા જ સમાજના હિતમાં છે.
શું બોલ્યા CJI?
આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આરોપીને ફટકાર લગાવતાં કહ્યું કે, 'તમે પરજીવી છો જે રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરો છો. સાયબર ગુનેગારો પ્રત્યે અમારે ખૂબ જ કડક વલણ અપનાવવું જ પડશે.'
ચીફ જસ્ટિસે આગળ સાયબર ગુનાના વ્યાપ પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે આગળ કહ્યું કે, 'તમે લોકો કોઈ એક રાજ્ય પૂરતા સીમિત નથી રહેતા. તમિલનાડુમાં કોઈની સાથે છેતરપિંડી કરો છો અને પછી ત્યાંથી જમ્મુ જતાં રહો છો. સમાજનું હિત એમાં જ છે કે તમારા જેવા લોકો જેલની અંદર જ રહે.'
કોકરોચ વાળા નિવેદન પર વિવાદ
નોંધનીય છે કે, આ પહેલા ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક કેસમાં આ પ્રકારની ટિપ્પણી કરી હતી, ત્યારે તેમના નિવેદન પર ભારે હોબાળો થયો હતો. CJI સૂર્યકાંતે ગત મહિને એક અરજી પર સુનાવણી કરતી વખતે કથિત રીતે બેરોજગાર યુવાનોની સરખામણી 'કોકરોચ' સાથે કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, 'બેરોજગાર યુવાનો આગળ જતાં મીડિયા, સોશિયલ મીડિયા અને આરટીઆઇ કાર્યકર્તા બની જાય છે અને પછી સિસ્ટમ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે.'
વિવાદ વધતાં સ્પષ્ટતા આપી
તેમના આ નિવેદન બાદ હોબાળો મચી ગયો હતો અને કહેવામાં આવી રહ્યું હતું કે, દેશના ચીફ જસ્ટિસે યુવાઓ માટે આવા શબ્દોનો પ્રયોગ ન કરવો જોઈતો હતો. ત્યારબાદ ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.
તેમણે એક નિવેદનમાં કહ્યું કે, મને એ જાણીને દુઃખ થયું કે મીડિયાના એક વર્ગે ગઈકાલે એક સામાન્ય કેસની સુનાવણી દરમિયાન મારા દ્વારા કરવામાં આવેલી મૌખિક ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરી છે. મારું આ નિવેદન નકલી અને બોગસ ડિગ્રીઓ દ્વારા કાનૂની ક્ષેત્રમાં પ્રવેશ કરી રહેલા લોકો માટે હતું, પરંતુ મીડિયાના એક વર્ગે તેને ખોટા સંદર્ભમાં રજૂ કર્યું.
જો કે, ત્યાં સુધીમાં વિવાદ ઘણો વધી ચૂક્યો હતો. નારાજ યુવાનોએ વિરોધ નોંધાવવા માટે એક પાર્ટીની પણ રચના કરી છે, જેને 'કોકરોચ જનતા પાર્ટી' નામ આપવામાં આવ્યું છે અને તેને દેશવ્યાપી આંદોલનમાં બદલવાની તૈયારીઓ ચાલી રહી છે.


