Yogi Adityanath statement on namaz: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક કાર્યક્રમ દરમિયાન રસ્તાઓ પર નમાઝ પઢવા મામલે અત્યંત કડક વલણ અપનાવતા મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, યુપીમાં રસ્તાઓ પર નમાઝ બિલકુલ સહન કરવામાં નહીં આવે કારણ કે રસ્તાઓ સામાન્ય નાગરિકોની અવરજવર માટે છે. તેમણે ઉમેર્યું કે, જો લોકો સંવાદ અને પ્રેમથી નહીં માને, તો સરકાર તેમની સામે કાયદાકીય રીતે બીજો કડક રસ્તો અપનાવશે.
રસ્તાઓ ચાલવા માટે છે, ત્યાં તમાશો નહીં ચલાવી લેવાય
સોમવારે એક જાહેર મંચ પરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રસ્તાઓ બ્લોક કરીને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
બીજા લોકોના અધિકારોનું શું?
સીએમ યોગીએ કહ્યું કે, "લોકો મને પૂછે છે કે શું તમારા યુપીમાં સાચે જ રસ્તાઓ પર નમાઝ નથી થતી? હું કહું છું કે બિલકુલ નથી થતી, તમે જઈને જોઈ લો. રસ્તાઓ ચાલવા માટે છે. કોઈ પણ વ્યક્તિ આવીને ચાર રસ્તા પર તમાશો બનાવશે તો કેવી રીતે ચલાવી લેવાય? કોઈને પણ રસ્તો રોકવાનો કે વાહનવ્યવહાર ખોરવવાનો શું અધિકાર છે?
શિફ્ટમાં નમાઝ પઢવાની સલાહ
જ્યારે કેટલાક લોકોએ મુખ્યમંત્રીને કહ્યું કે અમારી સંખ્યા વધારે છે તો રસ્તા સિવાય ક્યાં જવું? ત્યારે સીએમ યોગીએ કડક શબ્દોમાં જવાબ આપ્યો કે, જો સંખ્યા વધારે હોય તો શિફ્ટમાં નમાઝ પઢો. જો તમારા ઘરમાં રહેવાની જગ્યા ન હોય તો વસ્તી પર નિયંત્રણ કરો. જો સિસ્ટમ સાથે રહેવું હોય તો નિયમ અને કાયદા માનવા જ પડશે.
આ પણ વાંચો : AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી... PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ
કાયદાનું શાસન બધા માટે સમાન, અરાજકતા નહીં ફેલાવા દઈએ
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યમાં કાયદાનું શાસન છે અને તે દરેક નાગરિક પર સમાન રીતે લાગુ પડે છે. સરકાર કોઈ પણ ભોગે રસ્તાઓ પર અરાજકતા ફેલાવા દેશે નહીં.
સીએમ યોગીની ખુલ્લી ચેતવણી
તમારે નમાઝ પઢવી જરૂરી છે તો તમે શિફ્ટમાં પઢો, અમે તેને રોકીશું નહીં. પરંતુ રસ્તા પર ક્યારેય ચલાવી નહી લઇએ. એક સામાન્ય નાગરિક, બીમાર વ્યક્તિ, કર્મચારી અને વેપારી માટે અમે રસ્તાઓ બંધ થવા દઈ શકીએ નહીં. સરકારનો નિયમ સાર્વભૌમ છે અને સરકાર માટે દરેકે દરેક નાગરિક સમાન છે.
સંવાદથી નહીં માનો તો સંઘર્ષ માટે તૈયાર રહો
પોતાના આક્રમણ અંદાજમાં મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું કે, સરકારનું કામ પહેલા સંવાદ સાધવાનું અને પ્રેમથી સમજાવવાનું છે, પરંતુ જો કોઈ આ ભાષા ન સમજે તો સરકાર પાસે બીજા રસ્તા પણ તૈયાર છે. પ્રેમથી માનશો તો સારી વાત છે, નહીં માનો તો અમે બીજો રસ્તો અપનાવીશું. જો તમે સંવાદથી નહીં માનો, તો સંઘર્ષથી પણ કામ શક્ય છે. બરેલીમાં કેટલાક લોકોએ તાકાત બતાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે સરકારની તાકાત જોઈ લીધી છે. તેથી, સરકાર આખી વ્યવસ્થાને કાયદાની સિસ્ટમ સાથે જ જોડવા માંગે છે.


