રોડ પરના ખાડાને કારણે મોત થાય તો વળતર મળે કે નહીં? જાણો શું છે નિયમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Accountability For Killer Pothole Accidents: દિલ્હી-NCR અને બેંગ્લોર જેવાં મેટ્રો સિટીઝથી માંડીને દેશનાં નાના શહેરો સુધી રસ્તાઓ પર પડેલા ઊંડા ખાડા વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં બિસ્માર રસ્તાઓ ગંભીર અકસ્માતોનું મુખ્ય કારણ બને છે, જેમાં અસંખ્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અથવા પોતાનો જીવ ગુમાવે છે. તાજેતરમાં બેંગ્લોરના ઇલેક્ટ્રોનિક્સ સિટી પાસે અનંતનગર મેઇન રોડ પર ખાડાને કારણે બાઇક સ્લિપ થતાં મેધા નામની મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે દિલ્હીના મંડોલી જેલ રોડ પર ખાડાને કારણે ઇ-રિક્ષા પલટી જતાં 6 લોકો ઘાયલ થયા હતા.
આવા ગંભીર અકસ્માતો બાદ સામાન્ય નાગરિકોના મનમાં સવાલ ઊભો થાય છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ છે અને ભોગ બનનાર કે તેના પરિવારને વળતર કેવી રીતે મળી શકે?
જવાબદારી કોની અને શું કહે છે કાયદો?
જો રસ્તા પરના ખાડા અથવા બિસ્માર સ્થિતિને કારણે કોઈ અકસ્માત થાય, તો ભોગ બનનાર વ્યક્તિ કે તેના પરિજનોને કાયદાકીય રીતે વળતર મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે.
- અપકૃત્ય કાયદો: આ કાયદા હેઠળ સરકારી એજન્સીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ(મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરે)ની બેદરકારીને કોર્ટમાં પડકારી શકાય છે.
- બંધારણની કલમ 300: ભારતીય બંધારણની કલમ 300 હેઠળ રાજ્ય સરકાર અને તેના હસ્તકની એજન્સીઓ સામે કેસ દાખલ કરીને નુકસાન અને વળતરનો દાવો કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટના મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ
ન્યાયતંત્ર દ્વારા આવા મામલે સરકારી તંત્રની જવાબદારી સ્પષ્ટપણે નક્કી કરવામાં આવી છે:
State of Rajasthan vs. Vidyawati: આ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય પોતાના કર્મચારીઓ કે તંત્રની બેદરકારી માટે સંપૂર્ણપણે જવાબદાર છે.
S. Rajaseekaran vs Union of India: અદાલતે બિસ્માર રસ્તાઓ અને ખાડાઓને લીધે થતાં અકસ્માતોને જાહેર સુરક્ષા માટે ગંભીર જોખમ ગણાવ્યા હતા અને ચુકાદો આપ્યો હતો કે રસ્તાઓની યોગ્ય જાળવણીમાં નિષ્ફળ રહેલી એજન્સીઓને જવાબદાર ઠેરવી શકાય છે.
વળતર મેળવવા માટેના મુખ્ય કાયદા અને જોગવાઈઓ
પીડિત પક્ષ અથવા મૃતકના આશ્રિતો નીચે મુજબના કાયદાકીય માળખા હેઠળ વળતરનો દાવો કરી શકે છે:
- Fatal Accidents Act, 1855 & Motor Vehicles Act, 1988: જો કોઈ વ્યક્તિનું મૃત્યુ કે શારીરિક ઈજા રસ્તાની ખરાબ હાલત અને એજન્સીઓની બેદરકારીને કારણે થાય, તો આ કાયદાઓ હેઠળ વળતરની માગણી કરી શકાય છે.
- મોટર વ્હીકલ ઍક્ટની કલમ 136A: આ કલમ ખાસ કરીને રોડ સેફ્ટીના નિયમો અને તેના ચુસ્ત પાલન પર ભાર મૂકે છે.
- સ્થાનિક કાયદાઓની જોગવાઈઓ: કેટલાક સ્થાનિક મ્યુનિસિપલ એક્ટમાં પણ જાહેર માર્ગોની ખામી બદલ વળતરની જોગવાઈ છે. દાખલા તરીકે, Bruhat Bengaluru Mahanagara Palike Act, 2020ની કલમ 232 હેઠળ જાહેર રસ્તા પરની ખામીને લીધે થયેલા નુકસાન માટે વળતર મેળવવાનો કાયદેસરનો હક આપવામાં આવ્યો છે.
જોકે સમગ્ર દેશમાં રોડ નિર્માણ અને તેની જાળવણીની જવાબદારી અંગે હજુ કોઈ એક સમાન વ્યવસ્થા અમલમાં નથી, તેમ છતાં વિવિધ કોર્ટના આદેશો અનુસાર સ્થાનિક પાલિકાઓ, પીડબ્લ્યુડી કે નેશનલ હાઇવે ઑથોરિટી જેવા સંબંધિત વિભાગો પોતાની જવાબદારીમાંથી છટકી શકતા નથી.









