India

ઝારખંડમાં કેમ ભડક્યા છે વિદ્યાર્થીઓ?, કેમ ઉભો થયો છે JPSC-JSSC પરીક્ષા વિવાદ, જાણો તેમની માંગણીઓ

By GS Team
3 Aug 20263 mins read
TukuTouch Logo
ઝારખંડમાં JPSC અને JSSCની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ તથા પેપર લીકથી રોષે ભરાયેલા યુવાનો રાંચીમાં ધરણાં પર બેઠા છે. 14મી JPSC પ્રારંભિક પરીક્ષા રદ કરવા અને CBI તપાસની તેમની મુખ્ય માંગ છે. ગેરરીતિના આરોપો બાદ SITની રચના કરાઈ છે, કેટલાકની ધરપકડ પણ થઈ છે. JPSCએ 9 પરીક્ષાઓ સ્થગિત કરી છે. હાઈકોર્ટે પણ આ મામલે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝારખંડમાં કેમ ભડક્યા છે વિદ્યાર્થીઓ?, કેમ ઉભો થયો છે JPSC-JSSC પરીક્ષા વિવાદ, જાણો તેમની માંગણીઓ

Jharkhand Students Protest: દિલ્હીના જંતર-મંતરની જેમ ઝારખંડની રાજધાની રાંચીમાં પણ વર્તમાન દિવસોમાં યુવાનોનો આક્રોશ રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે. અહીં સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો ઘણા દિવસોથી ધરણા પર બેઠા છે, અને કેટલાક ભૂખ હડતાળ પણ કરી રહ્યા છે. યુવાનોની માંગ માત્ર એક પરીક્ષા રદ કરાવવાની નથી, પરંતુ સમગ્ર ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી લાવવાની છે. ઝારખંડના યુવાનો ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને JSSCની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને પેપર લીકથી તંગ આવી ગયા છે.

આવામાં સવાલ એ છે કે, આ આખો મામલો શું છે, અને શા માટે હજારો યુવાનો ગુસ્સામાં છે? તેમની માંગણીઓ શું છે, અને સરકારે અત્યાર સુધી શું પગલાં લીધાં છે? તેના વિશે વિગતવાર જાણીએ.

ઝારખંડની JPSCને લઈને શું વિવાદ છે?

ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) ને લઈને તાજેતરનો વિવાદ 14મી JPSC સંયુક્ત સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષાના પરિણામ બાદ વધ્યો છે. પરિણામો જાહેર થયા પછી ઉમેદવારોએ મેરિટ લિસ્ટની પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા અને સોશિયલ મીડિયા પર કેટલીક OMR શીટ્સ પણ સામે આવી, જેના આધારે પસંદગી પ્રક્રિયામાં અનિયમિતતાના આરોપો લાગ્યા. દાવા અનુસાર, એક ઉમેદવારે પેપર-1 માં માત્ર 48 પ્રશ્નો ઉકેલ્યા હોવા છતાં, તેને મુખ્ય પરીક્ષા માટે સફળ જાહેર કરવામાં આવ્યો હતો. ઉમેદવારોએ JPSC પાસે કેટેગરી વાઇઝ કટ-ઓફ માર્ક્સ જાહેર કરવાની પણ માંગ કરી છે.

આરોપ બાદ SITની રચના

આ આરોપો બાદ રાજ્ય સરકારે CID દ્વારા વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી, જેણે કેટલાક અધિકારીઓ અને પરીક્ષા સંચાલન સાથે જોડાયેલા લોકોની ધરપકડ પણ કરી છે. હાલ તપાસ ચાલુ છે. CIDની ચાલુ તપાસ વચ્ચે કમિશનના અધ્યક્ષ એલ ખિયાંગ્તે 22 જુલાઈના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

JPSCએ નવ પરીક્ષાઓ સ્થગિત કરી

વિવાદ વધતાં JPSC એ 22 જુલાઈના રોજ સંયુક્ત સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2025 સહિત નવ ભરતી પરીક્ષાઓ આગામી સૂચના સુધી સ્થગિત કરી દીધી છે. કમિશને તેની પ્રેસ નોટમાં જણાવ્યું કે, સરકારના નિર્દેશો અને પરીક્ષા સંચાલનમાં ગેરરીતિઓના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

JSSCનો શું મામલો છે?

ઝારખંડમાં JSSC ને લઈને પણ ઘણા વિવાદો છે. JSSC-CGL પરીક્ષામાં અગાઉ પેપર લીક સહિત અનેક અનિયમિતતાના આરોપો લાગ્યા હતા. આ સિવાય વર્ષ 2026ની ફીલ્ડ વર્કર ભરતી પરીક્ષામાં પણ ઘણા ઉમેદવારોને ખૂબ દૂર પરીક્ષા કેન્દ્રો આપવા, એડમિટ કાર્ડની માહિતી મોડી મળવી અને પેપરને લગતી ફરિયાદો સામે આવી હતી. કમિશને કહ્યું કે, તમામ માહિતી સમયસર આપવામાં આવી હતી, પરંતુ ઉમેદવારોએ વ્યવસ્થાને અપૂરતી ગણાવી છે.

વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ શું છે?

14મી JPSC પ્રારંભિક પરીક્ષા રદ કરવામાં આવે.

સમગ્ર મામલાની CBI દ્વારા તપાસ કરાવવામાં આવે.

નિષ્પક્ષ રીતે ફરીથી પરીક્ષા યોજવામાં આવે.

ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુધારો લાવવામાં આવે.

દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ઝારખંડ હાઇકોર્ટે શું કહ્યું?

ઝારખંડ લોક સેવા આયોગની 14મી સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષાને લઈને હાઇકોર્ટમાં દખલગીરી કરતી અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજદારોનો આરોપ છે કે, મોડેલ આન્સર-કીમાં ઘણા જવાબો ખોટા હતા, અને કટ-ઓફ પણ જાહેર કરાયું નહોતું. વધુ ગુણ મેળવનારા ઘણા ઉમેદવારોને અસફળ જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે કોર્ટ પાસે પ્રારંભિક પરીક્ષા રદ કરવાની અથવા વૈકલ્પિક રીતે મુખ્ય પરીક્ષામાં બેસવાની પરવાનગી માગી છે.

આ સમગ્ર મામલે કોર્ટમાં JPSC એ જણાવ્યું કે, મામલાની તપાસ ચાલી રહી છે, અને મુખ્ય પરીક્ષા અગાઉથી જ સ્થગિત કરવામાં આવી છે. અદાલતે કમિશનને કોઈ વચગાળાની રાહત આપ્યા વિના 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે. આગામી સુનાવણી 24 સપ્ટેમ્બર 2026ના રોજ થશે.